Thursday, October 20, 2011

અમે અજાણ્યા ક્યાં લગ રહીશું કહો તમારા ઘરમાં


સામી દિવાળીએ સારા સમાચાર કયા હોઇ શકે તે આમ તો વ્યકિતગત સંદર્ભે જ પામી શકાય. અત્યારે રાજકીય પક્ષોની વાત કરી દિવાળી બગાડવી નથી. વળી પ્રજાના ઉત્સવો નહીં, રાજકીય હાર-જીતમાં તેમના ઉત્સવો હોય છે. પણદેસનાં હિન્દુ સમાજને ગમે તેવા એક સમાચાર એવા છે કે યુનાઇટેડ આરબ અમિરાતમાં બહુધાર્મિક અંતિમવિધિ સ્થાન શરૂ થયું છે. આ સમાચાર ખરેખરા અર્થમાં તો માત્ર હિન્દુ સમાજ અંગેના જ નથી બલ્કે હે વિશ્વભરના સમાજો માત્ર પોતાના દેશમાં જ રહીને જીવનયાપન કરી શકે તેમ નથી. લોકો વિશ્વનાગરિક બન્યા કે નહીં તે જરા જુદો પ્રશ્ન છે, પણ કામધંધા માટે હવે તે વિશ્વના અનેક દેશોના ફરતો, રઝળતો સ્થાયી થયો છે. વૈશ્વિકીકરણના આરંભ પહેલાંથી આ પ્રક્રિયા ચાલુ હતી અને વિત્યા વીસ વર્ષમાં તેનું પ્રમાણ વધ્યું છે. ખાડીના દેશોમા તો ૧૯૭૫-૮૦થી ભારત, પાકિસ્તાન, બાંગલાદેશના લોકોએ નોકરી ધંધાર્થે જવું શરૂ કરેલું અને વીત્યા ચાર-પાંચ દાયકામાં એ દેશોની શિકલ -સૂરત બદલવામાં બિનમુસ્લિમ લોકોનો મોટો ફાળો છે. ત્યાં બહાઇ મંદિર છે તે પણ આ કારણે. દેશનાં જુદાં જુદાં ક્ષેત્રના કલાકારો ત્યાં નિયમિત કાર્યક્રમો કરતા થયા તેમાં પણ બહુસંસ્કૃતિવાદનો સ્વીકાર થતો જોઇ શકાય. વળી જે દેશ અન્ય દેશોના લોકોનાં કૌશલ્ય, કાર્યક્ષમતાના, આધારે જ પોતાના આર્થિક માળખાના વિકાસને સાધી શકતો હોય તેણે ધીમે ધીમે જે તે દેશથી આવી વસેલા લોકોના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો પડે છે. બ્રિટન અને અમેરિકામાં એવું ઘણું વહેલું થયું અને તે તેમની સતત બદલાતી વિઝા-નીતિ અને નિયમોમાં પણ પ્રમાણી શકો. બ્રિટનમાં વસતા હિન્દુઓ માટે અગ્નિસંસ્કાર એક મોટી સમસ્યા હતી, પરંતુ તે દેશે પોતાના નિયમોમાં રહી તે વ્યવસ્થા ઊભી કરી. હિન્દુઓ માટે પોતાના વિદાય પામેલા સ્વજનના અસ્થિફૂલ નદીમાં વહાવવા એ એક મહત્ત્વનું ક્રિયા-કર્મ છે. બ્રિટનની નદીમાં અસ્થિ વિસર્જન કરી શકાતા નહોતા, પરંતુ હવે તે પણ લાંબા સમયની લડતે થઇ શકે છે. થેમ્સ નદીમાં ગંગાની ધારા તો વહાવી ન શકાય તો ય હિન્દુઓ માટે આ પૂરતું છે.

