Wednesday, December 14, 2011

મંદીનો હાઉ ઊભો થયો છેઃ આંકડાની વિશ્વસનીયતા કેટલી?

બાળકને માતાના ખોળામાં અને પિતાના ખભા પર જીવનનું અમૂલ્ય સુખ પ્રાપ્ત થાય છે. - શ્રી હર્ષ

કેટલાક સરકારી વિભાગના આંકડાને આધારે સમગ્ર રાષ્ટ્રમાં મંદી હોવાના ગભરાટભર્યા અહેવાલ પ્રસ્તુત થઈ રહ્યા છે. શેરબજારનો સૂચકઆંક, ઔદ્યોગિક ઉત્પાદન આંક ઘટે એટલે એવું વાતાવરણ નિર્માણ કરી દેવામાં આવે છે કે જાણે આકાશ તૂટી પડ્યું છે!! પરંતુ સમગ્ર ચિત્ર તદ્દન અલગ છે.

સૌથી પહેલી વાત એ છે કે રાષ્ટ્રની જનસંખ્યા ૧૨૦ કરોડની છે જે યુરોપ અને અમેરિકાની કુલ જનસંખ્યા કરતાં પણ ૪૫ કરોડ વધારે છે. યુરોપ- અમેરિકા તેમના કર્યા ભોગવે તો તેની કોઈ જ અસર ભારત પર થવાની નથી. જે અર્થશાસ્ત્રીઓ આવી કાગારોળ મચાવી રહ્યા છે તે વધુ પડતી છે.

ભારતમાં બચત સર્જનદર આજે પણ ૩૦ થી ૩૫ ટકા છે. જ્યાં બચત થતી હોય ત્યાં મૂડીસર્જન આપોઆપ થતું રહે છે. આથી અર્થતંત્ર ધબકતું રહે છે. યુરોપમાં મંદી આવી છે તેનું કારણ વૈભવી જીવનશૈલી અને બેફામ ખર્ચા છે. અલબત્ત, ભારતમાં નવાંગતુક યુવાનવર્ગ બેફામ પૈસા વાપરી રહ્યા છે, પરંતુ તે સંખ્યા બહુ મર્યાદિત છે.

રાષ્ટ્રનું અર્થતંત્ર ખેતીવાડી પર નિર્ભર છે. તેમાં આજે પણ રોજગારીની તકો વધતી જ રહી છે. કોઈને બેરોજગાર થવાનું ખેતીવાડીના ક્ષેત્રમાં બનતું નથી. આવે વખતે મંદીની જે વાત થાય છે તે સ્વીકાર્ય બનતી નથી. યુરોપના ધારાધોરણ ભારતને લાગુ પડી શક્તા નથી. બન્ને ક્ષેત્રમાં પરિસ્થિતિ અલગ છે.

છેલ્લા ૧૦ વર્ષથી તો ચોમાસા સારા હોવાને કારણે અનાજ, કઠોળ વગેરેના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. કોઈ ચીજવસ્તુની તંગી નથી. માગ અને પુરવઠાની સમતુલા સારી રીતે જળવાઈ રહે છે. જે બે-ચાર નાની મોટી બાબત છે તે ચારે તરફ છે એટલે ભારત કોઈ અપવાદ નથી.

એક તરફ મંદી છે તેવી હવા ઊભી કરવામાં આવી છે તો પછી ભાવ કેમ વધે છે? પ્રજા પાસે પૂરતા પ્રમાણમાં ખરીદશક્તિ છે એટલે તો ભાવ વધે છે. આમ મંદીનો ડર ઊભો કરાયો છે તે આવી બાબતથી પુરવાર થાય છે, તેજી અને મંદી તે સતત ચાલતી પ્રક્રિયા છે. મંદી એટલે ઓછી માગની પરિસ્થિતિ જે કદાચ કામચલાઉ હોય છે.

આજે અર્થતંત્ર સમક્ષ સૌથી મોટો પડકાર એ ખર્ચાને નિયંત્રણમાં રાખવાનો છે. દરેક સ્તરે અને દરેક સ્થળે એટલા વ્યાપક ખર્ચા થઈ રહ્યા છે કે જો કેસ દીઠ વિશ્લેષણ કરવામાં આવે તો ખાનગી એકમો પણ બેફામ ખર્ચા કરી રહ્યા છે. જરૂરી નથી તેવા ખર્ચા આવક- ખર્ચની અસમતુલા ઊભી કરે છે.

