Sunday, November 27, 2011

એક થપ્પડ ઈધર ભી, ઉધર ભી...

ચિત્ર એવું ઉપસાવાઇ રહ્યું છે કે વિદેશી કંપનીઓ વેપાર કરવા નહીં ખેરાત કરવા આવી રહી છે


ભારતકુમાર મનોજકુમારની ‘રોટી, કપડા ઔર મકાન’ ફિલ્મમાં પ્રેમનાથને મોંઘવારી એવી હાડોહાડ લાગે છે કે લલકારે છેઃ પહેલે મુઠ્ઠી મેં પૈસા દેકર થેલે મેં શક્કર લાતેં થે, અબ થેલે મેં પૈસે જાતેં હૈ, મુઠ્ઠીભર શક્કર આતી હૈ... બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઈ.

પ્રેમનાથનો એ ચિત્કાર ત્રણ-સાડાત્રણ દાયકામાં કેટલો હિંસક બની ગયો છે તેનું પ્રમાણ સૌએ ‘લાઈવ’ નિહાળ્યું. સ...ટા...ક એક થપ્પડ ૭૧ વર્ષના કૃષિપ્રધાનને ૨૭ વર્ષના શીખ હરવિંદર સિંહે જડી દીધી અને રાષ્ટ્રીય સ્તરે હીરો બની ગયો. એ આખી વાતને નાદાન માણસની પબ્લિસિટી ભૂખ કહી વગોવી ઠેકાણે પાડી દેવી કદાચ રાજકીય કૂટનીતિ ભલે હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશભરમાં આબાલ-વૃદ્ધ, શિક્ષિત-અશિક્ષિત, ગરીબ-તવંગર તમામ વર્ગના પ્રત્યાઘાત સરખા જ પડ્યા છે. તેનો પડઘો છેઃ આખરે માણસ કરે તો કરે શું? તમામ પક્ષના રાજકારણીઓએ ગંભીર વદને પોતાનો વિરોધ, વખોડનીતિ ભલે દર્શાવી હોય પરંતુ અંદરખાને પ્રજાના રોષના સાક્ષી તો રહ્યા જ છે.

પ્રશ્ન એ પણ છે કે ખરેખર આ ‘લાફા-પ્રકરણ’ પબ્લિકના રોષનું બેરોમીટર છે કે પછી કોઈ રાજકીય સાઝિશ?એ થિયરી પાછળનું એકમેવ કારણ છે થપ્પડ પ્રકરણના દિવસે આકાર લઈ રહેલી ઘટનાઓ. જેમ કે સવારના પહોરમાં લાફા પ્રકરણે અન્ય તમામ અત્યંત મહત્ત્વના સમાચારોને એક તરફ હડસેલી દીધા. એ વાત જ સંદેહ જન્માવે તેવી છે.મોંઘવારીવાળી, અઢી કિલોના હાથે પડેલી થપ્પડની ગુંજે પ્રચારમાધ્યમોને, ખાસ કરીને ઈલેક્ટ્રોનિક માધ્યમોને એવાં મૂક-બધિર કરી નાખ્યાં કે ભારતમાં પાછલે બારણે પ્રવેશી રહેલી વિદેશી કંપનીઓને રીટેલ ક્ષેત્રે મંજૂરી મળી ગઈ તેની સારી-નરસી બાજુઓ કે વાંધા-વિરોધ પ્રદર્શિત કરવાનો, સમજવાનો કોઈને મોકો જ ન મળ્યો.રજૂ કરાયો મુદ્દો આર્થિક સુધારાને વેગ આપવાનો, સરકારે મલ્ટિ બ્રાન્ડ રીટેલમાં ૫૧ ટકા અને સિંગલ બ્રાન્ડમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી જે સાથે જ વિદેશમાં જોવા મળતા ટેસ્કો, વોલ્માર્ટ, કેરફોર જેવા મેગા મોલ ભારતમાં જોવા મળશે અને ગ્રાહકોને તો બખ્ખાં થઈ જશે તેવી વાતો થઈ રહી છે. આ વિદેશી ચેઈન્સના આગમનથી ગ્રાહકને ખરીદીમાં ૫થી ૧૦ ટકા બચત, ખેડૂતોને ૧૦થી ૩૦ ટકા વધુ વળતર, ૩૦થી ૪૦ લાખ નવી નોકરીની તક અને તે ઉપરાંત સરકારને ૨૫૦થી ૩૦૦ લાખ કરવેરાની આવક. આટલી બધી અધધધ... સર્વાંગી, ફાયદાકારક લાગતી સિચ્યુએશન ખરેખર એવી છે ખરી તે ક્ષીરનીર કરવાની તક હરવિંદરે મિડિયાને (બિઝનેસ ચેનલોને બાદ કરતાં) ન આપી.પરિવર્તન એ જ પ્રાણ એ સૂત્ર સ્વીકારી પણ લેવામાં આવે તો પણ ઘરઆંગણાના વ્યાપાર, વાણિજ્ય વિશેષરૂપે નાના એકમોને મૃતઃપ્રાય કરી નાખવાના સરકારના આ પગલાં વિશે ઝાઝી ચર્ચા જ ન થઈ શકી. અલબત્ત, આ વિશે લોકસભામાં ચર્ચા તો થઈ જ ચૂકી હતી પરંતુ, નાના એકમોને પોતાનો સૂર બુલંદ કરવાનો કોઈ મોકો ન મળ્યો.અત્યારે કદાચ આવી રહેલાં ભારેખમ રોકાણ, ચમકદમકવાળા શોરૂમવાળા મોલ ખરેખર કેટલા ફાયદાકારક છે તે તો સમજાશે ત્યારે પરંતુ નાની નાની રીટેલ શોપ, કરિયાણાંની દુકાનો, સ્થાનિક વેપારીઓનું અસ્તિત્વ જરૂરથી જોખમાશે એ વાત નક્કી છે. એક તરફ કહેવાય છે ૩૦થી ૪૦ લાખ નોકરી રોજગારની તક ઊભી થશે પરંતુ, નાના એકમોના બંધ થવાથી કે મંદ પડવાથી જનારા રોજગાર અને વધનારી બેકારીના આંક ધ્યાનમાં લેવાયા નથી. સૌથી મહત્ત્વની વાત છે ખેડૂતોની. અત્યારે એવો પ્રચારઢંઢેરો પિટાઈ રહ્યો છે કે આ વિદેશી ચેઈન સ્ટોર્સ ખેડૂતોને ૧૦થી ૩૦ ટકા ફાયદો કરી આપશે. વાસ્તવિકતા જેટલી ગુલાબી ચિત્રિત કરી શકાય તેટલી ક્યારેય હોય છે ખરી? હકીકત એ છે કે ભારતીય ખેડૂતો આ વિદેશી ચેઈન સ્ટોર્સના મોહતાજ થઈ જશે. અત્યારની મંડી અને સ્થાનિક બજારોના બંધારણ જો મૃતઃપ્રાય થઈ જશે તો ખેડૂતોને આ ચેઈન સ્ટોર્સની દયા પર આધાર રાખવો પડશે જેનો સીધો અર્થ થાય છે શોષણ.અત્યારે જે રીતે આખું ચિત્ર ઉપસાવાઈ રહ્યું છે તે પ્રમાણે તો જાણે વિદેશી વેપારીઓ અહીં ખેરાત કરવા આવતા હોય તેમ લાગે છે. ભારતની સવા અબજ જનતાને સસ્તા ભાવે ખાદ્યાન્ન, રેડીમેડ ગાર્મેન્ટ લૂંટાવવા આવે છે. વાતની ગહનતા સૌ સમજે છે. અંદાજે ૫૯૦ અબજની રીટેલ માર્કેટ ભલભલા વેપારીના મોઢામાં પાણી લાવી દે તેવી પાણીદાર છે, વાત માત્ર પોતાના ઘરઆંગણાનાં હિતોને જાળવવાની છે.

