Sunday, October 30, 2011

બહારના પરિબળોની જાસૂસી રાષ્ટ્રને ખોખલું બનાવી રહી છે

ક્ષતિ અને ખામી બતાવ્યા કરવાની વૃત્તિ એ નકારાત્મક દષ્ટિકોણ છે.


જાસૂસી તંત્રની કાર્યક્ષમતા અને વ્યાપ અંગે વારંવાર સમાચાર પ્રસિદ્ધ થાય છે, પરંતુ તે અંગેની વિગતવાર માહિતી કે સત્તાવાર આંકડા મળી શકતા નથી. રાષ્ટ્રનું જાસૂસીતંત્ર નબળું છે તેવી ઘણી બાબતો પરસ્પર વિરોધાભાસ સાથે બહાર આવે છે તેવે વખતે કોઈ પણ રાષ્ટ્રપ્રેમી નાગરિકને ચિંતા થાય છે.એક ચોંકાવનારા સમાચાર છે કે જેને દેખીતી રીતે યોગ્ય રીતે મૂલવવા રહ્યા. અમેરિકાની જાસૂસી સંસ્થા આપણા અણુ સંસ્થાન - મહત્ત્વના સુરક્ષા વિભાગના કાર્યાલય અને ‘ઈસરો’માં વ્યાપક જાસૂસી જાળ ધરાવે છે અને તેનો વ્યાપ વધી રહ્યો છે. ભારતની તમામ માહિતી તેમને મળી રહી છે તે બાબત રાષ્ટ્રના વ્યાપક હિત માટે જોખમ છે.રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગના એક મહત્ત્વના અધિકારી રવીન્દ્રસિંઘ વર્ષ ૨૦૦૪માં અમેરિકા નાસી ગયા હતા. તે વખતે ઘણી ધમાલ થઈ હતી, પરંતુ ત્યાર બાદ કઈ કાર્યવાહી થઈ તે વિશે સંપૂર્ણ શૂન્યાવકાશ પ્રવર્તી રહ્યો છે. આવું તો ઘણું છે, પરંતુ તે સઘળું સામાન્ય વ્યક્તિના પરિપ્રેક્ષ્યની બહાર છે.
૧૯૯૮માં જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા તે વખતે ભારતે ભૂગર્ભ અણુપ્રયોગ કર્યો હતો. અમેરિકાના જાસૂસી ઉપગ્રહના કેમેરા તે વખતે મેઈન્ટેનન્સ માટે બંધ હતા. આ બાબતની જાણકારી ભારતને હતી. આથી ભૂગર્ભ અણુપ્રયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતે હજુ સુધી અમેરિકા ભૂલ્યું નથી.અમેરિકાએ તેના બદલામાં મહત્ત્વના વિભાગોમાં પોતાનો પથારો એટલો વધાર્યો છે કે તે જાસૂસી જાળના વ્યાપ વિશે કોઈને પણ પર્યાપ્ત માહિતી નથી. કારણ કે ઈન્ટેલિજન્સ અને તેના નેટવર્ક અંગે કોઈ જ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી. આ બધી બાબત અંગે ખુદ સંસદમાં પણ શૂન્યાવકાશ પ્રવર્તે છે. જો કે કેટલાક અનુભવ બાદ ઈન્ટેલિજન્સ બ્યૂરોની ઓફિસમાં સેલ ફોન અને એડવાન્સ હાર્ડવેરના ઉપયોગનું નિયંત્રણ થઈ રહ્યું છે, પરંતુ આવી પદ્ધતિ ૧૦૦ ટકા સુરક્ષિત નથી. સાઈબર સિક્યોરિટીના નિષ્ણાતો કહે છે કે આ બાબત ટેકનોલોજી કરતાં વ્યક્તિની નિષ્ઠા સાથે વધુ છે.

ભારત - અમેરિકા વચ્ચે ન્યૂક્લીઅર સમજૂતી થઈ છે. અમેરિકા હજુ દબાણ કરી રહ્યું છે કે નાગરિક અને લશ્કરી હેતુ માટે થતાં અણુસામગ્રીના ઉપયોગનું વર્ગીકરણ અલગ અલગ રીતે કરવામાં આવે અને તેની વિગત પૂરી પાડવામાં આવે, કારણ કે અમેરિકાને ભારતની કોઈ જ ખાતરીમાં વિશ્વાસ નથી.અમેરિકાએ ભારત પાસેથી માહિતી મેળવવા ઘણા અભ્યાસ જૂથની રચના કરી છે. તેમાં સુરક્ષા નીતિ અભ્યાસ જૂથ, ત્રાસવાદ નિષેધ જૂથ - હાઈ ટેકનોલોજી ગ્રુપ વગેરે પણ આ તમામની પાછળ આશય કંઈક ન સમજી શકાય તેવો છે. આવા જૂથ દ્વારા કોઈક તો માહિતી મળી જ રહે છે.ઈન્ટેલિજન્સ બ્યૂરો આંતરિક સુરક્ષાને લગતી બાબત સંભાળે છે - જ્યારે રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ દ્વારા વિદેશી બાબતોને લગતું વિશ્લેષણ કરવામાં આવે છે. પરંતુ એવું જણાય છે કે આ બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે આપસનું કોઈ જ સંકલન નથી. એટલે કમનસીબી આપણા પક્ષે છે તેમ સ્વીકારવું રહ્યું.
લશ્કરી દળો અને અર્ધલશ્કરી દળોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની વારંવાર ફરિયાદ આવે છે. અલબત્ત કેટલાક કિસ્સામાં તો કિન્નાખોરી પણ હોય છે. તેમ છતાં આવું બની રહ્યું છે તે હકીકત છે. ભ્રષ્ટાચાર અને બહારના પરિબળોની જાસૂસી એ બંને બાબત રાષ્ટ્રને ખોખલું બનાવી દેશે તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ.
બંગલા દેશ અને પાકિસ્તાનના જાસૂસો ખૂબ જ વ્યાપ વધારી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત ભારતના દૂતાવાસમાં એક મહિલા અધિકારી થોડા સમય અગાઉ રંગેહાથ પકડાઈ ગઈ હતી. દરેક બાબતના પુરાવા હોતા નથી. આવી તો ઘણી બાબત છટકી જતી હશે તે વિશે કોણ વિચારતું હશે?જાસૂસો એ રાષ્ટ્રના આંખ-કાન છે અને તેના થકી જ દુશ્મનની ચાલનો અંદાજ મળી શકે છે. રાષ્ટ્રની આજુબાજુ ઘણા દ્રોહી તત્ત્વો કાર્યરત છે તેવે વખતે સજાગ રહેવાની ખાસ જરૂર છે. આ બાબત કોઈ એક વ્યક્તિને નહિ, પરંતુ સમગ્ર રાષ્ટ્રને લાગુ પડતી વાત છે. રાષ્ટ્રના ભવિષ્યને સ્પર્શતી આ વાત છે.ભૂતકાળમાં આક્રમકો આવી જ રીતે આવતા હતા અને તેની જાણકારી કમજોર હોવાથી પ્રતિકાર નહિ થઈ શકયો અને શું પરિણામ આવ્યા તે નજર સમક્ષ છે. ભૂતકાળમાંથી શીખવવાની બાબત આવી છે. ઈતિહાસ અને ભૂગોળના જાણકાર હોય તેઓ જાસૂસી અને જાસૂસીતંત્રનું મહત્ત્વ સારી રીતે જાણે છે

No comments:

Post a Comment