Thursday, October 20, 2011

સિદ્ધાંત અને સદાચાર સાથેના નેતૃત્વની અછત જણાય છે

ઘરને શાંતિમય બનાવવું છે? તેનો એક જ મંત્ર છેઃ સ્વીકારભાવ.


જો ભારતવર્ષનો ઇતિહાસ તપાસવામાં આવે તો એમ લાગે છે કે આંતરિક ફાટફૂટ- થોડા લોભ કે લાલચ માટે સિદ્ધાંતોને દગો દેવો- પાટલી બદલવી- વિચારોમાં સ્વાર્થ સાથે પરિવર્તન લાવવું, આવું જ જોવા મળે છે. આથી તો દેશમાં ધર્માંતર થયું અને પછી રાષ્ટ્રાંતર થયું હતું.

આજે પણ તે જ સીલસીલો ચાલુ છે. ઇતિહાસના એવા જ પાત્રો જોવા મળે છે. ઇતિહાસનું તત્ત્વ એ જ રહ્યું છે, પરંતુ પાત્રો બદલાયાં છે. અણ્ણા હઝારે દ્વારા સારું કાર્ય કરવામાં આવ્યું હતું. પ્રચાર માધ્યમોએ પણ તેની સુખદ નોંધ લીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં પણ હવે ડખા જોવા મળી રહ્યા છે.

વિદેશી આક્રમણખોરો સફળ કેમ થયા? તુર્ક, મોંગોલ, અફઘાન, આરબ, ઇરાની આક્રમકો સફળ થયા તેની પાછળ રાષ્ટ્રમાં આંતરિક ખટપટ હતી. એકબીજાને પછાડવાના ખેલ થતા હતા તેનો લાભ વિદેશી આક્રમકોએ લીધો હતો. આજે પણ તેવો જ લાભ લેવાય છે તે જુદી રીતે છે જે સામાન્ય વ્યક્તિને સમજાય તેવું નથી.

રાષ્ટ્ર સમક્ષ સૌથી મોટો પડકાર નેતૃત્વના અભાવનો છે. સિદ્ધાંત અને સદાચાર સાથે નેતૃત્વ આપી શકે તેવા નેતાઓ જ દેખાતા નથી. જો કોઈ આગળ આવીને કોઈક પ્રયત્ન કરે તો પ્રજામાંથી જ કોઈ વિઘાતક પરિબળ આવીને તેને તોડી પાડવા- મોટા પાયે ભાંગફોડ કરે છે. આવો ક્રમ સતત ચાલુ છે.

આવે વખતે એમ થાય છે કે આના કરતાં સરમુખત્યારશાહી હજાર દરજ્જે સારી છે. ન્યાયતંત્રમાં માત્ર મુદતો જ પડે છે. એક સામાન્ય કેસ હોય તેના નિકાલમાં ત્રણથી પાંચ વર્ષ લાગે છે. આમાં ન્યાય મળે છે કે પછી અન્યાયને પ્રોત્સાહન મળે છે તે સમજવું મુશ્કેલ બની જાય છે.

વર્તમાન શાસકોમાં ઉદ્ધતાઈ અને તુંડમિજાજીપણું જોવા મળી રહ્યું છે તેમને નિયંત્રણમાં રાખનારું કોઈ જ પરિબળ નથી. હજારો કરોડ રૂપિયાના કૌભાંડ બદલ માત્ર જેલની સજા થાય છે અને પછી જામીન મળી જાય છે. તેમાં ન્યાય નથી, પરંતુ ન્યાયનું અપમાન છે. ખોટા અગ્રતાક્રમને કારણે જ આવું બને છે.

ચૂંટણી આવે છે તેવે વખતે શિક્ષિત વર્ગ મતદાન કરવા જતો નથી, પરંતુ ત્યાર બાદ થતાં વિશ્લેષણમાં સૌથી વધુ સક્રિય તેઓ જ હોય છે!! લોકશાહીમાં મતદાન ન થાય તો તેવી વ્યવસ્થાનો શું અર્થ? ૧૯૫૨ પછી થયેલી તમામ ચૂંટણીમાં માત્ર લઘુમતી સરકાર જ આવી છે. મતલબ કે ૫૦ થી ૬૦ ટકા મતદાન થયું છે તેમાં ૨૫ થી ૨૭ ટકા મત મેળવનાર પક્ષ શાસનમાં આવે છે.