ટેમ્પો ડ્રાઈવર હરવિંદરની થપ્પડે સમગ્ર દેશમાં કંપન તો જરૂર સર્જ્યાં. 
શક્ય છે તે કદાચ કોઈ સાઝિશનો ભાગ ન પણ હોય, પરંતુ ૨૪ નવેમ્બર, ’૧૧ની તારીખ ભારતીય ઈતિહાસમાં બે રીતે મહત્ત્વની બનીને રહી જવાની છે. એક, રાષ્ટ્રનેતાને રસીદ થયેલી કરારી થપ્પડ અને બે, ભારતભરના નાના વેપારીઓને પડેલી જોરદાર થપ્પડ. જેણે અત્યારે તો આ કમ્યુનિટીનું વિઝન ધૂંધળું કરી દીધું છે. 
-----
છેલ્લે છેલ્લે...

નયીં તહઝીબ મેં દિક્કત જ્યાદા તો નહીં હોતી
મઝાહિબ રહેતે હૈ કાયમ, ફક્ત ઈમાન જાતા હૈ
- અકબર ઈલાહાબાદી

વજન ઘટાડવાનો કીમિયો તમારા કિચનમાં જ!


વ્યક્તિ ભરાવદાર હોય અને સ્થૂળતા ઘટાડવાનો કોઇ ઉપાય ન હોય ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે વજન કેવી રીતે ઓછું કરવું? અત્યારે વજન ઉતારવાના સેન્ટર દરેક ગલીને નાકે ખુલ્યાં છે. કેટલાંક લોકો તેમાં જઇને પોતાનું વજન ઓછું કરે છે, પરંતુ બધાને માટે એટલા પૈસા ખર્ચવા શક્ય નથી. આવા લોકો માટે એવો આહાર, જે ઘરગથ્થું છે, શરીરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને સ્થૂળતા ઓછી કરી બીજી બીમારીઓથી પણ બચાવે છે.

હળદરઃ હળદરના કરક્યુમીન નામના તત્વમાં એવાં ગુણ છે જે હૃદયને પહોળું કરતાં જીન્સનો નાશ કરે છે. હળદરનો નિયમિત વપરાશ શરીરમાં ઉત્ત્પન્ન થતાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે, લોહીનું પરિભ્રમણ વધારે છે અને ધમનીઓમાં લોહીને જામી જતું અટકાવે છે. જેથી હાર્ટએટેક આવવાની શક્યતા ઓછી થઇ જાય છે.

એલચીઃ આ થર્મોજેનિક ઔષધિ છે જે પાચનક્રિયા સુધારે છે અને શરીરની ચરબીને બાળવામાં મદદ કરે છે. એલચી પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બીજા આહારને પાચન કરવામાં પણ મદદરૂપ બને છે.

મરચાંઃ મરચાંવાળો આહાર શરીરમાં રહેલી ચરબીને બાળવામાં સહાયક છે. મરચાંમાં રહેલું કેપ્સેસિન નામનું તત્ત્વ ચયાપચયની ક્રિયાને પ્રદીપ્ત કરે છે. કેપ્સેસિન ઉષ્ણ હોય છે જેથી મરચાંવાળો આહાર આરોગ્યા પછી શરીરમાં રહેલી વધારાની કેલરીને માત્ર ૨૦ મિનિટમાં બાળવાની શરૂઆત કરે છે.

મીઠા લીમડાનાં પાનઃ દરરોજના આહારમાં મીઠા લીમડાનાં પાનને અન્ય આહારમાં ભેળવીને લેવાથી શરીરનું વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. આ પાન ચરબી અને શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે, શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે, એ સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી છે. જો તમારું વજન વધારે હોય, તો તમારે દરરોજના આહારમાં આઠ થી દસ મીઠા લીમડાનાં પાનનું સેવન કરવાથી ફાયદો થશે. 

