Saturday, October 15, 2011

કાર્યક્ષમતા અને ઉત્પાદકતા મંદી સામે ઢાલ બની શકે છે

સમાજમાં સમજશક્તિ વધારે તેવા પરિબળ, નેતૃત્વ અને વ્યક્તિની આજે જરૂર છે.


સમગ્ર વિશ્વના રાષ્ટ્ર આર્થિક પરિસ્થિતિની વિચિત્રતાનો સામનો કરી રહ્યા છે. એક પણ રાષ્ટ્ર રોજગારી, ભાવ સ્થિરતા, કૃષિ ક્ષેત્રનો સમતોલ વિકાસ, સ્વચ્છ પર્યાવરણ, પ્રદૂષણ વગરનું વાતાવરણ. આ તમામથી સંતુષ્ટ નથી. તેમ છતાં નોબલ પ્રાઈઝ પશ્ચિમના જ અર્થશાસ્ત્રીઓને મળે છે કે જેમની વિચારધારાથી યુરોપ - અમેરિકા ખાડામાં ગયા છે!!

કંઈક ખોટું થયું છે. પશ્ચિમનું અર્થશાસ્ત્ર અને તેમના અર્થશાસ્ત્રીઓ ભારતના અર્થતંત્રને ‘કાઉ ડંગ ઈકોનોમી’ એટલે કે છાણિયા ખાતરનું અર્થતંત્ર કહીને વગોવતા હતા. ભારત તેની ઓછી આવશ્યકતા અને કરકસરને કારણે જ સુખી હતું. પશ્ચિમ તો છતે ઉત્પાદને આજે તેમના ચલણની આબરૂ ગુમાવી રહ્યું છે, પરંતુ તેનું વિશ્લેષણ કોઈ કરતું નથી.

ભારતે આવી અસરથી બચવા માટે પોતાની પાસે જે કંઈ સાધનો છે તેને જાળવી રાખીને હવે પછી કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા તરફ ધ્યાન આપવું જોઈએ. મતલબ કે પ્રત્યેક દિવસ જો એક કલાક વધુ કામ કરવામાં આવે તો ઉત્પાદકતાની સાથે કાર્યક્ષમતા પણ વધવાની છે.

આજે વિશ્વનાં તમામ રાષ્ટ્રમાં કાર્યક્ષમતા તદ્દન નીચે ઊતરી ગઈ છે. મૂડીરોકાણ થાય છે તે ટેક્નોલોજી અને માળખાકીય સગવડતા વધારવા તરફ થાય છે, પરંતુ ઉત્પાદકતા વધારવાના કેન્દ્રમાં રહેલી માનવશક્તિ અને માનવસંપદા સુધારવા તરફ કોઈ ધ્યાન આપતું નથી. આ એક વિરોધાભાસી બાબત છે કે જે ધ્યાનમાં હોવા છતાં તેના માટે કોઈ પગલાં લેવાતાં નથી.

ભારત જેવા રાષ્ટ્રને ઉત્પાદકતા વધારવાના ઢગલાબંધ ફાયદા મળે તેવું છે. શિક્ષણ, બેન્ક, પોસ્ટલ સેવા, સુધરાઈ તંત્ર વગેરેમાં કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારવા પુષ્કળ અવકાશ છે. આવી બાબતો વેપાર - ઉદ્યોગ માટે મંદીની સામે ઢાલ તરીકે કામ આવે છે. યુરોપમાં મંદી આવી છે તેના કારણમાં ખર્ચ અને વળતર વચ્ચે ગાબડું છે. મતલબ કે યુરોપની વેપારી પેઢીઓ જે ખર્ચા કરે છે તેના પર તેમને વળતર ઓછું મળે છે, પરંતુ તે વધારવા કાર્યક્ષમતા વધારવી જોઈએ. માત્ર છથી સાત કલાક કામ કરવાનો નિયમ છે તેમાં સ્વૈચ્છિક રીતે ૧ કલાકનો દૈનિક વધારો થાય તો ઘણું ઉત્પાદન વધે. કામમાં ઝડપ આવે અને તે રીતે એકંદરે તો અર્થતંત્રને જ ફાયદો થાય. અત્રે એ નોંધવું જરૂરી છે કે જો ખર્ચા ઘટે તો જ ઉત્પાદકતા - કાર્યક્ષમતામાં પ્રતિબિંબ પડે. ખર્ચા કઈ રીતે ઘટાડવા તે જે તે વેપાર - ઉદ્યોગ અને તેની કાર્યપ્રણાલિકા પર નિર્ભર છે. આ માટે ચોક્કસ પ્રમાણ અને આધાર વિકસાવવા જોઈએ. યુરોપ આજે મુશ્કેલ દિવસોનો સામનો કરી રહ્યું છે તેના મૂળમાં બેફામ ખર્ચા છે.

