Friday, November 25, 2011

જ્યારે ગણગણાટ લપડાક સ્વરૂપે ઉભરે ત્યારે...



સંવેદના નહીં સમજી શકનારાને પ્રજા ફટકારે છે


પ્રજામાં અસંતોષ અને નારાજગીનો ચરૂ ઉકળી રહ્યો છે. આ બાબતે અવારનવાર નિર્દેશ આપવા છતાં શાસકોમાં અને શાસન વ્યવસ્થામાં કોઈ જ સુધારો દેખાતો નથી. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને જાહેર કાર્યક્રમમાં તમાચો મારવાની ઘટનાની યોગ્યતાનું મૂલ્યાંકન પ્રજા પર છોડીએ, પરંતુ તે બાબત આવનારા દિવસોના એંધાણ દર્શાવે છે.વારંવારની વિનંતી- કાકલૂદી અને વંચના છતાં પ્રજાની કોઈ જ વાતને ધ્યાનમાં લેવાતી નથી તે કઈ જાતની લોકશાહી? જનલોકપાલ બિલ માટે પ્રજાની અપેક્ષાઓ પર પાણી ફેરવવા માટે તનતોડ પ્રયાસ થઈ રહ્યા છે. હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા થતી નથી કે ન્યાયતંત્ર- વડા પ્રધાન અને પ્રચાર માધ્યમોને તેમાં આવરી લેવાશે કે નહીં.જનલોકપાલ માટે વિશાળ આંદોલન થવા છતાં તે વાતને ધ્યાનમાં લેવાતી નથી. આવું જ જીવન આવશ્યક ચીજવસ્તુના ભાવનું છે. વારંવારની ખાતરી છતાં એક પણ ચીજવસ્તુના ભાવ ઘટતા નથી. વર્તમાન શાસકો પ્રજાને મૂર્ખ બનાવીને માત્ર સમય પસાર કરી રહ્યા છે. તેઓ એમ જ માને છે કે વર્ષ ૨૦૧૪માં પણ સત્તા પર આવી જવાના છે.....
ઈજિપ્તમાં જે રીતે ક્રાંતિની જવાળા જોવા મળી રહી છે તેવું ભારતમાં બનવાનું નથી. કારણ કે પ્રજામાં જ કંઈ દમ નથી. પ્રજા દ્વારા આક્રોશ વ્યક્ત થાય છે, પરંતુ સંગઠન નથી. વિવિધ વર્ગમાં પ્રજાનો બટવારો કરીને એવું વિભાજન કરી નાખવામાં આવ્યું છે કે કદી કોઈ સંગઠિત લડત આપી શકે તેવું હાલમાં દેખાતું નથી.કેન્દ્ર સરકારની તમામ સત્તા હાલમાં તો પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે છે. વિદેશી પ્રચાર માધ્યમો દર બે મહિને એક જ વાત ઠોકી બેસાડે છે કે વિશ્વની પાંચ શક્તિશાળી મહિલામાં એક સોનિયા ગાંધી છે, પરંતુ દેશમાં જે અરાજકતા વ્યાપ્ત છે તે માટે સૌથી જવાબદાર વ્યક્તિ એ જ છે.સમગ્ર વિશ્વમાં વ્યાપાર અને અર્થકારણમાં નબળા ટર્નઓવરની પરિસ્થિતિ છે તેવે વખતે ભારતમાં યુવાન વર્ગને રોજગારી મેળવવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, પરંતુ કોઈ જ રાજકીય પક્ષને આર્થિક બાબતોમાં ચિંતા થતી હોય તેવું દેખાતું નથી. માત્ર દોષારોપણ કરવા સિવાયનું કોઈ જ કાર્ય થતું નથી.ઉદારીકરણની શરૂઆત વખતે ૧૯૯૧માં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે કરવેરાનું તેમ જ સરકારી નિયંત્રણનું પ્રમાણ ઘટશે, પરંતુ આજે વાસ્તવિકતા એ છે કે કરવેરા વધ્યા છે અને નાની વ્યક્તિ માટે તે વેપાર શરૂ કરવો અતિ મુશ્કેલ બની ગયો છે.પ્રજાની નારાજગી માત્ર કેન્દ્ર સરકારની અનિર્ણાયકતા પ્રતિ જ નથી, પરંતુ લુચ્ચાઈ અને છેતરપિંડી ભરેલી તમામ આર્થિક નીતિને કારણે પ્રજા ગળે આવી ગઈ છે, કેટલા વર્ષો સુધી આવું સહન કરવું તેવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. પ્રજાનો ગણગણાટ તુમાખીભર્યા શાસકોને કાને સંભળાતો નથી......
વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને માત્ર ન્યૂકલીઅર ઈલેક્ટ્રિસિટી સિવાયના કોઈ જ મુદ્દામાં રસ નથી. સૌથી વધુ જોખમી એવા પાવર પ્લાન્ટ સામે પ્રજાને કઈ સુરક્ષા મળે છે તેની કોઈ વાત થતી નથી, પરંતુ એનર્જી સિક્યોરિટી માટેનો મુદ્દો આગળ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રના બીજા પ્રશ્ન કયાંય પાછળ ધકેલાઈ ગયા છે.કૃષિ મંત્રી તરીકે શરદ પવાર નિષ્ફળ છે છતાં માત્ર ૧૦-૧૨ સાંસદોના ટેકા માટે તેમની પર લોકસભામાં આધાર રાખવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને શરદ પવારના પક્ષ વચ્ચે ગઠબંધન છે. બન્ને એક જ મુદ્દે સહમત છે કે ગમે તે પ્રકારે સત્તા જાળવવી અને પૈસા ખંખેરવા!!કૃષિ મંત્રાલયનો એક પણ નિર્ણય પ્રજાના હિતમાં લેવાયો નથી. તેમ છતાં વર્ષ ૨૦૦૪થી સતત શરદ પવાર તે વિભાગ સંભાળી રહ્યા છે. કૉંગ્રેસ પક્ષની એવી તો કઈ મજબૂરી છે કે જેથી તેમને કંઈ જ થઈ શકતું નથી. ખાંડ અને કાંદાની નિકાસમાં પણ તેઓ જ પોતાનું ધાર્યું કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે કૉંગ્રેસ પક્ષ જ નિર્માલ્ય છે.કૉંગ્રેસ પક્ષ હાલમાં સાવ દિશાશૂન્ય છે. જેટલા હોદ્દેદાર છે તેટલા વિચાર અને તેટલી જ વિચારધારા છે. દરેક મહામંત્રી જુદું-જુદું બોલે છે. વળી બોલવામાં પણ કોઈ વિવેક અથવા શિસ્ત દેખાતા નથી. આવે વખતે પ્રજાનો રોષ આ પ્રકારના પ્રતિભાવરૂપે ન ઉભરે તે જ નવાઈની વાત હોય શકે.લોકશાહી અને ગઠબંધન સરકાર બન્નેની મર્યાદા જોવામાં આવી રહી છે માત્ર મર્યાદા નહીં, પરંતુ દરેક ક્ષેત્રે માત્ર ને માત્ર નિષ્ફળતા છે. એક પણ ક્ષેત્રે સંતોષ લઈ શકાય તેવું નથી. આથી તો બહેતર છે કે મધ્યસત્ર ચૂંટણી જાહેર થાય. 

No comments:

Post a Comment