જો સરકારી વિભાગ અને ખાનગી ક્ષેત્ર કેટલાક ખર્ચા ઓછા કરવા પ્રયત્ન કરે તો ઊલટું અર્થતંત્રને માટે ફાયદાની વાત બને તેવું છે. અર્થતંત્રમાં નાણાકીય સંચાલનમાં અવ્યવસ્થા ઊભી થાય છે તેવે વખતે તેજી અથવા મંદી તરફી વાતાવરણ નિર્માણ થાય છે. આ માટે નક્કર પગલાં લેવાય તે જરૂરી છે.

રાષ્ટ્રની બેન્કમાં થાપણો વિક્રમસર્જક છે. બેન્કો સમક્ષ આજે ધિરાણના પ્રશ્ન છે. સારા ખાતેદાર મળતા નથી કે જેમને નાણાં વ્યાજે પૂરા પાડી શકાય. આથી જ કહી શકાય કે હાલમાં જે સુસ્ત આર્થિક વાતાવરણ છે તે મંદી નથી, પરંતુ સરકારી કક્ષાએ અનિર્ણાયકતા પ્રવર્તી રહી છે તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે.

સૌ કોઈ જાણે છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ મહત્ત્વના નિર્ણય લેવાયા નથી. ભ્રષ્ટાચારમાં પ્રધાનોની સંડોવણીને કારણે જવાબદારીની ફેંકાફેંકી થઈ રહી છે. મહત્ત્વની કામગીરીમાં આગળ વધી શકાતું નથી. એક પછી એક બાબતમાં પીછેહઠ થઈ રહી છે.

આથી જ મંદી કે ઓછી માગની પરિસ્થિતિ માટે ઘરઆંગણાની બાબત જવાબદાર છે. વિદેશ વ્યાપાર- આયાત- નિકાસ અને એવી જ અન્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારી બાબતમાં ક્યાંય ઘટાડો જોવામાં આવતો નથી. આવા સંજોગોમાં જે વાત છે તે મંદીની છે કે પછી સ્થાપિત હિતોની છે.

પ્રજાના વિશાળ વર્ગે વ્યક્તિગત કરકસર કરીને ઈલેક્ટ્રિસિટી ટેલિફોન, મનોરંજન વગેરેના ખર્ચા પર હેતુલક્ષી નિયંત્રણ લાવવાની જરૂર છે. કેટલાક ખર્ચા એવા છે કે જે અવશ્ય ઓછા કરી શકાય છે. યુરોપમાં મંદી હોય એટલે ભારતમાં તેની અસર હોય જ તેમ સ્વીકારી લેવાની પણ જરૂર નથી.

મોટા ભાગના સરકારી આંકડા તકલાદી હોય છે. આવા આંકડા ક્યાંથી મેળવવામાં આવે છે તે માત્ર તેઓ જ જાણે છે!! છૂટક બજારમાં ભાવ વધે છે અને એક પણ ચીજ સસ્તી થઈ નથી તેવે વખતે જથ્થાબંધ ખાદ્યચીજવસ્તુના ભાવમાં ઘટાડો થયો છે તેવી બાબતને કોણ સ્વીકારશે? આવું જ મંદીનું છે. બે-ચાર આધાર આપીને મંદી છે તેમ કહેવાય છે તે ગળે ઉતરે તેવું નથી.

Thursday, December 8, 2011

મુસ્લિમ મહિલાઓની ખરાબ સ્થિતિ માટે જવાબદાર કોણ?