લસણઃ લસણ ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ, લસણમાં આવેલું સલ્ફર જે એન્ટી-બેક્ટેરિયાની અસર અને કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. 

રાઇનું તેલઃ રાઇનું તેલ બીજા કોઇ પણ ખાદ્યતેલ કરતાં ઓછી ચરબી ધરાવે છે. તેમાં ફેટી એસિડ, ઓલીક એસિડ, એરૂસીસ એસિડ અને લીનોલેઇસ એસિડ જેવાં તત્ત્વો છે. જેનાથી શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે જે હૃદય માટે સારું ગણાય છે.

કોબીજઃ કાચી અથવા રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઇડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે. જેનાથી કોબી શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે.

મગની દાળઃ મગની દાળ વિટામીન એ, બી, સી અને ઇ તેમજ કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં ઓછી ચરબી હોવાને કારણે ડાયેટિંગ કરનારાઓને તે ખાસ ખાવાની સલાહ આપવામાં આવે છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે અને લોહીમાં સાકરનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. તેમજ જમ્યા પછી આહારના પાચન દરમ્યિાન સાકરને ઝડપથી ઉત્પન્ન થતી અટકાવે છે.

મધઃ મધ સ્થૂળતાનો ઘરગથ્થુ ઇલાજ છે. તે શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે ૧૦ ગ્રામ અથવા એક ટેબલસ્પૂન મધ લેવાથી ફાયદો થાય છે.

છાશઃ છાશમાં ૨.૨ ગ્રામ ચરબી અને ૯૯ કૅલરી હોય છે, જ્યારે દૂધમાં ૮.૯ ગ્રામ ચરબી અને ૧૫૭ કૅલરી હોય છે. દરરોજના આહાર સાથે છાસ પીવાથી તે શરીરમાં ચરબી અને કૅલરીનું પ્રમાણ વધવા દેતી નથી. તેથી છાશ વજન ઘટાડવા માટે મદદરૂપ બને છે.

અનાજઃ ફાઇબરથી ભરપૂર અનાજ જેવા કે જુવાર, બાજરા, રાગી વગેરે આહારમાં લેવાથી તે કોલેસ્ટ્રોલને શોષી લે છે અને લીવરમાં વધુ પ્રમાણમાં રસ ઉત્પન્ન કરે છે. જે ચરબીને સપ્રમાણમાં ઓગાળે છે.

તજ અને લવિંગઃ ભારતીય આહારમાં વપરાતાં આ બંને તેજાના ઇન્સ્યુલીનની કામગીરી સુધારે છે અને ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીમાં શુગરના સ્તર ઉપરાંત કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇક્લીસરાઇડના પ્રમાણને પણ ઘટાડે છે.

Friday, November 25, 2011

જ્યારે ગણગણાટ લપડાક સ્વરૂપે ઉભરે ત્યારે...



