Thursday, November 3, 2011

વિશ્વ અને જનસંખ્યા


  • વિશ્વની જનસંખ્યા સાત અબજની થઈ છે. ઘરમાં નવું બાળક જન્મે તે આનંદ અને હર્ષની વાત બને છે તેને બદલે પૃથ્વી પર સાત અબજ જીવ છે તે વાતથી ભવિષ્ય માટેની ચિંતા પણ થઈ રહી છે!! વિરોધાભાસ ઘણા છે અને વિશ્લેષણ તે રીતે થઈ રહ્યા છે.
  • લોકશાહી રાષ્ટ્રમાં ભારત એ સર્વપ્રથમ રાષ્ટ્ર છે કે જેમણે નાનું કુટુંબ અને કુટુંબ આયોજન એ મુદ્દાને રાજ્યના વિષય તરીકે સ્વીકારીને સરકારી રાહે ૧૯૫૨માં કુટુંબ નિયોજન સ્વીકાર્યું હતું. આ વાતને ૬૦ વર્ષ થયા પછી ભારતની જનસંખ્યા ૧૨૦ કરોડની છે. જનસંખ્યા વધવા છતાં આજે ભારત પોતાનું ભરણપોષણ કરે છે.સરકારી રાહે નાના કુટુંબના પ્રચાર છતાં કેટલીક ચોક્કસ કોમ અને વર્તુળ આવી બાબતમાં માન્યતા ધરાવતા નથી. આથી પરિણામ એવું આવ્યું છે કે ભારત જેવા રાષ્ટ્રમાં સમગ્ર ડેમોગ્રાફી બદલાઈ રહી છે. બુદ્ધિશાળી કોમ અને જ્ઞાતિની સંખ્યા ઘટી રહી છે અને નઠારા - નિરક્ષર લોકોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેમાં કોમવાદીઓ પણ વધ્યા છે.ભારતમાં દર વર્ષે અઢી કરોડની જનસંખ્યા વધે છે એટલે ૧૦ વર્ષે અંદાજે ૨૫ કરોડની સંખ્યા વધે છે. આટલી વિશાળ જનસંખ્યા માટે અનાજ - પાણી - શિક્ષણ - રહેઠાણ - આરોગ્ય વગેરે માટેની સુવિધા માટે આયોજન થાય છે ખરું? આ બાબતે સરકારી વિભાગ સાવ મૌન છે. તેમના તરફથી કોઈ જ સ્પષ્ટતા થતી નથી.
  • સમગ્ર વિશ્વમાં ૨૦૧ રાષ્ટ્ર છે. તેમાંથી ૪૨ રાષ્ટ્ર સાવ નાના છે - તેની જનસંખ્યા અડધા મુંબઈ જેટલી ગણવી રહી. જ્યારે તેનાથી નાના ૪૪ રાષ્ટ્ર છે. આ રાષ્ટ્રોની વસતિ ૧૦ લાખથી ૫૦ લાખ જેટલી ગણી શકાય. જ્યારે ૮૩ રાષ્ટ્ર એવા છે કે તેમની જનસંખ્યા ૫૦ લાખથી પાંચ કરોડની છે.વળી ૫ કરોડથી ૨૦ કરોડની જનસંખ્યા ધરાવતાં ૧૦ દેશ છે. તેમાં પાકિસ્તાન, બંગલાદેશ, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા, જાપાન, વગેરે છે. પરંતુ ભારત-અમેરિકા અને ચીન એ ત્રણ રાષ્ટ્ર જનસંખ્યાની દષ્ટિએ અગ્રેસર છે. તેમાં અમેરિકાની વસતિ ૩૦ થી ૩૨ કરોડની હોવાનો અંદાજ છે.ભારત ૧૨૦ કરોડ તો ચીનની જનસંખ્યા ૧૩૦ કરોડની છે. ઔદ્યોગિકરણ બાદ વિભક્ત કુટુંબો થવાથી જનસંખ્યા વધી - અને યુરોપને તેનો અનુભવ થયો. તે વખતે માલ્થુસની જનસંખ્યા થિયરી અને આધુનિક એમ બે વિચારધારા હતી. વસતિ વધે છે તેવે વખતે કુદરત આફત લાવે છે તેવો નિષ્કર્ષ પણ ફેલાવાયો હતો.પ્રશ્ન જનસંખ્યાનો નથી, પરંતુ સંચાલનનો છે. ગ્રામ્ય વિસ્તારની વસતિ શહેરમાં આવે તેને સરકારી રેકર્ડ વસતિના વધારા તરીકે ઓળખાવે છે!! પરંતુ તેઓ ગામડા શા માટે ત્યાગે છે તેના કારણો શોધવાની ફૂરસદ તેમની પાસે નથી. ભારત જેવા રાષ્ટ્રમાં જનસંખ્યા, વિસ્તાર, વસતિ, જ્ઞાતિ, સામાજિક સમૂહ અને તેને લગતી બાબત એ વિશદ્ છણાવટનો મુદ્દો છે.ભારતમાં પશ્ચિમનાં વિસ્તારો તરફ વસતિનો ધસારો વધારે જણાય છે જ્યારે પૂર્વ અને ઈશાન ભારતમાંથી વસતિનું સ્થળાંતર પશ્ચિમ - ઉત્તર તરફ થઈ રહ્યું છે. માત્ર વસતિ વધી છે તેમ કહેવાને બદલે આ જાતના તારણ શોધીને તેના ઊંડાણના કારણ તપાસવાની ખાસ જરૂર છે.
  • એક સમયે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ - ધર્મ વગેરે એશિયાના દૂર દૂરના વિસ્તાર અને અફઘાનિસ્તાન સુધી હતો. પરંતુ જનસંખ્યા સંચાલન ક્ષેત્રે માર ખાવાથી ભારતે ઘણી બાબતે નિયંત્રણ ગુમાવ્યું. આ બાબતે ઘણાં પુરાવા આપી શકાય તેવું છે. પરંતુ નિષ્ણાતોએ વર્તમાન સમયને અનુરૂપ નવેસરથી ડેમોગ્રાફીનું વિશ્લેષણ કરવું જોઈએ.આફ્રિકા અને એશિયામાં જનસંખ્યાને ટાર્ગેટ બનાવીને વટાળ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ કાર્ય ભાજપ પેદા થયો નહોતો ત્યારથી ચાલી રહ્યું છે. જનસંખ્યાના મુદ્દાને ચર્ચામાં લેતી વખતે ભારત જેવા રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને આગળ વધવાની જરૂર છે. હાલમાં આવી કોઈ જ બાબતને ધ્યાનમાં લેવાતી નથી.જનસંખ્યા માત્ર અર્થશાસ્ત્રને લગતી જ બાબત નથી. જનસંખ્યા વિશાળ બજારને મંચ પૂરો પાડે છે. જનસંખ્યાથી ધર્મ - સંસ્કૃતિ સંગઠિત રીતે વિકસે છે. જનસંખ્યા શ્રમબજારનું સાધન છે. બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા અને તેને આનુષંગિક બાબત કેન્દ્રમાં રાખીને જનસંખ્યા જેવા વિષય પર સમાજમાં ચર્ચા અનિવાર્ય બની છે.રાષ્ટ્રના કુદરતી સાધનો અને સંપત્તિ જોતાં જનસંખ્યા રાષ્ટ્રનું નવસર્જન કરી શકવાને શક્તિમાન છે.

No comments:

Post a Comment