ઈસ્લામે ઔરતને ઊંચો દરજ્જો આપ્યો છે. કુરાને મજીદમાં ફરમાવાયું છે કે, પરવરદિગારથી ડરતા રહો કે જેણે તમને એક વ્યક્તિથી પેદા કર્યા અને તેનાથી જ તેનું જોડું પેદા કર્યું અને તે બંનેથી ઘણા પુરુષો અને સ્ત્રીઓને દુુનિયામાં ફેલાવ્યાં. સ્ત્રીઓ પુરુષો માટે પોષાક સમાન છે અને તમે સ્ત્રીઓ માટે પોષાક સમાન છો. જેવા અધિકારો સ્ત્રીઓ પર પુરુષના છે તેવા જ હકો સ્ત્રીઓ માટે પુરુષો પર છે. નબીએ કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિવસલ્લામનું કથન છે - સ્ત્રી પુરુષો સાથે અવતરેલા બે સરખા ભાગમાંની એક છે. એક સદ્ગુણી સ્ત્રી ઘણી મૂલ્યવાન છે. સ્ત્રી સાથે સારો વ્યવહાર કરવાનો અલ્લાહનો આદેશ છે, કારણ કે એ જ સ્ત્રી જાત તમારી માતા, બહેન, દીકરી વગેરે છે. ઔરતના અધિકારો સર્વ માન્ય રીતે પવિત્ર છે અને તેઓના હક-અધિકારો બરાબર સચવાતા રહે એ જોવાની પુરુષોની ફરજ છે. 

૧૪૦૦ વરસ પૂર્વે દીને ઈસ્લામનું આગમન થયું. જગતમાં જેટલા ધર્મો આવ્યા તેમાં સૌથી છેલ્લે ઈસ્લામનો ઉદય થયો. ઈસ્લામના આવવા પૂર્વે લોકો એમ સમજતા હતા કે સ્ત્રીઓને રૂહ છે જ નહીં એટલે તેઓ પવિત્ર સ્થાનોમાં દાખલ થઈ શકે નહીં. કુરાને મજીદે આ અસત્ય માન્યતાના જવાબમાં ફરમાવ્યું કે ઔરત નીતિ અને રૂહાની ખિલવણીના બંને દષ્ટિબિંદુથી પુરુષને એકસરખી ઉપયોગી છે. આગળ ફરમાવાયું - ઔરત જન્નત (સ્વર્ગ)માં દાખલ થઈ શકશે કે રૂહ જે (આત્મા)નું છેલ્લું સ્થાન છે. રસૂલ્લલ્લાહ (સલ.) ફરમાવે છે, તમારામાંનો ઉત્તમ માનવી તે છે જે પોતાની પરણેતર માટે ઉમદા પુરુષ છે. એક સદ્ગુણી સ્ત્રી પુરુષનો સૌથી શ્રેષ્ઠ ખજાનો છે. જો તમે તમારી ઔરતોને ઠપકો આપો તો પણ તે કાર્ય નરમાશ અને દયાની લાગણી સાથે થવું જોઈએ. પુરુષે પોતાની સ્ત્રીને ધિક્કારવી જોઈએ નહીં. તે તેની કોઈ અણગમતી આદતને લીધે નાખુશ હોય તો તેની બીજી સારી ટેવને માટે તેણે ખુશ થવું જોઈએ. તમે જમો ત્યારે તમારી સાથે તમારી ઔરતને પણ જમાડો. તમે કપડાં બનાવો તો તમારી સ્ત્રી માટે પણ બનાવો. તેને અપશબ્દો બોલશો નહીં અને તેને મારશો નહીં. 

સ્ત્રી સાથે જુલ્મો સીતમના વ્યવહારથી દૂર રહેવા ઉપરાંત તલાક આપવા સંબંધે કુરાને મજીદ તેના અનુયાયીઓને ગંભીર ચેતવણી આપતા ફરમાવે છે - તલાકથી અર્શ પણ કંપી ઊઠે છે. પયગંબરસાહેબે એક જ શબ્દથી સ્ત્રીને સૌથી શ્રેષ્ઠ દરજ્જો અપાવ્યો છે. આપ ફરમાવો છો, તમારી માતાના પગ તળે જન્નત છે. ઈસ્લામી કાનૂન અનુસાર સ્ત્રીઓ પુરુષજાત તરફથી ભરણપોષણ મેળવવાનો હક ધરાવે છે. એક ઔરત પોતાના હાથે પરિશ્રમ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે છે. સ્ત્રીનું ગુજરાન ચલાવવા ઉપરાંત તેનું રક્ષણ કરી સંભાળ રાખવાનું પણ ઈસ્લામમાં પુરુષ પર ફરજિયાત ઠેરવવામાં આવ્યું છે. 