સંવેદના નહીં સમજી શકનારાને પ્રજા ફટકારે છે


પ્રજામાં અસંતોષ અને નારાજગીનો ચરૂ ઉકળી રહ્યો છે. આ બાબતે અવારનવાર નિર્દેશ આપવા છતાં શાસકોમાં અને શાસન વ્યવસ્થામાં કોઈ જ સુધારો દેખાતો નથી. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને જાહેર કાર્યક્રમમાં તમાચો મારવાની ઘટનાની યોગ્યતાનું મૂલ્યાંકન પ્રજા પર છોડીએ, પરંતુ તે બાબત આવનારા દિવસોના એંધાણ દર્શાવે છે.વારંવારની વિનંતી- કાકલૂદી અને વંચના છતાં પ્રજાની કોઈ જ વાતને ધ્યાનમાં લેવાતી નથી તે કઈ જાતની લોકશાહી? જનલોકપાલ બિલ માટે પ્રજાની અપેક્ષાઓ પર પાણી ફેરવવા માટે તનતોડ પ્રયાસ થઈ રહ્યા છે. હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા થતી નથી કે ન્યાયતંત્ર- વડા પ્રધાન અને પ્રચાર માધ્યમોને તેમાં આવરી લેવાશે કે નહીં.જનલોકપાલ માટે વિશાળ આંદોલન થવા છતાં તે વાતને ધ્યાનમાં લેવાતી નથી. આવું જ જીવન આવશ્યક ચીજવસ્તુના ભાવનું છે. વારંવારની ખાતરી છતાં એક પણ ચીજવસ્તુના ભાવ ઘટતા નથી. વર્તમાન શાસકો પ્રજાને મૂર્ખ બનાવીને માત્ર સમય પસાર કરી રહ્યા છે. તેઓ એમ જ માને છે કે વર્ષ ૨૦૧૪માં પણ સત્તા પર આવી જવાના છે.....
ઈજિપ્તમાં જે રીતે ક્રાંતિની જવાળા જોવા મળી રહી છે તેવું ભારતમાં બનવાનું નથી. કારણ કે પ્રજામાં જ કંઈ દમ નથી. પ્રજા દ્વારા આક્રોશ વ્યક્ત થાય છે, પરંતુ સંગઠન નથી. વિવિધ વર્ગમાં પ્રજાનો બટવારો કરીને એવું વિભાજન કરી નાખવામાં આવ્યું છે કે કદી કોઈ સંગઠિત લડત આપી શકે તેવું હાલમાં દેખાતું નથી.કેન્દ્ર સરકારની તમામ સત્તા હાલમાં તો પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે છે. વિદેશી પ્રચાર માધ્યમો દર બે મહિને એક જ વાત ઠોકી બેસાડે છે કે વિશ્વની પાંચ શક્તિશાળી મહિલામાં એક સોનિયા ગાંધી છે, પરંતુ દેશમાં જે અરાજકતા વ્યાપ્ત છે તે માટે સૌથી જવાબદાર વ્યક્તિ એ જ છે.સમગ્ર વિશ્વમાં વ્યાપાર અને અર્થકારણમાં નબળા ટર્નઓવરની પરિસ્થિતિ છે તેવે વખતે ભારતમાં યુવાન વર્ગને રોજગારી મેળવવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, પરંતુ કોઈ જ રાજકીય પક્ષને આર્થિક બાબતોમાં ચિંતા થતી હોય તેવું દેખાતું નથી. માત્ર દોષારોપણ કરવા સિવાયનું કોઈ જ કાર્ય થતું નથી.ઉદારીકરણની શરૂઆત વખતે ૧૯૯૧માં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે કરવેરાનું તેમ જ સરકારી નિયંત્રણનું પ્રમાણ ઘટશે, પરંતુ આજે વાસ્તવિકતા એ છે કે કરવેરા વધ્યા છે અને નાની વ્યક્તિ માટે તે વેપાર શરૂ કરવો અતિ મુશ્કેલ બની ગયો છે.પ્રજાની નારાજગી માત્ર કેન્દ્ર સરકારની અનિર્ણાયકતા પ્રતિ જ નથી, પરંતુ લુચ્ચાઈ અને છેતરપિંડી ભરેલી તમામ આર્થિક નીતિને કારણે પ્રજા ગળે આવી ગઈ છે, કેટલા વર્ષો સુધી આવું સહન કરવું તેવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. પ્રજાનો ગણગણાટ તુમાખીભર્યા શાસકોને કાને સંભળાતો નથી......
વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને માત્ર ન્યૂકલીઅર ઈલેક્ટ્રિસિટી સિવાયના કોઈ જ મુદ્દામાં રસ નથી. સૌથી વધુ જોખમી એવા પાવર પ્લાન્ટ સામે પ્રજાને કઈ સુરક્ષા મળે છે તેની કોઈ વાત થતી નથી, પરંતુ એનર્જી સિક્યોરિટી માટેનો મુદ્દો આગળ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રના બીજા પ્રશ્ન કયાંય પાછળ ધકેલાઈ ગયા છે.કૃષિ મંત્રી તરીકે શરદ પવાર નિષ્ફળ છે છતાં માત્ર ૧૦-૧૨ સાંસદોના ટેકા માટે તેમની પર લોકસભામાં આધાર રાખવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને શરદ પવારના પક્ષ વચ્ચે ગઠબંધન છે. બન્ને એક જ મુદ્દે સહમત છે કે ગમે તે પ્રકારે સત્તા જાળવવી અને પૈસા ખંખેરવા!!કૃષિ મંત્રાલયનો એક પણ નિર્ણય પ્રજાના હિતમાં લેવાયો નથી. તેમ છતાં વર્ષ ૨૦૦૪થી સતત શરદ પવાર તે વિભાગ સંભાળી રહ્યા છે. કૉંગ્રેસ પક્ષની એવી તો કઈ મજબૂરી છે કે જેથી તેમને કંઈ જ થઈ શકતું નથી. ખાંડ અને કાંદાની નિકાસમાં પણ તેઓ જ પોતાનું ધાર્યું કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે કૉંગ્રેસ પક્ષ જ નિર્માલ્ય છે.કૉંગ્રેસ પક્ષ હાલમાં સાવ દિશાશૂન્ય છે. જેટલા હોદ્દેદાર છે તેટલા વિચાર અને તેટલી જ વિચારધારા છે. દરેક મહામંત્રી જુદું-જુદું બોલે છે. વળી બોલવામાં પણ કોઈ વિવેક અથવા શિસ્ત દેખાતા નથી. આવે વખતે પ્રજાનો રોષ આ પ્રકારના પ્રતિભાવરૂપે ન ઉભરે તે જ નવાઈની વાત હોય શકે.લોકશાહી અને ગઠબંધન સરકાર બન્નેની મર્યાદા જોવામાં આવી રહી છે માત્ર મર્યાદા નહીં, પરંતુ દરેક ક્ષેત્રે માત્ર ને માત્ર નિષ્ફળતા છે. એક પણ ક્ષેત્રે સંતોષ લઈ શકાય તેવું નથી. આથી તો બહેતર છે કે મધ્યસત્ર ચૂંટણી જાહેર થાય. 

Tuesday, November 22, 2011

ઇશરત એન્કાઉન્ટર નકલી

‘સિટ’ના ત્રણેય સભ્યોનો એકમતઃ કસૂરવારોની ધરપકડની તૈયારી


ઇશરત નિર્દોષ જાહેર થતાં ખુદા પર મારો એતબાર વધ્યો છે. મારી દીકરીનું ખોટું એન્કાઉન્ટર કરનાર દોષી ગુજરાત પોલીસ અધિકારીઓને સખત સજા થાય એમ હું ઇચ્છું છું. - ઇશરતની માતા શમીમ કૌસર જહાં ----- મને લાગે છે કે આરોગ્યની મર્યાદા છતાં મારા લાંબા સંઘર્ષનું સારું પરિણામ આવ્યું છે. મને ન્યાય મળ્યો છે. હું ન્યાય મેળવવા માટે લડી રહ્યો હતો અને અદાલતના આ આદેેશથી ઇશ્વરમાં અને ન્યાયતંત્રમાં મારો વિશ્વાસ વધુ દઢ થયો છે. - જાવેદના પિતા 


