Tuesday, October 18, 2011

ખેતીવાડીની જમીનમાંથી કુદરતી સત્ત્વો ઘટી રહ્યાં છે

કુદરત એ વિશ્વમાં શ્રેષ્ઠ અને સફળ શિક્ષક છે.


આર્થિક બાબતોના અગ્રતાક્રમ જેટલા ખોટા છે તેટલા જ ખોટા શહેરીકરણ અને ઔદ્યોગીકરણના અગ્રતાક્રમ છે. મોટા શહેરોને કારણે જે પ્રશ્ન ઊભા થયા છે તેના ઉકેલ માટે આજે હવે ક્ષમતા રહી નથી. એક પણ સુધરાઈ તંત્ર ગંદકી, કચરો, અસ્વચ્છતા વગેરેના પ્રશ્નને ઉકેલી શકવાને સક્ષમ રહ્યા નથી.

ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારમાં જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. ખેતીવાડીને લાયક જે જમીન છે તેના સત્ત્વોનો એવો તો વિનાશ થઈ રહ્યો છે કે જ્યારે જાણકારી થશે તે વખતે ત્યાં કંઈ જ બચ્યું નહીં હોય!! ખેતીવાડીની જમીન સાવ કસ વગરની થઈ ગઈ છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે છાણિયા ખાતરની તંગી છે.

નદીઓને પ્રદૂષિત કરવામાં કેમિકલ્સનો કેટલો મોટો ફાળો છે તે વાત હવે ચવાઈ ચવાઈને જૂની થઈ ગઈ છે. યમુના નદીમાં દિલ્હીનો માનવ સર્જિત કચરો ઠલવાય છે અને પછી તે જ યમુના નદીને માટે શુદ્ધિકરણના કરોડો રૂપિયાના બજેટ નક્કી કરવામાં આવે છે!!

આ કઈ જાતની વ્યવસ્થા છે અને કઈ જાતનો વિકાસ છે તે સમજવું ખૂબ મુશ્કેલ છે. ઈલોકોજિકલ સેનિટેશન પર ખાસ વિચારણા કરવાની જરૂર છે. આ બાબતે માત્ર કૃષિ સાથે સંકળાયેલા જ નહીં, પરંતુ છેક ઉપલી કક્ષાએ નીતિ વિષયક આયોજન કરનારાઓએ પણ ગંભીરતાથી રસ લેવાની જરૂર છે.

જમીનની ફળદ્રુપતા જરૂરી છે કારણ કે તેનાથી અનાજનું ઉત્પાદન જાળવી શકાશે. જો કોઈ કારણથી અનાજના ઉત્પાદનમાં ઘટાડો થયો તો શું થાય તે માત્ર ચર્ચાનો વિષય બને છે. ઉત્તરાખંડ એક જ રાજ્ય છે કે જ્યાં ઢોર ચરાવવા માટે જંગલ બચ્યું છે. ઉત્તરાખંડમાંથી છાણિયું ખાતર પંજાબના શ્રીમંત ખેડૂતોને વેચવામા આવે છે. આ બાબત પરથી તેનું મહત્ત્વ પ્રજાએ સમજવું રહ્યું.

નદીઓ જ ગટર બની ગઈ છે. કારણ કે તમામ કચરો ગટરમાં ઠલવાય છે અને આવા પ્રદૂષિત પાણીથી ખેતીવાડી નબળી પડે છે અને જમીનની ફળદ્રુપતાને ઘસારો લાગે છે. આવો ક્રમ તમામ નદીઓની આસપાસ આવેલા શહેર, નગર અને ગામડાંમાં જોવા મળે છે, પરંતુ કોઈનું પણ ધ્યાન જતું નથી.

ખાવા-પીવાની ચીજવસ્તુના ભાવમાં સતત વધારો થયા કરે છે. પ્રતિ વર્ષ ઉત્પાદન ઢગલાબંધ થાય છે, પરંતુ ભાવ વધે છે અને તેના સ્વાદ, મીઠાશ ઘટી રહ્યા છે. આવો વિરોધાભાસ દરેક વ્યક્તિની નજર સામે છે, પરંતુ કોઈ વિચારણા કરતું નથી. તેના કારણ શોધવા આગળ આવતું નથી. તેમ જ તેનું વિશ્લેષણ પણ થતું નથી.

ચીકુ, પપૈયા, દાડમ, સફરજન જેવા ફળો પણ હવે તો સત્ત્વ વગરના થઈ ગયા છે. તેમનો કુદરતી સ્વાદ જ હવે રહ્યો નથી. જે જમીનમાં તે પાકે છે તે જમીન જ સત્ત્વહીન થઈ ગઈ છે આથી દેખીતી રીતે જ તે જમીનમાંથી નીપજતી ઉપજ કસ વગરની, સ્વાદ કે સોડમ વગરની હોય તે સ્વાભાવિક છે.

ગુજરાતી ભાષામાં કહેવાયું છે કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા, આ બાબત જમીનમાંથી ઉત્પાદિત તમામ ચીજવસ્તુને લાગુ પડે છે. એક સમયે ભાલ કાંઠામાં થતાં ઘઉં વેઢા જેવડો દાણો ધરાવતા હતા, આજે આવા મૂલ્યવાન દેશી ઘઉં સાવ અલભ્ય છે ક્યાંક થતાં હોય તો જાણકારી નથી.

તેવી જ રીતે કઠોળમાં મગ, ચણા વગેરેના ગુણધર્મ ઓછા થઈ ગયા હોય તેવું લાગે છે. કઠોળમાં ભાવ એટલા વધી ગયા છે કે સામાન્ય વ્યક્તિને તેના ભાવ પરવડે તેવા નથી. આ સઘળું જમીનની ફળદ્રુપતા ઘટી જવાને કારણે થયું છે તે અંગે વ્યાપક ચર્ચા થવી જોઈએ.

આયુર્વેદના ઓસડિયાંઓએ તેનું પરંપરાગત મૂલ્ય ક્યારનું ય ગુમાવ્યું છે. આયુર્વેદિક ઔષધ આજે અસરકારક રહ્યા નથી. કારણ કે જે જમીન પર તે થાય છે તે જમીન જ મૂળભૂત સત્ત્વ વગરની થઈ ગઈ છે. કુદરતી સંપત્તિ ધરાવતા તત્ત્વો જમીનમાં હોય તે જ ખતમ થઈ ગયા છે.

ઘણા કહે છે કે હવે કંઈ થઈ શકે તેવું નથી, પરંતુ જો પ્રયાસ કરવામાં આવે તો હજુ બગડી ગયેલી બાજી સુધારી શકાય તેવું છે. જમીનના સત્ત્વો જે કારણોથી ઘટી રહ્યા છે તેની જાણકારી છે. હવે નિષેધાત્મક પ્રયાસો થવા જોઈએ. બાકી વાતો ઘણી થઈ છે. ચોક્કસ અને નક્કર કાર્ય થવું જોઈએ.

આ બાબતે સ્વૈચ્છિક સંગઠનોએ જ પોતાની કામગીરીનો વ્યાપ વધારવો પડશે. સમગ્ર પ્રજાને સ્પર્શતી આ બાબત છે. વળી પ્રજાના કલ્યાણનો મુદ્દો છે. જમીનની ગુણવત્તા સુધારવા પ્રજાએ જ કેટલાક નિષેધાત્મક ઉપાય સ્વીકારવા પડશે. આધુનિકતા ઘણી વખત અભિશાપ સમાન પુરવાર થાય છે. 

No comments:

Post a Comment