ઈસ્લામે સ્ત્રીઓને અનેક અધિકારો આપ્યા હોવા છતાં એ હકો - અધિકારોની જાળવણી માટે કોમમાં અનેક ઉણપો જોવા મળે છે. ઉપરાંત અમલી સ્વરૂપોનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે. જોકે આ માટે દોષ કોમના અગ્રણીઓ તથા ખુદ સ્ત્રીઓનો પણ ઓછો નથી. જો ઈસ્લામી ઔરતો શિક્ષિત હોત, તાલીમ હાંસલ કરી હોત તો આજે તેઓની સામાજિક અને આર્થિક સ્થિતિ બેશક ગૌરવભરી હોત. પ્રગતિકર્તા રાજ્યો અને શહેરોમાં જે મુસ્લિમ મહિલાઓ શિક્ષિત છે તેઓ પોતાની તાલીમનો ઉપયોગ કોમની સ્ત્રીઓને શિક્ષણ લેતી કરી સ્વાવલંબી બનાવવા માટે પણ કરે તો એ સમય દૂર નહીં હોય જ્યારે મુસ્લિમ ઔરતો પણ પુરુષ સમોવડી બની પોતાના હકો-અધિકારો પ્રાપ્ત કરવા કામિયાબ નિવડી શકશે. અલ્લાહ અને તેના રસૂલ તરફથી પોતાની ઉમ્મતને મળેલ બોધને તે આ રીતે જગતભરમાં રોશન કરી ઈસ્લામને ઔર બુલંદ સ્થાને પહોંચાડી શકશે. 

શિક્ષણ વિભાગમાં સંખ્યાબંધ નિર્ણયો એક વર્ષથી પડતર છે

શિક્ષણ એટલે સંસ્કાર, સદાચાર અને સમર્પણની ત્રિમૂર્તિ.





કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગના પ્રધાન કપિલ સિબ્બલ પાસે સંદેશવ્યવહારનો પણ અખત્યાર છે. આ બન્ને વિભાગ પ્રશ્નો અને સમસ્યાથી ભરપૂર છે. કોઇ પણ મંત્રી ગમે તેટલો કાર્યક્ષમ હોય પરંતુ આ બે ‘હેવી વેઇટ’ ગણાતા વિભાગને કોઇ પણ વ્યક્તિ સંભાળી શકે તેવું નથી.શિક્ષણ વિભાગને લગતા ૧૧ ખરડા હાલમાં પડતર છે, એક વર્ષથી તેના પર કોઇ જ કાર્યવાહી થઇ નથી. કારણ કે શિક્ષણ વિભાગ સંભાળનારા કપિલ સિબ્બલ રાજકારણ ખેલવામાં વ્યસ્ત છે. બાકી હતું તો તેઓ ટેલિકોમ્યુનિકેશન વિભાગના કૌભાંડ, તેની અદાલતી કામગીરી અને સુપ્રીમ કોર્ટ વચ્ચે આંટાફેરા કરવામાં જ તેમનો સમય અને શક્તિ વ્યય કરી રહ્યા છે.યુનિવર્સિટીની સંખ્યા વધારવી, ટેક્નિકલ યુનિવર્સિટી અને વિદેશી યુનિવર્સિટીને પરવાનગી વગેરે જેવી ડઝનબંધ બાબતો કોઇ જ નિર્ણય વગર બાકી છે તેવે વખતે શિક્ષણમંત્રી પક્ષીય રાજકારણ ખેલવામાં વ્યસ્ત છે. તેઓ વડા પ્રધાન અને પક્ષના અધ્યક્ષા સામે વેબસાઈટ પર ટીકાત્મક લખાણોને હવે કાયદેસર પગલાંનો ધંધો બનાવી દીધો છે.

લોકશાહીમાં દરેકને વ્યંગ અને ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ કપિલ સિબ્બલ કે જેઓ સુપ્રીમ કોર્ટના પ્રેક્ટિસિંગ અૅડવોકેટ છે, તેઓ જાતજાતના વાંધાવચકા કાઢે છે. સંખ્યાબંધ શિક્ષણને લગતા સુધારા જેનાથી શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન અને ગુણવત્તામાં સુધારો થઇ શકે તેવું છે તે હાલમાં તો તદ્દન અનિર્ણાયક હાલતમાં છે.

અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન બાદ સૌથી વધુ ગભરાટ કપિલ સિબ્બલ જેવા ધારાશાસ્ત્રીઓને થાય તેવું છે, કારણ કે ખોટું ચલાવીને જ તેઓએ શાસન કર્યું છે. આથી તેઓ પારદર્શકતાની વાતનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. વેબસાઇટ પરના લખાણ સામે સેન્સરશિપની ધમકી પણ તેમણે જ ઉચ્ચારી છે. જુલાઇમાં અણ્ણા હઝારેનું આંદોલન ઉગ્ર બન્યું હતું તે વખતે ટેલિકોમ્યુનિકેશન વિભાગના મંત્રી તરીકે જથ્થામાં મોબાઇલ દ્વારા મોકલાતા એસ.એમ.એસ. પર નિયંત્રણ લાદનારા પણ કપિલ સિબ્બલ જ હતા. એક વખતે જેમને ૧૦ - જનપથની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા તેવા કપિલ સિબ્બલ આજે ‘વફાદારીપૂર્વક’ તેમની ‘ફરજ’ બજાવી રહ્યા છે!!

કેન્દ્ર સરકારના વર્તમાન શાસક પક્ષે જ્યારે વર્ષ ૨૦૦૯માં બીજી વખત સત્તા સંભાળી તે વખતે શિક્ષણને સૌથી વધુ મહત્ત્વ આપવાની જાહેરાત કરી હતી. આજે વાસ્તવિક્તા જુદી જ છે કે શિક્ષણમંત્રી ટેલિકોમ્યુનિકેશનને લગતી બાબતોમાં એવા તો વ્યસ્ત છે કે છેલ્લા એક વર્ષમાં તેમણે કોઇ જ મહત્ત્વનો શિક્ષણક્ષેત્રે નિર્ણય લીધો નથી.કૉંગ્રેસ પક્ષના અધ્યક્ષા અને વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ સામે ટીકાત્મક લખાણો કેમ ન લખી શકાય? લોકશાહીમાં શિષ્ટ ભાષામાં ટીકા કરવાનો દરેકને અધિકાર છે. આવી બાબત દૈનિક સમાચાર પત્ર કે પછી વેબસાઇટ ગમે તે માધ્યમથી થઇ શકે છે. તેના પર પ્રતિબંધ લોકશાહીને અનુરૂપ બાબત નથી.૧૯૭૫ની કટોકટીનું પુનરાવર્તન કરવાની આ બાબત છે. હવે વગર કટોકટીએ સેન્સરશિપ લાદવાની ઘટના બની રહી છે, પછી ગમે તેટલી સ્પષ્ટતા કરવામાં આવે તેનો કોઇ અર્થ નથી. હાલમાં તો કેન્દ્ર સરકાર કોઇ દિશા વગર જ કાર્ય કરતી હોય તેવું લાગે છે. સુકાન વગરનું વહાણ જે રીતે સમુદ્રમાં જતું હોય તેવી હાલત રાષ્ટ્રની છે.છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ જેવા મહત્ત્વના વિભાગમાં કોઇ જ નોંધપાત્ર નિર્ણય લેવાયો નથી. ભવિષ્યને માટે કેવું વાતાવરણ હશે તે માત્ર કલ્પના જ કરવાની રહે છે. ૧૨૦ કરોડની જનસંખ્યા ધરાવતાં રાષ્ટ્રમાં નેતૃત્વની અછત છે કપિલ સિબ્બલ જેવી વ્યક્તિ કોમવાદી ધોરણે વાતો કરે છે, જાહેરાત કરે છે અને તેમની ટીકા ન થઇ શકે તે કેવી યંત્રણા ગણવી રહી?