અમદાવાદઃ અમદાવાદના સીમાડે કોતરપુર વોટર વર્ક્સ નજીક ૧૫ જૂન, ૨૦૦૪ની વહેલી પરોઢે મુંબઈની યુવતી ઇશરત જહાં સહિત ચાર શકમંદને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી એન્કાઉન્ટરમાં ઢાળી દીધા હોવાનો ધડાકો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની તપાસમાં થયો છે. સોમવારે હાઇ કોર્ટમાં રજૂ થયેલા તપાસ અહેવાલના આધારે અદાલતે નવી ફરિયાદ દાખલ કરવાનો પણ હુકમ કરતા સરકાર અને તંત્રમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ ઉપર નકલી એન્કાઉન્ટરનું આ બીજું નક્કર આળ છે. આ અગાઉ ૨૦૦૫માં સોહરાબ-તુલસી એન્કાઉન્ટરકાંડમાં ડી.જી. વણઝારા સહિત બે ડઝન જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અત્યારે જેલની હવા ખાઇ રહ્યા છે તે ટાણે જ આ ઘટસ્ફોટ થતા તંત્ર ધ્રૂજી ઉઠ્યું છે.
ગુજરાત હાઇ કોર્ટના આદેશના પગલે ઇશરત એન્કાઉન્ટર પ્રકરણની તપાસ કરતી કેન્દ્રીય આઇપીએસ અધિકારી આર.આર. વર્માના વડપણ હેઠળની સિટએ એન્કાઉન્ટર સાચું છે કે ખોટું તે દર્શાવતો અહેવાલ ગત ૧૮મી નવેમ્બરના રોજ સીલબંધ કવરમાં રજૂ કર્યો હતો. સોમવારે યોજાયેલી આ કેસની સુનાવણીમાં ન્યાયમૂર્તિ જયંત પટેલ અને ન્યાયમૂર્તિ અભિલાષાકુમારીની ખંડપીઠે ડાયસ ઉપર બેસતાની સાથે જ બપોરના ૨.૪૫ કલાકે ‘સિટ’ના અહેવાલને ટાંકીને એન્કાઉન્ટર બોગસ હોવાનું જાહેર કર્યું હતું. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આઇપીએસ આર.આર. વર્માના વડપણ હેઠળની ટીમના ત્રણેય સભ્યોએ એન્કાઉન્ટર બોગસ હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ઇશરત સહિત ચારેયનાં મોત અને પોલીસે એન્કાઉન્ટરનો દર્શાવેલો સમય અલગ-અલગ છે. જેથી ચારેયને કયા કારણોસર ઠાર મરાયા? તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે? તથા તમામની શું ભૂમિકા છે ? તેની તપાસ માટે નવી પોલીસ ફરિયાદ નોંધી હત્યાનો ગુનો નોંધવો જોઈએ.કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આ કેસ જેન્યુઇન એન્કાઉન્ટરનો નહીં પરંતુ હત્યાનો છે. જેથી કેસની વધુ તપાસ માટે સીબીઆઇ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) હાલની ‘સિટ’ કે રાજ્યની એજન્સી મારફતે કરાવી શકાશે. ‘સિટ’ને એન્કાઉન્ટર સાચું છે કે ખોટું તે તપાસવા માટે આદેશ કરાયો હોવાથી સિટના વડા આર.આર. વર્માએ આખરી અહેવાલ રજૂ કરીને મુક્ત કરવા અરજી કરી છે.
ઇશરત કેસની હવે પછીની તપાસ માટે ‘સિટ’ દ્વારા અસહમતી દર્શાવાતા કોને તપાસ સોંપવી તે બાબતે સુનાવણી યોજાઇ હતી. જેમાં અરજદારોએ કેસની વધુ તપાસ ‘સિટ’ કે એનઆઇએ મારફતે કરાવવા માંગણી કરી હતી. જ્યારે સરકારી વકીલે અરજદારોની માગણીનો વિરોધ કરીને વધુ તપાસ ગુજરાત પોલીસ મારફતે કરાવવા રજૂઆત કરી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારના એડવોકેટે આ કેસમાં નવી ફરિયાદ નોંધવાની રજૂઆત કરી હતી તેમજ ‘સિટ’ તપાસ કરે તો તેને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત સીબીઆઇ અને એનઆઇએનો તપાસ લેવા માટે અભિપ્રાય મેળવીને ૨૩મી નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા સમય માંગ્યો હતો. જેથી હાઇ કોર્ટે વધુ સુનાવણી ૨૩મી નવેમ્બર પર મુલતવી રાખી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે હાઇ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં એન્કાઉન્ટર સાથે સંકળાયેલા એક પણ પોલીસ કર્મચારી હાજર રહ્યાં ન હતા.
--------
સમયનો કાંટો ગાળિયો બન્યો

ઇશરત સહિત ચારેય કથિત ત્રાસવાદીઓના એન્કાઉન્ટરનો દર્શાવેલો સમય તથા ચારેયના મૃત્યુના સમયનો તાળો નહીં મળતા ‘સિટ’ના ત્રણેય સભ્યોએ મેજિસ્ટ્રેટ તામંગની જેમ એન્કાઉન્ટર બોગસ હોવાનો અભિપ્રાય અહેવાલમાં વ્યક્ત કર્યો હતો.ગત ૧૫મી જુલાઈ ૨૦૦૪ના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ઠાર મારવા આવેલા ઇશરત અને જાવેદ સહિત ચાર કથિત ત્રાસવાદીઓને વહેલી સવારે લગભગ ૪.૩૦ કલાકે ક્રાઇમ બ્રાન્ચે કોતરપુર વોટર વકર્સ નજીક એન્કાઉન્ટર ઠાર માર્યાં હતાં. જ્યારે તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હોજરીમાં અર્ધપચેલો ખોરાક મળી આવ્યો હતો. જેથી મેજિસ્ટ્રેટ તામંગે પી.એમ. રિપોર્ટ તથા એફએસએલના અહેવાલને ધ્યાનમાં રાખીને પ્રણેશ પિલ્લાઇ ઉર્ફે જાવેદનું ૧૪મી જુલાઇના રોજ રાત્રે ૮.૩૦થી ૯ની વચ્ચે તેમજ ઇશરત સહિત ત્રણેયનાં મોત ૧૪મી જુલાઇના રાત્રે ૧૧થી ૧૨ની વચ્ચે થયાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 
જ્યારે ગુજરાત હાઇ કોર્ટના આદેશના પગલે તપાસ કરતી સિટે પણ ચારેયનાં એન્કાઉન્ટર અને મૃત્યુનો સમય મેચ નહીં થતો હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો તેમજ એઇમ્સની ટીમની મદદથી આખી ઘટનાનું ત્રણ વખત રિકન્સ્ટ્રકશન કરીને ‘સિટે’ ચારેયનાં મોત એન્કાઉન્ટર સ્થળે નહીં થયા હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

