Tuesday, November 22, 2011

હજારો ઉપદેશ કરતાં થોડું કલ્યાણકારી કાર્ય લાખ દરજ્જે સારું ગણાય છે

ગુણવત્તા સાથેનું શિક્ષણઃ હજુ વ્યાપક કાર્ય બાકી છે



શિક્ષણક્ષેત્રે જાતજાતના પ્રયોગ થઈ રહ્યા છે. નવી નવી પદ્ધતિ લાવવામાં આવી રહી છે. હવે શિક્ષણની ગુણવત્તા સુધારવાનો વ્યૂહ અપનાવાયો છે. શિક્ષણમાં અનામત પ્રથાને કારણે કેટલું નુકસાન થયું છે તેનો કોઈ અંદાજ રાજકીય પક્ષોને નથી. માત્ર ઉપરછલ્લાં પગલાં લેવામાં આવી રહ્યા છે.આજના સમયમાં ટેક્નિકલ શિક્ષણની માગ વધી છે. તે માટે સંકલિત પ્રયાસ થઈ રહ્યા છે. ટેકિનકલ શિક્ષણમાં કમ્પ્યુટર્સ શિક્ષણનો પણ સમાવેશ થાય છે તે સિવાયના હુન્નર અને કુનેહ વિકસાવે તેવી શિક્ષણ પદ્ધતિ સમાજને માટે પથદર્શક બની રહેવી જોઈએ. આ દિશામાં વિચારવાની જરૂર છે.ખરેખર મૂલ્યાંકન અને વિશ્લેષણ કરવામાં આવે તો હજુ આપણે ત્યાં પ્રભાવશાળી વૈજ્ઞાનિકો, સંશોધકો અને તજજ્ઞોની ભારે અછત છે. લગભગ દરેક ક્ષેત્રના ઉચ્ચ કક્ષાની બુદ્ધિ પ્રતિભા ધરાવનારા નિષ્ણાતો બહુ મર્યાદિત છે. સંશોધનલક્ષી ઉચ્ચ સંસ્થાઓ મર્યાદિત છે. આવી સંસ્થાની સંખ્યામાં વૃદ્ધિ થશે તે વખતે જ શિક્ષણની ગુણવત્તામાં વધારો થવાનો છે.છતાં એ બાબત આવકારદાયક છે કે શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણનો આશય માત્ર માનસિક વિકાસ નથી, પરંતુ સમગ્ર સમાજના કલ્યાણકારી વિકાસની વાત તેમાં છે. કમનસીબે શિક્ષણનું નેતૃત્વ ખોટા લોકોના હાથમાં જતું રહ્યું છે. એટલે સાચાં અને સારા પરિણામ જોવાં મળતાં નથી.

