Tuesday, October 18, 2011

પ્રજાને હવે રાજકીય પક્ષોની કોઈ વાતમાં ભરોસો નથી,

લોકશાહી વ્યવસ્થામાં રાજકીય પક્ષો ભાગ્યે જ એકસરખા વિચાર ધરાવે છે. તેમને દરેકને પોતાનો એજન્ડા અને વિચારધારા છે. તેઓ આ મુદ્દે જ એકબીજાની સાથે આખડી રહ્યા છે. એકબીજાને ચમકી આપવા તત્પર છે. લોકોને તો હવે રાજકીય પક્ષોની કોઈ જ વાતમાં તસુભાર વિશ્વાસ રહ્યો નથી. રાજકીય પક્ષોના અગ્રણીઓ અને નેતાઓની ખાતરીમાં પ્રજાને આદર સન્માન જેવું કશું જ રહ્યું નથી. વાસ્તવમાં તમામ રાજકારણીઓ તિરસ્કારને પાત્ર છે. સંસદનો કોઈ વિકલ્પ નથી, પરંતુ ત્યાં કંઈ જ થતું નથી. તે માત્ર વાતોનાં વડાં કરવાનું મથક છે. બીજી બાજુ રાજકીય પક્ષો પાસે કોઈ એજન્ડા નથી. તેમની એકમાત્ર મહેચ્છા સત્તા કબજે કરવાની છે. વિરોધાભાસી બાબત એ છે કે રાજકીય પક્ષો પ્રજાની નજીક આવવા પ્રયાસ કરે છે તો તેઓ તેનાથી વધુ દૂર ધકેલાતા જાય છે. નિરાશ થયેલા અડવાણી હવે રથયાત્રાએ નીકળ્યા છે. આ માટે તેમણે જયપ્રકાશ નારાયણના જન્મસ્થળને પસંદ કર્યું છે. અડવાણીની રથયાત્રા પાછળનો આશય વિદેશી બેન્કમાં પડેલા ભારતીય પ્રજાના નાણાં પરત લાવવાની વાત છે. ભ્રષ્ટાચાર નાબૂદીની તેમની માગણી છે, પરંતુ આ બાબત અણ્ણા હઝારેએ ક્યારનીય કરી છે, પરંતુ મને તો આ સમગ્ર બાબત કોમવાદી લાગે છે. અડવાણીની રથયાત્રા એ ભાજપના આંતરિક રાજકારણનો ભાગ છે. અડવાણી વડા પ્રધાન બને કે પછી નરેન્દ્ર મોદીને આગળ કરે રાષ્ટ્રને તેમની કોઈ જ પરવા નથી. લોકોને તેઓ જે રાજકારણ ખેલે છે તેનાથી નુકસાન થાય તેવું છે. સમાજમાં ભાગલા પડી રહ્યા છે. ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ તો યાત્રામાં એક છોગું ઉમેરવા જેવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા ખાતે રામમંદિરનો મુદ્દો હજુ ભાજપના એજન્ડામાં છે. બીજી બાજુ કોર્પોરેટ જગત નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદે લાવવા માગે છે. તેમણે મોદીને સીઈઓ તરીકે નવાજ્યા હતા. જ્યાં સુધી કૉંગ્રેસને લાગુ પડે છે તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા સાવ તળિયે પહોંચી ગઈ છે. કૉંગ્રેસ પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધી આજે વર્ષોથી બેકસીટ ડ્રાઈવિંગ કરી રહ્યા છે. તેમણે પક્ષ પરથી નિયંત્રણ ગુમાવ્યું છે. કદાચ આરોગ્ય પણ એક કારણ હશે. તેમને સૌથી મોટી ચિંતા તેમના પુત્ર રાહુલ ગાંધીની છે. રાહુલ રાજકારણમાં કોઈ નવા પરિમાણ લાવવામાં નિષ્ફળ છે. તેઓ વડા પ્રધાન મનમોહન સિંહનું સ્થાન લઈ શકે તેવું દેખાતું નથી. કૉંગ્રેસ તેના સિવાય કોઈને આગળ આવવા દે તેવું નથી. મધ્યમ વર્ગને હવે કૉંગ્રેસમાં કોઈ ભરોસો રહ્યો નથી. કૉંગ્રેસ પક્ષે લોકોના કલ્યાણ, ગરીબી નાબૂદી માટે યોજનાઓ આપી તેને કારણે તેની લોકપ્રિયતા વધી હતી. હજુ કૉંગ્રેસ વધુ લોકપ્રિય યોજના અમલી બનાવશે. કૉંગ્રેસ પક્ષે સીબીઆઈને સુપ્રીમ કોર્ટના નિયંત્રણ હેઠળ મૂકવાની જરૂર હતી. કૌભાંડમાં ઘણી મોટી રકમની સંડોવણી છે. અણ્ણા હઝારેની ટીમ માત્ર ભ્રષ્ટાચાર જ નહીં, પરંતુ અકાર્યક્ષમતાની પણ વિરુદ્ધમાં છે. લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે, છતાં અણ્ણાની ટીમમાં કોઈએ તેમને સંસદની ઉપર જણાવ્યા છે. આવું બોલવું તે જરા પણ યોગ્ય નથી. અણ્ણાની ટીમમાં કોઈકને સત્તા કબજે કરવામાં રસ છે. સંસદમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકોની જરૂર છે. ૧૯૭૭માં જયપ્રકાશ નારાયણની ચળવળ તે હેતુથી જ હતી. સંસ્થાઓનું કદી અવમૂલ્યન નહીં થવું જોઈએ. કૉંગ્રેસ પક્ષે અણ્ણા હઝારેને આરએસએસના ટેકેદાર ગણાવ્યા તે યોગ્ય નથી. તે અગાઉ વર્ષો પહેલાં કૉંગ્રેસે જયપ્રકાશ નારાયણને સીઆઈએના માણસ ગણાવ્યા હતા. જ્યારે અણ્ણાએ સ્પષ્ટતા કરી છે તેવે વખતે બાબત બંધ થવી જોઈએ. મૂળભૂત પ્રશ્ન એ છે કે હવે કઈ રીતે વ્યવસ્થાતંત્રને અસરકારક બનાવવું કારણ કે ભ્રષ્ટાચારને કારણે કંઈ જ થઈ શકતું નથી. શું આ માટે સામૂહિક વિચારણા કરવી જોઈએ? તેના માટે તમામ રાજકીય પક્ષોને ભેગા કરવા કે પછી સર્વસંમત વાતાવરણ ઊભું કરવું? જ્યાં સુધી રાજકારણમાં નૈતિકતા નહીં આવે આવું કંઈક જ કરવું અશક્ય છે.

No comments:

Post a Comment