હજારો ઉપદેશ કરતાં થોડું કલ્યાણકારી કાર્ય લાખ દરજ્જે સારું ગણાય છે

ગુણવત્તા સાથેનું શિક્ષણઃ હજુ વ્યાપક કાર્ય બાકી છે



શિક્ષણક્ષેત્રે જાતજાતના પ્રયોગ થઈ રહ્યા છે. નવી નવી પદ્ધતિ લાવવામાં આવી રહી છે. હવે શિક્ષણની ગુણવત્તા સુધારવાનો વ્યૂહ અપનાવાયો છે. શિક્ષણમાં અનામત પ્રથાને કારણે કેટલું નુકસાન થયું છે તેનો કોઈ અંદાજ રાજકીય પક્ષોને નથી. માત્ર ઉપરછલ્લાં પગલાં લેવામાં આવી રહ્યા છે.આજના સમયમાં ટેક્નિકલ શિક્ષણની માગ વધી છે. તે માટે સંકલિત પ્રયાસ થઈ રહ્યા છે. ટેકિનકલ શિક્ષણમાં કમ્પ્યુટર્સ શિક્ષણનો પણ સમાવેશ થાય છે તે સિવાયના હુન્નર અને કુનેહ વિકસાવે તેવી શિક્ષણ પદ્ધતિ સમાજને માટે પથદર્શક બની રહેવી જોઈએ. આ દિશામાં વિચારવાની જરૂર છે.ખરેખર મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવામાં આવે તો હજુ આપણે ત્યાં પ્રભાવશાળી વૈજ્ઞાનિકો, સંશોધકો અને તજજ્ઞોની ભારે અછત છે. લગભગ દરેક ક્ષેત્રના ઉચ્ચ કક્ષાની બુદ્ધિ પ્રતિભા ધરાવનારા નિષ્ણાતો બહુ મર્યાદિત છે. સંશોધનલક્ષી ઉચ્ચ સંસ્થાઓ મર્યાદિત છે. આવી સંસ્થાની સંખ્યામાં વૃદ્ધિ થશે તે વખતે જ શિક્ષણની ગુણવત્તામાં વધારો થવાનો છે.છતાં એ બાબત આવકારદાયક છે કે શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણનો આશય માત્ર માનસિક વિકાસ નથી, પરંતુ સમગ્ર સમાજના કલ્યાણકારી વિકાસની વાત તેમાં છે. કમનસીબે શિક્ષણનું નેતૃત્વ ખોટા લોકોના હાથમાં જતું રહ્યું છે. એટલે સાચાં અને સારા પરિણામ જોવાં મળતાં નથી.

શિક્ષણપ્રથાના કેન્દ્રમાં શિક્ષક છે. શિક્ષક સત્ત્વશીલ હોય તો શિક્ષણપ્રથામાં કૌવત રહે છે. શિક્ષકનો સામાજિક દરજ્જો સમાજે ઉર્ધ્વગામી બનાવવાની જરૂર છે. વળી શિક્ષણ એટલે માત્ર પાકા મકાન - ઓરડા અને શાળાનું કમ્પાઉન્ડ નથી તે સિવાયની ઘણી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. કોઈપણ સમાજ માટે શિક્ષણપ્રથા એક દર્પણ છે. સમાજ અને સંસ્કૃતિ - પરંપરા વગેરેની ગુણવત્તા કેવી છે તે શિક્ષણપ્રથા પર નિર્ભર છે. કમનસીબે રાજકીય નેતૃત્વ શિક્ષણનું મહત્ત્વ સમજતા નથી. કારણ કે દર પાંચ વર્ષે સત્તા બદલાતી હોય છે તેમાં નક્કર કાર્ય થતાં નથી. છેલ્લાં ૧ હજાર વર્ષના ગુલામીના ઈતિહાસના કારણે આપણે આપણી મૌલિક શિક્ષણપ્રથા ગુમાવી બેઠા છીએ. હાલમાં જે કંઈ છે તે માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણપદ્ધતિ છે. સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપવામાં આવે છે, પરંતુ તેમાં પોતાના વિચાર અને પોતાની મૌલિક સર્જકતા ખૂબ જ ઓછી હોય છે.ટેક્નિકલ અને વૈજ્ઞાનિક શિક્ષણક્ષેત્રે હજુ વિશાળ કામગીરી કરવાની બાકી છે. આજે આવો વર્ગ અલ્પસંખ્યક છે તેમને કેટલાક વિશેષાધિકાર અને નાણાકીય પ્રોત્સાહન પૂરા પાડીને આગળ લાવવા પ્રયત્ન થવા જોઈએ. બાકી બીજી રાહતો જે અન્ય વર્ગને મળે છે તે આવા પરિણામલક્ષી કામગીરી કરનારા વૈજ્ઞાનિકોને મળે છે ખરી? વર્તમાન સમયમાં જ્યાં સત્તા અને સંપત્તિનું જોર છે તેવે વખતે ગુણગ્રાહી - સત્ત્વશીલ કામગીરી કરનારા કેટલા? જે સમાજ માત્ર અર્થલક્ષી બને છે તેનું પતન અવશ્ય થતું હોય છે. શિક્ષણશાસ્ત્રીઓ - સમાજશાસ્ત્રીઓ અને નીતિ વિષયક આયોજન કરનારાઓ વગેરે માટે આવી બાબત એક પડકાર છે.તેમ છતાં છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધ્યો છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સંસ્થા પણ વધી છે તેમ છતાં ગુણવત્તા બાબતે બહુ સંતોષ લઈ શકાય તેવું નથી. ખમતીધર વર્ગના લોકો તો શિક્ષણ લેવા માટે વિદેશ જતાં રહે છે, પરંતુ દરેકને તે પરવડે તેવું નથી. આથી જ ઘરઆંગણે તેમાં સુધારાના પ્રયાસ થવા જોઈએ.જે કંઈ કામગીરી થશે તે ભલે ધીમી હોય, પરંતુ તબક્કાવાર હોવી જોઈએ. એક પછી એક બાબતે વર્તમાનને ધ્યાનમાં રાખીને જો નિર્ણય થશે તો સમાજને તેનો ફાયદો અવશ્ય મળવાનો છે. સમાજને મળનારો લાભ એ મોટી બાબત બની રહે છે. આથી શિક્ષણને કેન્દ્રમાં રાખીને સઘળા નિર્ણય કરવાના રહે છે. શિક્ષણ એ રાજ્યનો વિષય છે. જ્યારે કેન્દ્ર સરકાર માત્ર નીતિ વિષયક સૂચન કરે છે, પરંતુ શિક્ષણ લોકભોગ્ય બને અને રાષ્ટ્ર ઘડતરમાં ફાળો આપે તે માટે સર્વસંમતિ હોવી જોઈએ. આવી બાબતમાં મતમતાંતર ચાલે નહીં. રાષ્ટ્રપ્રેમને વિકસાવે તેવી બાબતો શિક્ષણના અભ્યાસક્રમમાં આવરી લેવી જોઈએ. શિક્ષણમાં રાષ્ટ્રનો ઈતિહાસ અને નામી - અનામી લોકોએ આપેલા ફાળાની પણ યોગ્ય સ્તરે નોંધ લેવાવી જોઈએ. રાષ્ટ્રાભિમાન વિકસાવે તેવા મુદ્દાઓ આવરી લેવાની ખાસ જરૂર છે. ચારિત્ર્ય - સદાચાર અને નિષ્ઠાને પુષ્ટિ આપે તેવી શિક્ષણપ્રથા માટે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. 

