Wednesday, October 12, 2011

કોણ વધારે હાનિકારક ?

કોણ વધારે હાનિકારક છે, મનમાં છવાયેલી નિરાશા કે વધુ પડતી આશા? આ પેચીદા પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો લાગે છે? તો ફરી વિચારો કે મનમાં નિરાશા આવી ક્યાંથી? નિરાશા જન્મી છે ફળીભૂત નહીં થયેલી આશામાંથી. એક આશા જે ક્યારેક કરી હતી અને આજે પૂરી થઇ નથી, તેણે તો નિરાશાને જન્મ આપ્યો છે. તેણે પાછું મનને એવું હચમચાવી નાખ્યું છે કે નવી આશા જગાવતા એને ભય લાગી રહ્યો છે. પણ જો નવી આશા જાગશે, ફરી કંઇક કરી બતાવવા માટે થનગનાટ અનુભવાશે તો શું થશે? તો વીતી ગયેલી વાત તડકે મૂકાઇ જશે અને નવી આશાને આકાર આપવામાં આખું ચિત્તતંત્ર વ્યસ્ત થઇ જશે. વાસ્તવમાં વધુ પડતી આશા જેવું જગતમાં કશું નથી. માણસે માનવદેહ મેળવીનેય ભગવાન જેવું સ્થાન મેળવ્યું છે, ઝૂંપડામાં મોટા થઇને અપાર સંપત્તિ સર્જી છે અને એલેકઝાંડર તરીકે દુનિયા પર જીત મેળવવાની મહત્ત્વકાંક્ષા પણ સેવી છે. પોતાની નાનકડી આશાને વધુ પડતી ગણવાની જ બંધ કરી નાખો. થયું તેને ભૂલીને મનમાં ગણગણવા માંડો કે નાસીપાસ થઇને એક ક્ષણ બગાડવી પાલવે તેમ નથી. એટલું કરશો તો આ ક્ષણથી સાવ નવા માણસ થઇ જ જશો. 

No comments:

Post a Comment