ચૂંટણી માત્ર પૈસા હોય તે જ જીતી શકે છે અને જામીન જેમને વગ છે તેમને જ મળે છે. આવો ક્રમ ધરાવતી લોકશાહી વ્યવસ્થા આપણે ત્યાં છે. વાસ્તવમાં આ પદ્ધતિ ખરેખર લોકશાહી છે? ચૂંટણી એ લોકશાહીનો ભાગ છે કે પછી સ્થાપિત હિતો સત્તામાં જ રહે તેવી કોઈ ગોઠવણ છે?

પ્રજા મર્યાદિત સરમુખત્યારશાહીને ઇચ્છે છે. દીવાલ પરના અક્ષરો શાસકોએ વાંચી લેવાની જરૂર છે કે આવી રીતે બહુ લાંબુ ચાલવાનું નથી. યુરોપ - અમેરિકામાં શરૂ થયેલો જુવાળ સમગ્ર વિશ્વમાં ગમે ત્યાં પહોંચી શકે છે. આવી બાબતોથી ચેતી જવાની જરૂર છે. ક્રાંતિની આગ કોઈને પૂછીને શરૂ થતી નથી. પ્રજામાં કેટલી નારાજગી છે તેનો અનુભવ થશે તે વખતે ઘણું મોડું થઈ ગયું હશે.

આજની સૌથી મોટી આવશ્યકતા સત્ય આધારિત ચારિત્ર્યની છે. જો સમગ્ર બાબત અસત્ય પર આધારિત હશે તો તે બહુ લાંબુ ટકવાની નથી, કારણ કે તે આંતરિક વિરોધાભાસવાળી હશે. વિશ્વનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સત્ય આધારિત બાબત જ ટકી છે તે સિવાયનું સઘળું કાળની ગર્તામાં વિલીન થયું છે.

રાષ્ટ્રમાં આંતરિક પડકાર, સુરક્ષા, આર્થિક વ્યવસ્થા, રોજગારી અને સુરક્ષિત ભવિષ્ય વગેરે જેવા મુદ્દાઓ પર તો કોઈ ધ્યાન અપાતું જ નથી. વળી જે કંઈ કાર્ય થઈ રહ્યું છે તે માત્ર ચોક્કસ વર્ગ અને કોમ પૂરતું જ થતું હોય તેમ લાગે છે. પ્રજાના વિશાળ વર્ગની ઉપેક્ષા થઈ રહી છે તેના સેંકડો પ્રમાણ છે.

મોકો આવ્યે પ્રહાર થશે તેવી જે નીતિ છે તે અયોગ્ય છે. ખોટું થતું હોય ત્યાં તુરત જ અટકાવવું જોઈએ. વિદેશી આક્રમકો પહેલા તો મંદિરની સંપત્તિ લૂંટવા આવતા હતા, પરંતુ તેનો મુકાબલો થતો નહોતો એટલે પછી લૂંટીને નાસી જવાને બદલે તેમણે અહીં જ રહેવાનું યોગ્ય લાગ્યું- પછીનો ઇતિહાસ નજર સમક્ષ છે.
ઇતિહાસમાંથી આપણે કંઈ જ શીખ્યા નથી તેમ ઇતિહાસ પુરવાર કરે છે. આ માટે હવે કોઈ જ પ્રમાણની જરૂર નથી. વેપાર કરવાને બદલે અંગ્રેજોએ રાજસત્તા કબજે કરી હતી. આ દષ્ટાંત પરથી શું શીખવાનું મળ્યું છે? જો વિશ્લેષણ કરવામાં આવે તો ઘણી જ અસંતોષકારક બાબત બહાર આવે છે. 

No comments:

Post a Comment