Thursday, October 6, 2011

ખોટા/ખોટા = સાચા?

પોતે જ્યોતિષી ન હોય તો પણ આગાહી કરી શકે અને તે પણ સાચી નીવડશે તેની સો ટકા (ઘણા લોકો ૧૦૧ ટકા, બસો ટકાની ખાતરી આપે છે, પણ ખાતરી ૧૦૦% જ હોઈ શકે) ખાતરી આપી શકે એવી આગાહી એ છે કે ૨૦૧૪ સુધીમાં ભારતના જે રાજનેતા પર સૌથી વધુ આરોપો થશે, જે રાજનેતાને સૌથી વધુ વિવાદોમાં ઘેરવામાં આવશે, તે રાજનેતા નરેન્દ્ર મોદી છે. ૨૦૧૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ વડા પ્રધાન પદના સક્ષમ દાવેદાર હોવાનું દેશમાં મનાય રહ્યું છે એટલે અનેક મહત્ત્વાકાંક્ષી પક્ષો અને નેતાઓ તેમની પર આરોપો લગાવશે, વિવાદો ઊભા કરશે. આજના રાજકારણમાં મેલી મથરાવટી એવી ભણેલી છે કે કોણ સાચું, કોણ ખોટું કાંઈ નક્કી જ ન થઈ શકે. વાસ્તવમાં તો રાજકીય પક્ષો અને તેમના નેતાઓ જ કેસ ઊભા કરે, તેની દલીલો કરે અને જેને આરોપી ઠેરવવું હોય તેને ઠેરવે. લોકોને તો તેઓ વિચારવાની તક જ આપવા માગતા નથી. સામે ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે તો નાના નાના મુદ્દાઓ પર પણ દળકટક લઈ આક્રમણ શરૂ થતું હોય છે. મૂળ તો આજના દરેક મોટા રાજકીય પક્ષો અને તેમના મોટા નેતાઓ મોટા મોટા આરોપાથી ઘેરાયેલા છે અને એવા આરોપોથી બચવા તેઓ સામેના પક્ષના નેતાઓ પર તેનાથી મોટા આરોપ લગાડી બેલેન્સ કરવા મથે છે. લોકો માટે હવે સારા નેતા ચૂંટવા એ કસોટી બની ગઈ છે. બધા આરોપો, વિવાદો વચ્ચે તેઓ કોણ વધુ સક્ષમ, મર્યાદા વચ્ચે પણ કોણ વધુ સારું પરિણામ લાવી શકે, તે જોતો હોય છે. રાજકીય પક્ષો અને નેતાઓ બીજા પક્ષનેતા પર જે આરોપો લગાડે તેને પણ તેઓ સ્વસ્થતાથી જોતા હોય છે.

હમણાં ચિદમ્બરમ પોતે જ મોટા આરોપીથી ઘેરાયેલાં છે અને સોનિયા ગાંધી, મનમોહન સિંહ, પ્રણવ મુખરજીની ગરજે તેમને બચાવાઈ રહ્યાં છે. મનમોહન સરકારે મોટા મોટા મંત્રીઓ, નેતાઓને જેલમાં ધકેલવા પડે તેનો અર્થ જ એ થાય કે તેમની સરકારના શાસનમાં અપરાધી કૃત્યોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે કેન્દ્રની સત્તા તેમના હાથમાં છતાં એ સત્તાના પહેરામાંથી પણ અપરાધો બહાર ફૂટી જાય. ચિદમ્બરમ જેલમાં જાય તો છેવટે મનમોહન સિંહ પણ બચવા જેવા ન રહે. જન લોકપાલ બિલમાં વડા પ્રધાન ન આવે તેની તકેદારી આ માટે જ તો રાખવામાં આવી હતી! હવે એવા ચિદમ્બરમ નરેન્દ્ર મોદી સામેના આક્રમણનું નેતૃત્વ સંભાળતા હોય તો તેમાં સચ્ચાઈ - જુઠ્ઠાઈ નહીં માત્ર રાજકીય વસૂલી જ કેન્દ્રમાં રહે. સંજીવ ભટ્ટનાં પત્ની ચિદમ્બરમને પત્ર લખે તેમાં પણ કોની દોરવણી છે તે સ્પષ્ટ સમજી શકાય એમ છે. ખરેખર તો કેન્દ્રનાં ગૃહ પ્રધાન રાજ્યની આવી બાબતોમાં પડી નહીં શકે, પરંતુ ગુજરાત કૉંગ્રેસ અને કેન્દ્રીય કૉંગ્રેસે (યુપીએ સરકાર) સાથે મળી મોરચો ઘડી કાઢ્યો છે.

