Tuesday, October 18, 2011

જિંદગીનું ‘બેલેન્સ’ ક્યારેય ગુમાવવું નહીં!

આપણે ઘણીવાર બોલીએ છીએ, શ્વાસોચ્છવાસ - શ્વાસ એટલે જે બહારથી અંદર આવે છે, ઉચ્છ્વાસ એટલે જે અંદરથી બહાર જાય છે. શ્વાસ એ પ્રાણશક્તિનું ‘બાહ્ય’ રૂપ છે. શ્વાસ એ સ્થૂળ છે. પ્રાણ એ સૂક્ષ્મ છે. માટે જો શ્વાસોચ્છ્વાસ પર કંટ્રોલ આવે તો આ પ્રાણશક્તિ પર પણ કંટ્રોલ આવે. અને પ્રાણનો કંટ્રોલ એટલે જ મનનો કંટ્રોલ. મન કામ કરે છે કારણ પ્રાણ છે. આ પ્રાણના સ્પંદનથી જ મનમાં વિચારો આવે છે. માટે જ જો શ્વાસને નિયંત્રણમાં લાવો (પ્રાણાયામ) તો પ્રાણશક્તિ પર નિયંત્રણ આવે. જેમ સોનાને શુદ્ધ કરવા એની અશુદ્ધિ દૂર કરવા એને તપાવવામાં આવે છે એવી જ રીતે શરીર અને મનની અશુદ્ધિ દૂર કરવા એને પ્રાણાયામ દ્વારા તપાવવામાં આવે છે. માટે જ પ્રાણાયામને ‘તપ’ કહ્યું છે. પણ આ બધું ખરેખર સાધના માગી લે છે, આ કોઈ એક્સરસાઈઝ નથી. આ પ્રાણની અસર હૃદય, બ્લડપ્રેશર, પાચનક્રિયા, ઉત્સર્ગક્રિયા, લાળ, પિત્ત, વાત્ત, કફ, ચાલવા, રમવા, વાત કરવા, વિચારવા, લાગણી પર, ટૂંકમાં દરેક પર પડે છે. આમ શરીર, મન, આત્મા સુધી પહોંચવા પણ શ્વાસનો સહારો લેવાય છે. તે દ્વારા પ્રાણ સુધી પહોંચાય. શાંત ચિત્તે, ધીમે ધીમે શ્વાસને અંદર લો. (શરૂમાં રોકવો નહીં) અને એવી જ રીતે ધીરે ધીરે આ જ શ્વાસને બહાર કાઢો - પૂરા નિયંત્રણ સાથે. મનને શ્વાસ સાથે જોડેલું રાખો. નિયમિત રીતે આટલેથી શરૂઆત કરો.

