Saturday, October 15, 2011

પાણી બન્યા પણ કેવાં?

પાણી જો એકધારું પાણા પર પડે તો પાણાનેય કાપી નાખે. પાણીનો સ્પર્શ મખમલી અને આમ જુઓ તો એની તાકાત કાંઈ નહીં, પણ પાણી ધારે તો વિરાટ, વિકરાળ અને વિનાશક પણ બની જાય. અદ્દલ માણસ જ જોઈ લો, નહીં?
આ જુઓ તો ખરા, ગ્લાસમાં ભરેલા પાણીની જેમ લોકો નિરુપદ્રવી અને નિરર્થક જીવીનેય કેવા રાજી રહે છે? બધાને મનમાં કેમ થતું નથી કે પોતાના જ અસ્તિત્વના પાણા પર સ્વભાવના સુધારાની પાણીની ધાર પટકાવી પટકાવીને કોઈક ચેન્જ લાવીએ. નકરી ધાંધલ-ધમાલ સહન કરીને ઢસરડા કરનારને ધોધ બનીને ધૂબકતાં અને કોઈક ચમત્કાર કરતાં કેમ આવડે નહીં? ખાબોચિયું, તળાવ, નદી, ઝરણું કે દરિયો, બધું પાણી છે, ઝરમર અને અનરાધાર વરસાદ પાણી છે. આપણેય આવી જ વ્યક્તિત્વની વરાઈટી છીએ. બસ, અંદરના ઉપદ્રવને ઉપજાઉ બનાવીને નિરુપદ્રવીમાંથી નક્કર પરિણામલક્ષી બનવાની વાર છે. પાણી એવાં બનો કે ધાર હોય, ધરાર આગળ વધવાની ધગશ હોય. સવારે જાગો ત્યારે ઊઠી ગયા એવી નહીં પણ સૂર્યની જેમ ઊગ્યા તેવી ફીલિંગ હોય. આખરે પાણીદાર માનવીનો જન્મ મળ્યો છે શા માટે?ગ્લાસમાં ભરાઈને હવે સિક્યોર્ડ ન રહો, જરા ઢોળાવ, જરાક વહેવા માંડો. તમે આવું નહીં કરો તોય વરાળ બનીને ઊડી જવાના છો. ઊડી જતાં પહેલાં ઉજાસ તો ફેલાવો, ચમકારો તો બતાવો અને જગતને જરા ઈમ્પ્રેસ તો કરો, પ્લીઝ.

No comments:

Post a Comment