Thursday, November 3, 2011

વિશ્વ અને જનસંખ્યા


  • વિશ્વની જનસંખ્યા સાત અબજની થઈ છે. ઘરમાં નવું બાળક જન્મે તે આનંદ અને હર્ષની વાત બને છે તેને બદલે પૃથ્વી પર સાત અબજ જીવ છે તે વાતથી ભવિષ્ય માટેની ચિંતા પણ થઈ રહી છે!! વિરોધાભાસ ઘણા છે અને વિશ્લેષણ તે રીતે થઈ રહ્યા છે.
  • લોકશાહી રાષ્ટ્રમાં ભારત એ સર્વપ્રથમ રાષ્ટ્ર છે કે જેમણે નાનું કુટુંબ અને કુટુંબ આયોજન એ મુદ્દાને રાજ્યના વિષય તરીકે સ્વીકારીને સરકારી રાહે ૧૯૫૨માં કુટુંબ નિયોજન સ્વીકાર્યું હતું. આ વાતને ૬૦ વર્ષ થયા પછી ભારતની જનસંખ્યા ૧૨૦ કરોડની છે. જનસંખ્યા વધવા છતાં આજે ભારત પોતાનું ભરણપોષણ કરે છે.સરકારી રાહે નાના કુટુંબના પ્રચાર છતાં કેટલીક ચોક્કસ કોમ અને વર્તુળ આવી બાબતમાં માન્યતા ધરાવતા નથી. આથી પરિણામ એવું આવ્યું છે કે ભારત જેવા રાષ્ટ્રમાં સમગ્ર ડેમોગ્રાફી બદલાઈ રહી છે. બુદ્ધિશાળી કોમ અને જ્ઞાતિની સંખ્યા ઘટી રહી છે અને નઠારા - નિરક્ષર લોકોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેમાં કોમવાદીઓ પણ વધ્યા છે.ભારતમાં દર વર્ષે અઢી કરોડની જનસંખ્યા વધે છે એટલે ૧૦ વર્ષે અંદાજે ૨૫ કરોડની સંખ્યા વધે છે. આટલી વિશાળ જનસંખ્યા માટે અનાજ - પાણી - શિક્ષણ - રહેઠાણ - આરોગ્ય વગેરે માટેની સુવિધા માટે આયોજન થાય છે ખરું? આ બાબતે સરકારી વિભાગ સાવ મૌન છે. તેમના તરફથી કોઈ જ સ્પષ્ટતા થતી નથી.
  • સમગ્ર વિશ્વમાં ૨૦૧ રાષ્ટ્ર છે. તેમાંથી ૪૨ રાષ્ટ્ર સાવ નાના છે - તેની જનસંખ્યા અડધા મુંબઈ જેટલી ગણવી રહી. જ્યારે તેનાથી નાના ૪૪ રાષ્ટ્ર છે. આ રાષ્ટ્રોની વસતિ ૧૦ લાખથી ૫૦ લાખ જેટલી ગણી શકાય. જ્યારે ૮૩ રાષ્ટ્ર એવા છે કે તેમની જનસંખ્યા ૫૦ લાખથી પાંચ કરોડની છે.વળી ૫ કરોડથી ૨૦ કરોડની જનસંખ્યા ધરાવતાં ૧૦ દેશ છે. તેમાં પાકિસ્તાન, બંગલાદેશ, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા, જાપાન, વગેરે છે. પરંતુ ભારત-અમેરિકા અને ચીન એ ત્રણ રાષ્ટ્ર જનસંખ્યાની દષ્ટિએ અગ્રેસર છે. તેમાં અમેરિકાની વસતિ ૩૦ થી ૩૨ કરોડની હોવાનો અંદાજ છે.ભારત ૧૨૦ કરોડ તો ચીનની જનસંખ્યા ૧૩૦ કરોડની છે. ઔદ્યોગિકરણ બાદ વિભક્ત કુટુંબો થવાથી જનસંખ્યા વધી - અને યુરોપને તેનો અનુભવ થયો. તે વખતે માલ્થુસની જનસંખ્યા થિયરી અને આધુનિક એમ બે વિચારધારા હતી. વસતિ વધે છે તેવે વખતે કુદરત આફત લાવે છે તેવો નિષ્કર્ષ પણ ફેલાવાયો હતો.પ્રશ્ન જનસંખ્યાનો નથી, પરંતુ સંચાલનનો છે. ગ્રામ્ય વિસ્તારની વસતિ શહેરમાં આવે તેને સરકારી રેકર્ડ વસતિના વધારા તરીકે ઓળખાવે છે!! પરંતુ તેઓ ગામડા શા માટે ત્યાગે છે તેના કારણો શોધવાની ફૂરસદ તેમની પાસે નથી. ભારત જેવા રાષ્ટ્રમાં જનસંખ્યા, વિસ્તાર, વસતિ, જ્ઞાતિ, સામાજિક સમૂહ અને તેને લગતી બાબત એ વિશદ્ છણાવટનો મુદ્દો છે.ભારતમાં પશ્ચિમનાં વિસ્તારો તરફ વસતિનો ધસારો વધારે જણાય છે જ્યારે પૂર્વ અને ઈશાન ભારતમાંથી વસતિનું સ્થળાંતર પશ્ચિમ - ઉત્તર તરફ થઈ રહ્યું છે. માત્ર વસતિ વધી છે તેમ કહેવાને બદલે આ જાતના તારણ શોધીને તેના ઊંડાણના કારણ તપાસવાની ખાસ જરૂર છે.
