Saturday, October 22, 2011

સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં હાલકડોલક વાતાવરણ છે

આવક અને ખર્ચા પર નિયંત્રણ સાથે સમતોલન હશે તે પરિસ્થિતિ આદર્શ છે.



રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વધતા જતા ભાવ અને ફુગાવા સામે ચેતવણી ઉચ્ચારી છે પરંતુ આવી બાબતોનો હવે કોઈ જ અર્થ નથી. ભાવ વધે એટલે પગાર વધારો અપાય છે. પગાર અને મોંઘવારી વધે એટલે ફરીથી ભાવમાં વધારો થાય છે!! આવો ક્રમ છેક ૧૯૫૦થી ચાલુ છે અને દરેક તેના વિશે જાણે છે.

ખાધાખોરાકીની ચીજવસ્તુમાં જે ભાવવધારો થઈ રહ્યો છે તેના કારણ જાહેર થતાં નથી. સારો વરસાદ છતાં શાકભાજીના ભાવ વધે છે તે અચરજની વાત ગણાય. જેમ જેમ કરવેરાનું પ્રમાણ વધે છે તેટલી જ અવ્યવસ્થા અને ભ્રષ્ટાચાર વધી રહ્યા છે. તમામ ગેરરીતિના મૂળ માત્ર કરવેરા વ્યવસ્થામાં પડેલા છે.સર્વિસ ટેક્સ શરૂ થયો છે. પરંતુ શા માટે? ઉદારીકરણ વખતે સ્પષ્ટ કહેવાયું હતું કે ઓછામાં ઓછા ખર્ચા અને ઓછી સરકારી દખલગીરી હશે. પરંતુ આ બાબતે ૨૦ વર્ષ પછી શું પરિસ્થિતિ છે. સૌથી વધુ સરકારી દખલગીરી આજે વ્યાપાર - વાણિજય ક્ષેત્રમાં છે.હજુ તો આરોગ્ય સેવા નિઃશુલ્ક પૂરી પાડવા નવા નવા પ્લાન બની રહ્યા છે. નોકરીમાં હોય તેમના પગારમાંથી કપાત કરીને આરોગ્યની સેવા પૂરી પાડવા તૈયારી થઈ રહી છે. અંદાજે ૩ કરોડ નોકરિયાતના પગારમાંથી ટકાવારી અનુસાર આરોગ્ય કર કપાત કરવાની દરખાસ્ત છે.

ભ્રષ્ટાચારના નવા નવા વિકલ્પ ખૂલી રહ્યા છે. તેમાં આ રીતે કરવેરા વધારા દ્વારા ભ્રષ્ટાચાર વધવાનો છે. આવકવેરા અને વેટ જેવા ટેકસથી કેવાં કેવાં કૌભાંડ થાય છે તે હવે કોઈને જાણ કરવાનો મુદ્દો રહ્યો નથી. તેવી જ રીતે એકસાઈઝ અને કસ્ટમ તો ભ્રષ્ટાચારના અડ્ડા છે. આવી રીતે કોને ટેક્સ ભરવાનું મન થાય તેવું છે?

સરકારની ખોટી નીતિને કારણે જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેની નકારાત્મક અસર અર્થતંત્ર પર થઈ રહી છે. છતાં કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. વેપાર ઉદ્યોગે એ વાત સ્વીકારી લીધી છે કે ભ્રષ્ટાચાર એ કોઈ નવી બાબત નથી તેની સામે પ્રતિકાર કે આંદોલન એ કોઈ ઉપાય નથી. ભ્રષ્ટાચારને વેપાર - ઉદ્યોગનો ભાગ ગણીને જ ચાલવાનું છે.

આવી માનસિકતા છે એટલે જ પ્રજાને લૂંટવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભાવ - વધારા સામે કોઈ પગલાં લેવાતાં નથી માત્ર આશ્વાસન આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રીએ ફરીથી વાયદો કર્યો છે કે ભાવો ટૂંક સમયમાં નિયંત્રણમાં આવી જશે!! પરંતુ આવી ખાતરી અનેકવાર આપવા છતાં કંઈ જ પરિણામ મળ્યા નથી.

હજુ વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં હાલકડોલક થઈ રહી છે. મંદીનો દોર આગળ વધે તેવું છે. જર્મનીમાં મુશ્કેલી શરૂ થઈ છે. ગ્રીસને આપવાના થતાં ભંડોળમાં જર્મનીનો નોંધપાત્ર હિસ્સો હતો. આવો ફાળો અપાશે કે કેમ તે અંગે અનિશ્ચીત વાતાવરણ ઊભું થયું છે.

વિશ્વમાં જો આમ જ ચાલ્યું તો લોકશાહી વ્યવસ્થા સામે જબરો પડકાર ઊભો થશે. તેને પહોંચી વળવું મુશ્કેલ બની રહે તેમ છે. પ્રજાને સ્થાપિત યંત્રણામાંથી વિશ્વાસ ઊઠી જાય તેવું છે. કારણ કે તમામ બાબતોમાં અનિશ્ચીત વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. કોઈ પણ ક્ષેત્રે સાતત્યતા અને એકસૂત્રતા દેખાતી નથી.

ભાવ સપાટી જાળવવા જેવું એક સર્વમાન્ય કાર્ય જો સરકારી વિભાગ ન કરી શકે તો તેમની પાસેથી બીજી કઈ અપેક્ષા રાખી શકાય? કેટલાક લોકોને મન માત્ર શેરબજાર અને તેનો સૂચક આંક એ જ વિકાસની પારાશીશી છે. આવું યોગ્ય નથી. આનો અર્થ મતલબ પરસ્તી જ કહી શકાય.

છેલ્લાં ૧૦૦ વર્ષમાં વિશ્વમાં તમામ ક્ષેત્રે પરિવર્તન જોવામાં આવ્યું, પરંતુ હવે તેના માત્ર નકારાત્મક પાસાં જોવા મળી રહ્યાં છે. આવી બાબતોના બન્ને પ્રકારના પ્રત્યાઘાત પ્રજા આપી રહી છે. તેમ છતાં એટલું કહી શકાય કે ગરીબીનું પ્રમાણ વધ્યું છે પછી ભલે ગમે તેટલી ઊંચા પ્રકારની આર્થિક નીતિ પ્રવર્તમાન હોય.

હાલમાં જે આર્થિક બખડજંતર ચાલી રહ્યું છે તે માત્ર આર્થિક રીતે નબળા રાષ્ટ્રમાં જ છે તેવું નથી. સમૃદ્ધ અને આર્થિક મજબૂતાઇ ધરાવતાં રાષ્ટ્રમાં તે વધુ છે. આર્થિક ગુનાખોરીને વ્યાપ પણ વધી રહ્યો છે. જેમાં ભાવ - વધારો નિયંત્રણમાં લેવા નિષ્ફળતાનો પણ સમાવેશ થાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજ દર વધારશે એટલે બેન્કમાંથી ધિરાણ લેનારાને વધુ વ્યાજ ચૂકવવું પડશે તેનાથી કિંમત અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે. આવો ક્રમ સતત ચાલ્યા કરે છે. તેનો અંત કોઈપણ નાણાં મંત્રી લાવી શકે તેવું હાલમાં તો દેખાતું નથી. 

No comments:

Post a Comment