કેન્દ્ર સરકાર તમામ વર્ગ અને પ્રજા માટે છે. કોઇ ચોક્કસ વર્ગ કે કોમ માટે કાર્ય કરતી નથી, છતાં જે રીતે કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તે ટીકાને પાત્ર છે. વેબસાઈટનો ઉપયોગ યુવાન વર્ગ વધુ પ્રમાણમાં કરી રહ્યો છે. તેઓ હંમેશાં સત્તાધારી પક્ષના વિરોધી હોય છે. યુવાનવર્ગ પરિવર્તનની તરફેણમાં જ બોલે છે. આવી સોશિયલ વેબસાઇટ પરથી જે માહિતીની આપ-લે થતી હોય છે તે આગની જેમ ચારે તરફ પ્રસરે છે. કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન વિશે ઘણી માહિતીનો પ્રસાર થતો હોય છે, પરંતુ જો સારા કાર્ય થતાં હોય તો પછી ડરવાનું શું કારણ છે?શિક્ષણ, વ્યાપાર, આર્થિક બાબતો જેવી અનેક બાબત સાવ ઠપ છે, જાણે કે તંત્ર જ ન હોય તેવું વાતાવરણ જણાય છે. આટલા વિશાળ રાષ્ટ્રમાં કોઇ આગેવાન બનવા તૈયાર ન થાય તે અચરજ પમાડે તેવી બાબત ગણવી જોઇએ. શાસક પક્ષે પોતાનો પ્રમાદ ખંખેરવાની જરૂર છે.

Thursday, December 1, 2011

આ અબ લૌટ ચલે


કોઈ મોટી જેલની સઘન મુલાકાત લઈને બહાર નીકળો તો કદાચ એવું જરૂર થાય કે ‘આ દુનિયામાં અપરાધ સિવાય કશું થતું જ નથી કે શું? અલબત્ત, આ અનુભવ કોઈ મોટી હોસ્પિટલમાંથી બહાર નીકળતા ‘દુનિયામાં રોગ સિવાય કશું જ નથી કે શું’ની ભાવના જન્મે તેવો છે. પણ હવે અપરાધની દુનિયા ખાસ્સી મોટી થઈ ગઈ છે એ નક્કી. આ અપરાધીઓ રીઢા જ હોય તેવું તો કોઈ નહીં માને. ઘણીવાર સંજોગો, નિયતિ અચાનક જ માણસને એવા અપરાધમાં ધકેલી દે, જે તેણે ખુદે પણ કદી કલ્પ્યો ન હોય. આજકાલ તો જીવનની ભારે અફરાતફરી મચી છે અને જીવનના નીતિ-મૂલ્યોના આગ્રહોનાં ધોરણો પણ ઘણાં નીચાં ગયાં છે. ‘કોઈ પણ ભોગે જીવી લો, પછી જે થવાનું હશે તે થશે’નું વલણ એક મોટા વર્ગમાં પ્રચલિત છે. આ કારણે અપરાધ સતત વધી રહ્યા છે. દેશમાં કુલ ૧૧૪૦ જેલો છે તેમાંની જે ૧૦૭ સેન્ટ્રલ જેલ છે તેના અપરાધીઓ અખબારોના પાને ચર્ચા જગાવ્યા પછી જેલજીવન ભોગવતા હોય તેવા છે. તેમાંય આર્થર રોડ અને બિહાર જેલના કેદીઓ વળી ચર્ચામાં રહે છે. ભારતની જેલો ૨,૩૩,૫૪૩ કેદીઓને સંઘરી શકે એમ છે અને અત્યારે ૩,૨૬૫૧૯ જેટલા કેદીઓથી તો ભરચક છે. આ કેદીઓમાં ૩,૧૩,૭૯૩ પુરુષ કેદીઓ (૯૬.૧ ટકા) અને ૧૨,૭૮૦ મહિલા કેદીઓ (૩.૯ ટકા) છે. આ આંકડા સ્વયં સૂચવે છે કે અપરાધની માત્રા કેટલી વધી છે. સામાન્યપણે અપરાધીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવાનું વલણ સમાજ ધરાવતો નથી. અલબત્ત, આજથી કેટલાંક દાયકા પહેલાં સાવ ઉપેક્ષા કરાતી તેવું આજે નથી પણ તેના સહાનુભૂતિ નહીં બલકે ‘તે તેનું ફોડે, આપણે આપણું ફોડો’ એવું વલણ કામ કરે છે. પણ શું તેઓ સાચી અને સક્રિય સહાનુભૂતિના અધિકારી નથી? શું કોઈ વ્યક્તિ એક અપરાધ કરે તેથી તેની બીજી બધી જ ક્ષમતાઓ નકામી થઈ જાય છે? તે કોઈ કામનો રહેતો જ નથી? બંગાળના લેખક જરાસંઘે ‘ઉજળા પડછાયા કાળી ભોંય’ નામે પુસ્તક લખેલું. જરાસંઘ જેલર હતા અને સ્વપરિચયે તેમણે કેદીઓના જીવનમાં ડોકિયું કરેલું. (તેમના એ પુસ્તકની એક સાચી કથા પરથી ‘બંદિની’ ફિલ્મ બનેલી) વ્હી. શાંતારામની ‘દો આંખે બારાહ હાથ’ પણ અપરાધીઓને માનવીય સંવેદનથી જુએ છે. જયપ્રકાશ નારાયણ જેવાએ ચંબલના ડાકુઓ પાસેથી બંદૂક છોડાવેલી. રાજ કપૂરની ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ એ જ રીતે અપરાધી (ડાકુઓને) બદલવાનું આહવાન હતી. વિદેશમાં જ્યાં જેને જેવા સર્જકને જેલમાંથી શોધી વિશ્વ સમક્ષ મૂકવાનું કામ જ્યાં પૉલ સાર્ગએ કરેલું. 