  • એક સમયે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ - ધર્મ વગેરે એશિયાના દૂર દૂરના વિસ્તાર અને અફઘાનિસ્તાન સુધી હતો. પરંતુ જનસંખ્યા સંચાલન ક્ષેત્રે માર ખાવાથી ભારતે ઘણી બાબતે નિયંત્રણ ગુમાવ્યું. આ બાબતે ઘણાં પુરાવા આપી શકાય તેવું છે. પરંતુ નિષ્ણાતોએ વર્તમાન સમયને અનુરૂપ નવેસરથી ડેમોગ્રાફીનું વિશ્લેષણ કરવું જોઈએ.આફ્રિકા અને એશિયામાં જનસંખ્યાને ટાર્ગેટ બનાવીને વટાળ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ કાર્ય ભાજપ પેદા થયો નહોતો ત્યારથી ચાલી રહ્યું છે. જનસંખ્યાના મુદ્દાને ચર્ચામાં લેતી વખતે ભારત જેવા રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને આગળ વધવાની જરૂર છે. હાલમાં આવી કોઈ જ બાબતને ધ્યાનમાં લેવાતી નથી.જનસંખ્યા માત્ર અર્થશાસ્ત્રને લગતી જ બાબત નથી. જનસંખ્યા વિશાળ બજારને મંચ પૂરો પાડે છે. જનસંખ્યાથી ધર્મ - સંસ્કૃતિ સંગઠિત રીતે વિકસે છે. જનસંખ્યા શ્રમબજારનું સાધન છે. બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા અને તેને આનુષંગિક બાબત કેન્દ્રમાં રાખીને જનસંખ્યા જેવા વિષય પર સમાજમાં ચર્ચા અનિવાર્ય બની છે.રાષ્ટ્રના કુદરતી સાધનો અને સંપત્તિ જોતાં જનસંખ્યા રાષ્ટ્રનું નવસર્જન કરી શકવાને શક્તિમાન છે.

ધરતીના પેટાળમાંથી ઉલેચાયું છે તેનાથી ક્યાંય વધારે સોનું માણસના વિચારોમાંથી મળ્યું છે. - નેપોલિયન હિલ


  • જમીનના એક વિશાળ પણ ખુલ્લા પ્લોટ પર ઉત્કૃષ્ટ ઈમારત બાંધવા માટે શાની જરૂર પડે? સૌથી પહેલા તો વિચારની જ પડે. નવલકથા લખવા માટે, ગીત સર્જવા માટે, ચળવળ ચલાવવા માટે અને પરિવર્તન લાવવા માટે, દરેક માટે શરૂઆત તો એક વિચારથી જ થઈ શકે છે. વિચારથી વધુ અમૂલ્ય જગતમાં કાંઈ ના હોઈ શકે. આટલું જેને સ્વીકાર્ય હોય તે માણસે શાના પર વધુ સમય ખર્ચવો જોઈએ? બેશક, વિચાર કરવા પાછળ જ. જીવનમાં જ્યારે પણ એમ લાગે કે આપણે પાછળ રહી ગયા ત્યારે તરત યાદ રાખવાનું, ‘બીજાની જેમ વિચારી ના શક્યા તેનું આ પરિણામ છે’, તેમાં સુધારો ગમે ત્યારથી થઈ શકે છે. પ્રયત્નોથી માણસ કોઈપણ કાર્ય શીખી શકે છે તેમ યોગ્ય રીતે વિચારતા પણ બેશક શીખી શકે છે. સારી સંગત રાખો, સારું વાચન કરો, સારી વાણી કેળવો અને સારું વિચારવામાં સહાય કરે તે દરેક વાતને અપનાવી લો. જૂની વિચારસરણીથી નવા વિચારો સુધી પહોંચવામાં પડતી તકલીફોને પણ ખમી લો. એકવાર આ સોનું હાથ લાગવાની શરૂઆત થશે પછી કોઈ આગળ વધતા અટકાવી શકશે નહીં. વિચારી તો જુઓ.