ઘણી વાર આપણી અંદર જ ‘ઝઘડો’ ચાલતો હોય. આપણી અંદરના કોઈ અવયવને આરામ કરવો હોય, તે જ સમયે, બીજાને કામે લાગવું હોય આથી અસંતુલન વધે. આપણે અનુભવ કર્યો છે. ક્યારેક તો શરીર આરામ માગે, પણ મન કહેશે ના, હજી ઘણું કામ બાકી છે. આ મનને રોકવું અઘરું છે. ક્યારેક મન કહેશે ‘મૂડ’ નથી અને શરીરને કામ જ નહીં કરવા દે, આવા બધાં કારણોસર પણ માંદગી આવી શકે. ક્યારેક તાવ આવી જાય, ક્યારેક ‘રેસ્ટલેસ’ ફીલ થાય, આવે વખતે યોગ્ય કારણ જાણી બેલેન્સ સાધવું. આ માટે શાંતિ લાવવી જરૂરી છે. જસ્ટ રીલેક્સ. ક્યારેક ક્રોધ, આવેશ, અભિમાન, ગિલ્ટ, કપટ, માયા, લાલચ, લોભ જેવા ભાવોથી/ ફિલિંગ્સથી પણ માંદગી આવે. કારણ આ બધા નકારાત્મક પરિબળો પ્રાણશક્તિનો હ્રાસ કરે, અસંતુલન વધે અને માંદગી આવે. માટે જીવનનાં કોઈ પણ સંજોગોમાં આ ‘બેલેન્સ’ ન ગુમાવવું. જાગૃકતા રાખવી, ધ્યાન દઈ કરેક્ટીવ એકશન લેવા. એક પંચાવન વર્ષના ભાઈ, અમેરિકા વર્ષો સુધી હતા, પછી ભારત આવ્યા. ખાસ્સી મોટી ઉંમરે લગ્ન કર્યા, બે જ વર્ષમાં પત્ની સાથે ફાવ્યું નહીં, પણ ચલાવ્યું. (કારણ છૂટાછેડા લે તો મોટી રકમ આપવી પડે તેમ હતી) પણ પછી અસંતુલન વધ્યું, ખોટા નિર્ણયો લેવાવા લાગ્યા. એમની કરોડો રૂપિયાની મૂડી, મોટાં વ્યાજની લાલચે કહેવાતાં ‘મિત્રે’ પડાવી. જ્યારે આ ભાઈને જાણ થઈ ત્યારે તો બધું જતું રહેલું. ખૂબ ગ્લાનિ/દુઃખમાં રહેતાં. જાણે જીવન જ લૂંટાઈ ગયું. અંદરનું બેલેન્સ બગડવા લાગ્યું. ખૂબ પસ્તાવો થાય પણ પરિસ્થિતિનો ‘સ્વીકાર’ થાય નહીં. એમાં અધૂરામાં પૂરું ભયંકર બીમારી આવી, જે નાઈલાજ છે. કહેવાનો આશય એટલો જ કે જીવ બાળવો નહીં. એટલે કે પ્રાણશક્તિ કોઈ કાળે બળવા ન દેવી. એના વગર બધું નકામું. પૈસા ગયા, ભલે ગયા, કંઈક ‘શીખવીને’ ગયા ને? લગ્ન કર્યા એ ભૂલ થઈ એમ લાગે છે, ભૂલથી ગભરાવું નહીં ડોન્ટ રીપિટ. જાગૃકતા અને સ્વીકાર, યોગ્ય દિશામાં ફોકસ, જરૂરી બેલેન્સ લાવવું. આંતરિક સૂઝથી કરેકશન કરતાં જવું, આંતરિક બળ વધે, કરુણા, શાંતિ જેવા ગુણો કેળવવા. જીવન એટલે જ ચેલેન્જ. એમાં ક્યારેય મોડું થતું જ નથી. જાગ્યા ત્યારથી સવાર. નવજીવન મળ્યું છે માની, નવી ગોળી, નવો દાવ. નવચેતના લાવો. આ બધું સમજથી પોતે જ કરવું, ચાખવું, અનુભવવું. બીજા બધા મદદરૂપ થાય (ડોક્ટર, શિક્ષક, ગુરુ) પણ જવાબદારી ફક્ત પોતાની જ. અંદરની હિંમત ન ગુમાવાય. બીજાં એક બહેનની ઉંમર છે ૬૮ વર્ષ. પતિ ગુજરી ગયા છે, અઢળક સંપત્તિ છે, પતિના જીવતાં ખૂબ તાણા દબાવમાં રહ્યાં છે, પોતાની બધી શક્તિને કુંઠિત કરી નાખી છે. આજે બધા અનુકૂળ સંજોગો છે પણ અંદરની ‘શક્તિ’ મરી પરવારી છે. રૂટિન જીવન જીવે છે, ઉત્સાહ-ઉમંગ નથી. વર્ષોથી ટેબેલેટ્સના સહારે છે. આ બધી દવાઓ (બિનજરૂરી) પણ પ્રાણશક્તિને કુંઠિત કરી નાખે છે, પોતાની અંદરનો દીપક, જ્યોત કોણ પ્રગટાવે? આ દિવાળીની તૈયારીમાં અંદરની જ્યોતને પણ અજવાળીએ? ક્યાં સુધી બાહ્ય ભપકા, ખાણી, પીણી, ગિફ્ટ્સ પર જ ધ્યાન આપશું? ભલે આપીએ પણ સાથે સાથે પ્રાણશક્તિને પણ પ્રગટાવીએ. અઘરું છે, અફકોર્સ અઘરું છે પણ અશક્ય નથી જ. પહેલું સુખ તે જાતે નર્યા તો એવી સરસ જીવનશૈલી અપનાવીએ જેમાં ભૂતકાળ કે ભવિષ્યકાળનો કોઈ ભાર કે ડર ન હોય, ચિંતા ન જ હોય. વર્તમાનની મસ્તી સાથે પૂરતી સાવચેતી. આ દિવાળીમાં થોડા વધુ જાગૃત બનીએ. મેવા, મીઠાઈ, પકવાન જરૂર ખાઓ પણ માપમાં, શરીરનાં સિગ્નલ્સને જાણીને, જે ફાવે તે લઈ શકાય. ફટાકડાનાં પ્રદૂષણ અને હિંસાથી બચાય તેટલું સારું. ઘણાં દલીલ કરે છે, બાળકો તો ફટાકડા ફોડે જ ને! એને સાચી વાત જણાવો કે આનાંથી કેટલાં જીવોની હિંસા થાય છે, તો કોઈ બાળક જીદ નથી કરતું ઊલટું એના મિત્રોને પણ રોકે છે. એટલા પૈસાથી બીજા ગરીબ બાળકો માટે કપડાં, મીઠાઈ લઈ વહેંચવામાં એમને અતિશય આનંદ આવે છે. માટે બાળકોનાં નામે આળ ન ચડાવો. એમને સત્ય હકીકત જણાવો. ક્યારેક શંકા એ આવે છે કે ક્યાંક બાળકોનાં નામે આપણે જ આ બધું નથી કરતાં? આપણી જ અધૂરી ઈચ્છાઓ છે કે નહીં? આ સત્ય પણ સ્વીકારો અને બદલો જેથી પ્રાણશક્તિ ઘવાય નહીં.

No comments:

Post a Comment