Thursday, October 6, 2011

સુખી જીવન જીવવાની ખ્વાહીશ છે?

તાજેતરમાં શેખ સા’દીના જીવન સાથે સંકળાયેલો એક સરસ પ્રસંગ જાણવા મળ્યો. એકવાર એમના પગના અંગૂઠાનો નખ ઊખડી ગયો. ખૂબ પીડા થઈ. લોહી નીકળ્યું. શેખસાહેબ મસ્જિદમાં જઈને શિકાયત કરવા લાગ્યાઃ યા પરવરદિગારે આલમ! હું તો તારો નમ્ર બંદો છું. રોજ પાંચવાર અચૂક નમાઝ પઢું છું. રોજા રાખું છું. ગરીબો-હાજતમંદોને મદદ કરું છું છતાં મને જ તકલીફ કેમ? હૈયાવરાળ નીકળી જતાં શેખ બહાર નીકળ્યા ત્યાં ગોઠણથી બંને પગ કપાઈ ગયેલા એવા એક શખસને પૈડાંવાળા લાકડાના પાટિયા પર ઘસડાતો જોયો. પેલો તો એની મોજમાં હતો. શેખસા’દી સાહેબને તરત મનમાં બત્તી થઈ. ત્વરિત દોડ્યા. મસ્જિદમાં જઈને રબની માફી માગવા લાગ્યાઃ આ અદના સેવકને માફ કરી દો બંદાપરવર. મેં ખોટી ફરિયાદ કરી. અંગૂઠાનો નખ ઊખડી ગયો તેમાં ઘણું બોલી નાખ્યું. પેલાને તો બે પગ પૂરા નથી તોય પોતાની મસ્તીમાં જીવ્યે જાય છે. હું બેકદર છું. હું સ્વાર્થી છું. તારી દયા, દુવા અને રહેમોકરમને પિછાણી ન શક્યો. મને ક્ષમા કર મારા પરવરદિગાર...!

આજે આદમી ઘડિયાળને કાંટે સતત દોડ્યા કરે છે. મશીનની જેમ કામ કરે છે, પણ એના મનને જંપ નથી. તે પોતાના દુઃખનાં ગાણાં ગાયાં કરે છે.સાવ નાની નાની વાતે ઓછું લાવે છે. તાણમાં જીવવું જાણે તેની આદત બની ગઈ છે. તે આધુનિક ઉપકરણોને વસાવી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે, પરંતુ પોતાના નિર્દોષ હાસ્યને વહાવી નથી શકતો. હરપળે તેનું જીવન ભારે જ લાગે છે. તે જીવનને માણી શકતો નથી. આર્થિક સદ્ધરતા તો છે, પણ માનસિક સદ્ધરતાનો નાશ થયો છે. ગુસ્સો, ચિંતા, નફરત, દોષ તેને શાંતિથી જીવવા દેતાં નથી.જીવનની દરેક ક્ષણ તે તાણમાં જ વિતાવતો હોય છે. તે પોતાના સાથી-સંગાથીઓને પણ વિશ્વાસમાં રાખી શકતો નથી. કારણ કે તેને પોતાનામાં વિશ્વાસ રહ્યો નથી. ગમે તેટલું મળવા છતાં શિકવા, શિકાયત તેની રોજિંદી આદત બની જવા પામી છે.

ઈસ્લામ ધર્મના ઉપદેશ અનુસાર વ્યક્તિએ પોતાના જીવનને સુમધુર બનાવવા માટે પોતે જ પ્રયાસ કરવો પડે છે. તે વ્યક્તિ આનંદમાં નહીં રહે તો કોઈ પણ વ્યક્તિ તેને આનંદમાં રાખી નહીં શકે.‘ સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈની’ પંક્તિ મુજબ પોતે હસશે તો દુનિયા હસશે, પણ પોતે રડશે તો કોઈને પડી નથી કે તેની પાછળ રડવા લાગે.બીજાના દુઃખે દુઃખી થઈને પોતાના સુખને બરબાદ કરનારને આજના સમયમાં ‘બેકાર લાગણીશીલ’ માનવામાં આવે છે. તેને ‘દૂબળો’ ગણવામાં આવે છે - કમજોર લેખવામાં આવે છે.

