Saturday, October 22, 2011

માટી, તને મૃદુ ફૂલ બનીને મહેંકવાનું સૂઝયું ક્યાંથી? - ઉમાશંકર જોશી

માર્કેટમાં ક્યાંય માટીની સુગંધવાળું પરફયુમ મળતું હોય તેવું હજી ખ્યાલમાં નથી. અપરંપાર જીવનું સર્જન કરવામાં માટીનો જોટો જડવો મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ છે તેની મીઠી સુગંધની બરોબરી કરી શકે તેવા પદાર્થને શોધવો. માટી જેવું જ માણસોનું પણ ખરું. અમુક માણસોને મહેંકવાનો નૈસર્ગિક પરવાનો મળ્યો હોય છે. તેમને મહેલમાં રાખો કે ઝૂંપડામાં, ટોળામાં રાખો કે એકાંતમાં, તેમના વ્યક્તિત્વની સુગંધથી તેમની આસપાસનું વાતાવરણ મઘમઘી જ ઊઠે. આવા માણસ હોવું એ આનંદની વાત છે. ના હોઈએ તો આવા માણસ બની બતાવવું એ સાધનાની વાત છે. દરેક જણે બીજી બધી દ્વિધા સાથે એક દ્વિધાનો કાયમ વિચાર કરવો જોઈએ કે મારી હાજરીથી આસપાસના સૌ રાજી થાય છે કે નહીં. જેની પાસે આનો જવાબ માટીની મહેંક જેટલો મીઠો છે તે માણસે બીજી બધી ખામીઓની ચિંતા કરવી જ નહીં. મહેંકવાનો સદ્ગુણ મળ્યા પછી શ્રીમંતાઈ કે ગરીબી બધું ગૌણ બની જાય છે. હવા જેમ સુગંધ લઈ ફર્યા કરે છે તેમ મહેંકતા માણસની વાહ વાહ કરતા લોકો તેમનું માન વધાર્યા કરે છે. એવા બન્યા પછી જીવનમાં ક્યારેય કોહવાઈ ગયા જેવું નહીં લાગે. 

No comments:

Post a Comment