Sunday, November 27, 2011

વજન ઘટાડવાનો કીમિયો તમારા કિચનમાં જ!


વ્યક્તિ ભરાવદાર હોય અને સ્થૂળતા ઘટાડવાનો કોઇ ઉપાય ન હોય ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે વજન કેવી રીતે ઓછું કરવું? અત્યારે વજન ઉતારવાના સેન્ટર દરેક ગલીને નાકે ખુલ્યાં છે. કેટલાંક લોકો તેમાં જઇને પોતાનું વજન ઓછું કરે છે, પરંતુ બધાને માટે એટલા પૈસા ખર્ચવા શક્ય નથી. આવા લોકો માટે એવો આહાર, જે ઘરગથ્થું છે, શરીરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને સ્થૂળતા ઓછી કરી બીજી બીમારીઓથી પણ બચાવે છે.

હળદરઃ હળદરના કરક્યુમીન નામના તત્વમાં એવાં ગુણ છે જે હૃદયને પહોળું કરતાં જીન્સનો નાશ કરે છે. હળદરનો નિયમિત વપરાશ શરીરમાં ઉત્ત્પન્ન થતાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, બ્લડપ્રેશરને કાબૂમાં રાખે છે, લોહીનું પરિભ્રમણ વધારે છે અને ધમનીઓમાં લોહીને જામી જતું અટકાવે છે. જેથી હાર્ટએટેક આવવાની શક્યતા ઓછી થઇ જાય છે.

એલચીઃ આ થર્મોજેનિક ઔષધિ છે જે પાચનક્રિયા સુધારે છે અને શરીરની ચરબીને બાળવામાં મદદ કરે છે. એલચી પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બીજા આહારને પાચન કરવામાં પણ મદદરૂપ બને છે.

મરચાંઃ મરચાંવાળો આહાર શરીરમાં રહેલી ચરબીને બાળવામાં સહાયક છે. મરચાંમાં રહેલું કેપ્સેસિન નામનું તત્ત્વ ચયાપચયની ક્રિયાને પ્રદીપ્ત કરે છે. કેપ્સેસિન ઉષ્ણ હોય છે જેથી મરચાંવાળો આહાર આરોગ્યા પછી શરીરમાં રહેલી વધારાની કેલરીને માત્ર ૨૦ મિનિટમાં બાળવાની શરૂઆત કરે છે.

મીઠા લીમડાનાં પાનઃ દરરોજના આહારમાં મીઠા લીમડાનાં પાનને અન્ય આહારમાં ભેળવીને લેવાથી શરીરનું વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. આ પાન ચરબી અને શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે, શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે, એ સાથે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી છે. જો તમારું વજન વધારે હોય, તો તમારે દરરોજના આહારમાં આઠ થી દસ મીઠા લીમડાનાં પાનનું સેવન કરવાથી ફાયદો થશે. 

લસણઃ લસણ ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ, લસણમાં આવેલું સલ્ફર જે એન્ટી-બેક્ટેરિયાની અસર અને કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. 

રાઇનું તેલઃ રાઇનું તેલ બીજા કોઇ પણ ખાદ્યતેલ કરતાં ઓછી ચરબી ધરાવે છે. તેમાં ફેટી એસિડ, ઓલીક એસિડ, એરૂસીસ એસિડ અને લીનોલેઇસ એસિડ જેવાં તત્ત્વો છે. જેનાથી શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે જે હૃદય માટે સારું ગણાય છે.

કોબીજઃ કાચી અથવા રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઇડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે. જેનાથી કોબી શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે.

મગની દાળઃ મગની દાળ વિટામીન એ, બી, સી અને ઇ તેમજ કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં ઓછી ચરબી હોવાને કારણે ડાયેટિંગ કરનારાઓને તે ખાસ ખાવાની સલાહ આપવામાં આવે છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે અને લોહીમાં સાકરનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. તેમજ જમ્યા પછી આહારના પાચન દરમ્યિાન સાકરને ઝડપથી ઉત્પન્ન થતી અટકાવે છે.

મધઃ મધ સ્થૂળતાનો ઘરગથ્થુ ઇલાજ છે. તે શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે ૧૦ ગ્રામ અથવા એક ટેબલસ્પૂન મધ લેવાથી ફાયદો થાય છે.

છાશઃ છાશમાં ૨.૨ ગ્રામ ચરબી અને ૯૯ કૅલરી હોય છે, જ્યારે દૂધમાં ૮.૯ ગ્રામ ચરબી અને ૧૫૭ કૅલરી હોય છે. દરરોજના આહાર સાથે છાસ પીવાથી તે શરીરમાં ચરબી અને કૅલરીનું પ્રમાણ વધવા દેતી નથી. તેથી છાશ વજન ઘટાડવા માટે મદદરૂપ બને છે.

અનાજઃ ફાઇબરથી ભરપૂર અનાજ જેવા કે જુવાર, બાજરા, રાગી વગેરે આહારમાં લેવાથી તે કોલેસ્ટ્રોલને શોષી લે છે અને લીવરમાં વધુ પ્રમાણમાં રસ ઉત્પન્ન કરે છે. જે ચરબીને સપ્રમાણમાં ઓગાળે છે.

તજ અને લવિંગઃ ભારતીય આહારમાં વપરાતાં આ બંને તેજાના ઇન્સ્યુલીનની કામગીરી સુધારે છે અને ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીમાં શુગરના સ્તર ઉપરાંત કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇક્લીસરાઇડના પ્રમાણને પણ ઘટાડે છે.

No comments:

Post a Comment