શિક્ષણપ્રથાના કેન્દ્રમાં શિક્ષક છે. શિક્ષક સત્ત્વશીલ હોય તો શિક્ષણપ્રથામાં કૌવત રહે છે. શિક્ષકનો સામાજિક દરજ્જો સમાજે ઉર્ધ્વગામી બનાવવાની જરૂર છે. વળી શિક્ષણ એટલે માત્ર પાકા મકાન - ઓરડા અને શાળાનું કમ્પાઉન્ડ નથી તે સિવાયની ઘણી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. કોઈપણ સમાજ માટે શિક્ષણપ્રથા એક દર્પણ છે. સમાજ અને સંસ્કૃતિ - પરંપરા વગેરેની ગુણવત્તા કેવી છે તે શિક્ષણપ્રથા પર નિર્ભર છે. કમનસીબે રાજકીય નેતૃત્વ શિક્ષણનું મહત્ત્વ સમજતા નથી. કારણ કે દર પાંચ વર્ષે સત્તા બદલાતી હોય છે તેમાં નક્કર કાર્ય થતાં નથી. છેલ્લાં ૧ હજાર વર્ષના ગુલામીના ઈતિહાસના કારણે આપણે આપણી મૌલિક શિક્ષણપ્રથા ગુમાવી બેઠા છીએ. હાલમાં જે કંઈ છે તે માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણપદ્ધતિ છે. સ્નાતક કક્ષાએ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપવામાં આવે છે, પરંતુ તેમાં પોતાના વિચાર અને પોતાની મૌલિક સર્જકતા ખૂબ જ ઓછી હોય છે.ટેક્નિકલ અને વૈજ્ઞાનિક શિક્ષણક્ષેત્રે હજુ વિશાળ કામગીરી કરવાની બાકી છે. આજે આવો વર્ગ અલ્પસંખ્યક છે તેમને કેટલાક વિશેષાધિકાર અને નાણાકીય પ્રોત્સાહન પૂરા પાડીને આગળ લાવવા પ્રયત્ન થવા જોઈએ. બાકી બીજી રાહતો જે અન્ય વર્ગને મળે છે તે આવા પરિણામલક્ષી કામગીરી કરનારા વૈજ્ઞાનિકોને મળે છે ખરી? વર્તમાન સમયમાં જ્યાં સત્તા અને સંપત્તિનું જોર છે તેવે વખતે ગુણગ્રાહી - સત્ત્વશીલ કામગીરી કરનારા કેટલા? જે સમાજ માત્ર અર્થલક્ષી બને છે તેનું પતન અવશ્ય થતું હોય છે. શિક્ષણશાસ્ત્રીઓ - સમાજશાસ્ત્રીઓ અને નીતિ વિષયક આયોજન કરનારાઓ વગેરે માટે આવી બાબત એક પડકાર છે.તેમ છતાં છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધ્યો છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સંસ્થા પણ વધી છે તેમ છતાં ગુણવત્તા બાબતે બહુ સંતોષ લઈ શકાય તેવું નથી. ખમતીધર વર્ગના લોકો તો શિક્ષણ લેવા માટે વિદેશ જતાં રહે છે, પરંતુ દરેકને તે પરવડે તેવું નથી. આથી જ ઘરઆંગણે તેમાં સુધારાના પ્રયાસ થવા જોઈએ.જે કંઈ કામગીરી થશે તે ભલે ધીમી હોય, પરંતુ તબક્કાવાર હોવી જોઈએ. એક પછી એક બાબતે વર્તમાનને ધ્યાનમાં રાખીને જો નિર્ણય થશે તો સમાજને તેનો ફાયદો અવશ્ય મળવાનો છે. સમાજને મળનારો લાભ એ મોટી બાબત બની રહે છે. આથી શિક્ષણને કેન્દ્રમાં રાખીને સઘળા નિર્ણય કરવાના રહે છે. શિક્ષણ એ રાજ્યનો વિષય છે. જ્યારે કેન્દ્ર સરકાર માત્ર નીતિ વિષયક સૂચન કરે છે, પરંતુ શિક્ષણ લોકભોગ્ય બને અને રાષ્ટ્ર ઘડતરમાં ફાળો આપે તે માટે સર્વસંમતિ હોવી જોઈએ. આવી બાબતમાં મતમતાંતર ચાલે નહીં. રાષ્ટ્રપ્રેમને વિકસાવે તેવી બાબતો શિક્ષણના અભ્યાસક્રમમાં આવરી લેવી જોઈએ. શિક્ષણમાં રાષ્ટ્રનો ઈતિહાસ અને નામી - અનામી લોકોએ આપેલા ફાળાની પણ યોગ્ય સ્તરે નોંધ લેવાવી જોઈએ. રાષ્ટ્રાભિમાન વિકસાવે તેવા મુદ્દાઓ આવરી લેવાની ખાસ જરૂર છે. ચારિત્ર્ય - સદાચાર અને નિષ્ઠાને પુષ્ટિ આપે તેવી શિક્ષણપ્રથા માટે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. 

No comments:

Post a Comment