સુખી જીવનની સૂફી સલાહ વર્ણવતી એક પ્રેરણાદાયક લઘુકથા જાણવા જેવી છે. પોતાને ત્યાં વરસો સુધી અભ્યાસ કરીને સંસારમાં જઈ રહેલા શાગીર્દને ઉસ્તાદે કહ્યું,‘એક વાત સદા યાદ રાખજે, સુખ અને દુઃખ બંને માણસના મનમાં હોય છે. ભૂખ્યા માણસને સમયસર ભોજન મળે તો એ સુખી થાય છે, પરંતુ પોતાનું ભોજન કોઈ અન્યને મળે તો એ દુઃખી થાય છે.ઘણીવાર તો માણસ સુખ - દુઃખની વ્યાખ્યા વિશે સ્પષ્ટ હોતો નથી, માટે તને ક્યારેક દુઃખની લાગણી થાય ત્યારે તારાથી નીચલા સ્તરના કોઈ માણસને જોજે. તું તારું દુઃખ ભૂલી જઈશ. કદી ઊંચે નહીં જોતો, નીચે જોજે.’સાચે જ ઊંચે જોનારને દુઃખની ભાવના જલદી પજવે છે. સૂફી, ઓલિયા, સંતો ઓછામાં ઘણું કહી દેતા હોય છે. એ સાંભળવાની અને સાંભળીને સમજવાની જરૂર હોય છે. સમજીને આચારમાં ઉતારો તો દુઃખ જેવો શબ્દ જીવનની ડિક્શનરીમાં રહે નહીં. 

કોઈને કંઈ નવું મળે તેનાથી આપણને શા માટે દુઃખ થવું જોઈએ?

દુઃખ ક્યારેક ઈર્ષામાંથી જન્મે છે. બે સગાં ભાઈ હોય અને બેમાંથી એકની તરક્કી, સંપત્તિ, જાહોજલાલી વધે ત્યારે બીજાને અદેખાઈ આવે તો એ દુઃખી થવાનો, પણ અદેખાઈને બદલે એમ વિચારે કે આ પ્રગતિ, સંપત્તિ મારા ભાઈની છે. ભાઈ ક્યાં પારકો છે? તો આપોઆપ દુઃખની લાગણી ઓગળી જવાની. એ અર્થમાં પણ સૂફી, ઓલિયાઓની વાત સમજવા જેવી છે. શબ્દો થોડા બદલીને કહીએ તો કંઈક આમ કહી શકાય. તને દુઃખની લાગણી થાય ત્યારે તારાથી વધુ દુઃખી કોઈને જોજે. તારી પીડા ઘટી જશે. તકલીફ મૂળ અહીં છે. આપણે પીડાની પળોમાં આપણાથી વધુ સુખી હોય એની તરફ જોઈએ છીએ. એટલે આપણું દુઃખ બમણું થઈ જાય છે. એનો છેડો ક્યાંય દેખાતો નથી. અંત આવતો જ નથી.બધા જ સંબંધ સ્વાર્થી નથી હોતા. તેને પરોક્ષ રીતે જોવાથી તેમાં રહેલા આનંદને માણી શકાય છે. સંબંધની પરીસીમાઓ નક્કી કરવાથી અનેક મુસિબતોમાંથી ઉગરી જવાય છે.ટૂંકમાં નીચું જુઓ, અપેક્ષા ઘટાડો. અસહ્ય થઈ પડે તો તમારાથી ઓછા સુખી કે વધુ દુઃખીને જુઓ. પછી એક જાણીતા શાયરે હિન્દી ફિલ્મના ગીતમાં કહેલી આ આશાસ્પદ વાતને તમારા જીવનમાં વણી લો અને તેને સતત વાગોળતા રહોઃ-

દુનિયા મેં કિતના ગમ હૈ

મેરા ગમ કિતના કમ હૈ,

લોગોં કા ગમ દેખા તો

મેં અપના સારા ગમ ભૂલ ગયા...

No comments:

Post a Comment