આ ત્રીજી ડિસેમ્બરે અમદાવાદની સાબરમતી જેલમાં ૫૬ કેદી વિદ્યાર્થીઓને પદવી આપવાનો સમારોહ યોજાવાનો છે. આ રીતે અગાઉ કદી જેલમાં પદવી દાનનો સમારોહ નથી થયો. આ એક ખરેખર જ ગમે એવું પગલું છે. આ પ્રસંગ સાથે તિહાર જેલમાં ગયા ફેબ્રુઆરીમાં થયેલા અને હવેના મહિનામાં થનારા કેમ્પસ ઈન્ટરવ્યુને પણ યાદ કરવા જોઈએ. ફેબ્રુઆરીમાં જ્યારે આ પ્રકારે ઈન્ટરવ્યુ થયા ત્યારે ૪૬ જેટલા કેદીઓને જુદી જુદી કંપનીઓએ નોકરી આપેલી. હવેના ઈન્ટરવ્યુ વેળા નવ મોટી કંપનીઓ પેલા કેદી - ગ્રેજ્યુએટસને સમાવવા તત્પર છે. આ જ એક ઉત્તમ રસ્તો છે. અપરાધ કરનારને સમાજ ગૌરવપૂર્વક પાછો પોતાનામાં સમાવે તો પેલી વ્યક્તિનું આત્મબળ વધી જતું હોય છે. આમ પણ તિહાર અને એવી મોટી જેલોમાં વધુ ભણેલા કેદીઓ ઓછા ભણેલા કેદીઓને ભણાવે એવું હવે અપનાવાયું છે. મતલબ કે જેલમાં ગયા એટલે પથ્થર તોડવા જેવા કપરા કામ જ કરવાનું એવું હવે નથી. આખર તો આ માનવસમાજ છે અને કોઈ અપરાધ કરે તો તે માત્ર વ્યક્તિગત જ નથી હોતો, તેમાં સામાજિક અન્યાયની અને વ્યક્તિની ખુદની પ્રકૃતિ, નિયતિનો ય હિસ્સો હોય છે. પણ આપણે ત્યાં તકલીફ બીજી પણ છે. હજુ ૧૮૯૪ અને ૧૯૦૦મા જેલ માટે જે કાયદાઓ બનેલા તે ચાલે છે. કાયદાઓ બદલાય, સરકારના અને સમાજમાં અભિગમ બદલાય તો ઘણું બદલાય શકે છે. અમદાવાદની સાબરમતી જેલ અને તિહાર જેલમાં જે બની રહ્યું છે તે ઉદાહરણ માત્ર ન રહેતાં જાગૃતિ બને તે અપેક્ષિત છે. બાકી આજે તો થોડા - ઘણાં અપરાધી માનસ સિવાય જીવન વ્યવહાર જ શક્ય નથી એવું બની ચૂૂક્યું છે. કહો તો, કોણ નથી અપરાધી?