સવાલ એ નથી કે નરેન્દ્ર મોદી આમાં ખોટા છે કે ખરા. પોતાના બચાવ માટે જ સંજીવ ભટ્ટને જેલમાં નાખ્યા છે કે સંજીવ ભટ્ટ ખરેખર એને લાયક હતા. આ લડાઈ સત્તા પર બેસીને લડાઈ તેની જ છે અને નરેન્દ્ર મોદી તેમાં તેવા કુશળ છે યા નથી કે તે જ પુરવાર થશે. વણઝારાથી માંડી ગુજરાતના ગૃહમંત્રીને જેલ મોકલવાના મામલે અને અમિત શાહને તડીપાર કહેવાય એ રીતે ગુજરાત બહાર રખાયા ત્યારે નરેન્દ્ર મોદી રાજકીય ચાતુર્યથી ચૂપ રહ્યા છે. કેન્દ્ર શું, લગભગ દરેક રાજ્ય સરકારોએ હવે રાજકીય પેચીદગી માટે તૈયાર રહેવું પડે છે. તમે ખેલંદા તો અમે તમારાથી ઉપરના ખેલંદા. ગુજરાતના કૉંગ્રેસી નેતાઓને મોદી ગાંઠતા નથી તેથી આ વેળા કૉંગ્રેસમાં નર્યા ઉપેક્ષિત, ઓશિયાળા બનાવી દેવાયેલા શંકરસિંહ વાઘેલાને મોદીને ઝાલવા સુકાન સોંપાયું છે. ૨૦૧૨ની રાજ્યની ચૂંટણીમાં વાઘેલા ગુજરાત જીતાડી આપે તેવી શરત તેમાં કામ કરે છે ને વાઘેલા માટે આ છેલ્લો મોકો છે તેથી તે પણ એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. આ બધા સંજોગોમાં આરોપો, આક્રમણો થવાના જ! સંજીવ ભટ્ટના મુદ્દે દિલ્હીમાં અને પટણામાં પણ દેખાવો થાય તેમાં બીજું કાંઈ નથી, મુદ્દાને મોટો કરવાનો અને નરેન્દ્ર મોદી ભાવિ વડા પ્રધાન તરીકે લાયક નથી તેવું દેશની પ્રજાને સંદેશો આપવાનું વલણ છે. મતલબ કે હવે મોદીનો વિરોધ પણ ‘રાષ્ટ્રીય’ સ્તરે કરાઈ રહ્યો છે. આનો સીધો અર્થ ૨૦૧૪ની ચૂંટણી માટે મોદીને અત્યારથી નબળા ચીતરવાનો છે.

સામાન્યજને આમાં વકીલ દષ્ટિ કેળવવાની જરૂર નથી. સંજીવ ભટ્ટની ખોટી રીતે ધરપકડ થઈને જેલમાં નખાયા અને પછી જે થઈ રહ્યું છે યા નરેન્દ્ર મોદીના ઉપવાસ વેળા હરેન પંડયાની પત્ની જે રીતે જાહેરમાં આવવા આક્રમક બન્યાં એ બધું જ રાજકારણ છે. ન્યાય - અન્યાયનું રાજકીયકરણ આ રીતે હજુ આગળ વધશે. રાજકીય કૌશલ્ય હવે બદલાયેલી વિભાવના સાથે આગળ વધી રહ્યું છે, આમાં બધા જ કહેશે, અમે વધુ સાચા અને જે ખોટા હશે તે એવું વધુ કહેશે. ખોટાઓ ખોટાને મોટા ખોટા પાડી પોતાને સાચા પાડવા મથી રહ્યા છે. આ અત્યારના રાજકારણની તાસીર છે. આવામાં પેેલા કુતુબુદ્દીન અન્સારીને અમદાવાદ પોલીસ કમિશનરને અરજી કરવી પડી છે કે મારી તસવીરો હવે વધુ ન ચમકે એ માટે કાંઈ કરો. પ્રતીકાત્મક રીતે તેને ગોધરા પછીનાં કાંડનો પ્રતિનિધિ, રાષ્ટ્રીય પ્રતિનિધિ બનાવી દેવાયો છે. 

No comments:

Post a Comment