પરંતુ મુસ્લિમ દેશોમાં હિન્દુઓ પોતાની ધાર્મિક પ્રણાલીઓ, સામાજિક પ્રણાલીઓ જાળવી શકે તે ઘણું મુશ્કેલ રહ્યું છે. ઇસ્લામ ધર્મમાં અન્ય ધર્મીઓ માટે અમુક સ્તરનો જ સ્વીકાર છે. અન્ય ધર્મનાં લોકો ઇસ્લામધર્મી દેશોમાં વસવા, વ્યવસાય -નોકરી કરવા સહજ ઉત્સુક નથી હોતા. વળી એ દેશોની ઇકોનોમી પણ ભારત યા અન્ય દેશોના વ્યવસાય, નોકરી ઉત્સુકો માટે લલચાવે એવી નથી હોતી. એવું બન્યું ખાડીના દેશોમાં અને તેથી મુખ્યત્વે તેની આસપાસનાં દેશોના નાગરિકો ત્યાં જતા થયા એ બધા માટે હજુ આજ સુધી પણ એવું માળખું તો અલબત્ત નથી જ રચાયું કે સામાજિક, સાંસ્કૃતિક મોકળાશ અનુભવે. જેણે પોતાનો ધર્મ પાળવો હોય તે તેમના ઘરના ખૂણે ચૂપચાપ પાળે. જાહેર ભૂમિકાએ ત્યાંના મુખ્ય ધર્મનાં સામાજિકોને ડિસ્ટર્બ થાય તેવું ન કરવું. એક અર્થમાં આ વિશે કોઇ દબાણ પણ ન કરી શકાય. કારણ કે જે તે દેસ પોતાના નિયમોનો આગ્રહ ન રાખે તો તેમની ઓળખ પણ ભૂંસાતી જાય, પરંતુ જો મોટા પ્રમાણમાં તેઓ વિદેશીઓને વસાવવા મજબૂર હોય તો કેટલીક બાબતે તેમણે ખુલ્લા થવું પડે. યુએઇમાં બિનમુસ્લિમ રહીશો માટે અંતિમવિધિ સ્થાન શરૂ થવું એ અર્થમાં મોટી ઘટના છે. આમ તો વિત્યા પાંચ વર્ષથી એ સ્થાન બનીને તૈયાર હતું પણ તેના માટે સંચાલક નહોતા મળતા. હવે અબુધાબીના એ શબઘરનું સંચાલન એક બ્રિટિશ નાગરિક કરવાના છે. ૪૦,૦૦૦ ચોરસ મીટરમાં પથરાયેલા આ સ્થાનમાં કબ્રસ્તાન અને અગ્નિસંસ્કાર કેન્દ્ર છે. ચર્ચ, પ્રતીક્ષાખંડ પણ છે. આજ સુધી અબુધાબીમાં અગ્નિસંસ્કારને સત્તાવાર પરવાનગી ન હતી. તેથી કચરાના ઢગ પાસે પરવાનગી લીધા પછી મૃત સ્વજનનાં શરીરને નષ્ટ કરવું પડતું હતું. પોતાના મૃત સ્વજનને આ રીતે અંતિમ વિદાય આપવી ખાસ્સું અપમાનજનક કહેવાય અને માનવસંસ્કારની ય વિરુદ્ધ ગણાય. જો કોઇ પણ દેશમાં એવું થતું હોય તો તે અયોગ્ય જ ગણાય. વિત્યા પાંચ વર્ષથી દુબઇમાં હિન્દુ મંદિરમાં અગ્નિસંસ્કારની વ્યવસ્થા હતી હવે અબુધાબીમાં અધિકૃત વ્યવસ્થા થઇ અને સ્વયં તેની સરકારે એ માટે તત્પરતા દાખવી તે સૂચવે છે કે ત્યાંના સમાજમાં સાંસ્કૃતિક, ધાર્મિક ઉદારતા આવી રહી છે. શતાબ્દિઓથી જોવાયું છે કે ધંધા, વ્યાપાર કરનારા સમૂહો જ મોટા પરિવર્તક બન્યાં છે. અહીં પણ કદાચ એવું જોઇ શકાય. ઇસ્લામી દેશમાં અનુભવાતી આ હકારાત્મક વર્તણૂકનો વિશ્વનો કોઇ પણ ઉદાર સમાજ આદરથી સ્વીકાર કરશે.

No comments:

Post a Comment