ભારતની પ્રજા ‘‘કોસ્ટ કોન્શિયસ’’ મતલબ કે ખર્ચા કરતા અગાઉ બે વખત વિચારે તેવી છે. દરેક બાબતે જોખીજોખીને નિર્ણય કરવામાં આવે તો કોઈ મુશ્કેલી નથી, પરંતુ માત્ર બજાર કબજે કરવા જે રીતે આડેધડ ખર્ચ થાય છે તે યોગ્ય નથી. વેપારમાં આજે નફાનો ગાળો સંકોચાયો છે. કોઈપણ વેપાર કસવાળો રહ્યો નથી. ઓછે નફે બહોળો વેપાર થઈ રહ્યો છે.

પરંતુ નફાનું પ્રમાણ ઘટ્યું છે કારણ કે આડકતરા ખર્ચા વધ્યા છે. જેવા કે ટેલિફોન, મકાન, દુકાન પરના વેરા તેમજ ઈલેક્ટ્રિસિટી, બેન્ક, વ્યાજ, - સર્વિસ ચાર્જ વગેરે જેવા ખર્ચા હજુ તો ૨૦ વર્ષ અગાઉ હતા તેના પ્રમાણમાં અનેકગણા વધી ગયા છે. નફો ચવાઈ જાય છે તેના મૂળમાં આવી બાબતો છે. આથી તો મંદી હવે દર બે - ત્રણ વર્ષે જોવા મળે છે. અગાઉના સમયમાં મંદી આવતી હતી, પરંતુ તેને પહોંચી વળી શકાતું હતું. જ્યારે આજે મંદીના છાંટા મહિનાઓ સુધી ઊડે છે. અનેક વેપાર - ધંધા બંધ થઈ જાય છે. કામદાર - કર્મચારીઓની છટણી થાય છે. સમાજમાં નારાજગી - અસંતોષનું વાતાવરણ ફેલાય છે. આવા ઘણા પ્રત્યાઘાત અર્થતંત્રમાં પડે છે.

અર્થતંત્રમાં જો કૃષિ મહત્ત્વની હોય તો તેના પ્રત્યાઘાત પણ તેવી જ રીતના હોય છે. ભારતે આ તમામ પ્રકારની ચડ-ઊતર સામે સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે ૧૨૦ કરોડની જનસંખ્યા ધરાવતા રાષ્ટ્રમાં રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે એક નાનકડો પ્રત્યાઘાત પણ અનેક અસર ઊભી કરી શકે છે. ભારતને હવે પછી મંદીની અસર ન થાય તે માટે ખર્ચા પર નિયંત્રણ સાથે કામદાર - કર્મચારીઓની કાર્યક્ષમતા, ઉત્પાદકતા માટે વિશેષ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. હાલમાં તો આ દિશામાં એક ટકો પણ વિચારણા થતી નથી, પરંતુ વેપારી - મંડળો અને ટ્રેડ એસોશિયેશન તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમાં આગેવાની લેવાય તે જરૂરી છે.

કાર્યક્ષમતા એટલે શું? તેમાં કઈ રીતે વધારો કરી શકાય? જુદા જુદા વ્યવસાય માટે કાર્યક્ષમતાના આધાર નક્કી કરવા અને તેવી જ રીતે ઉત્પાદકતા વધારવા વિવિધ પગલાં લેવા વગેરે માટે આજે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આથી રાષ્ટ્ર મંદી સામે ટકી શકશે અને લાંબે ગાલે મજબૂત બની શકશે.

No comments:

Post a Comment