Wednesday, February 23, 2011

નદીમાંથી હાથ-પગ બાંધેલી લાશનું પોટલું મળ્યું

અજાણ્યા યુવાનની ઠંડે કલેજે હત્યા કરાયાની આશંકા

વાંકાનેરના મહીકા ગામના પાદરમાંથી પસાર થતી મચ્છુ નદીમાંથી એક અજાણ્યા યુવાનની હાથ-પગ બાંધેલી લાશનું પોટલું મળી આવતાં ભારે સનસનાટી સર્જાઇ છે. યુવાનની ઠંડે કલેજે હત્યા કરી, લાશને પોટલામાં બાંધીને ફેંકી દેવાઇ હોવાના પ્રાથમિક તારણ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

મચ્છુ નદીમાં એક મોટું પોટલું પડ્યું હોવાની તથા તેમાંથી ભયાનક દુર્ગંધ આવતી હોવાની મહીકાના સરપંચે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસના પી.એસ.આઇ. ટીલવા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ધરાવતા એ પોટલાને ખોલતા તેમાંથી એક અજાણ્યા યુવાનની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. અજાણ્યા યુવાને ક્રીમ કલરનું પેન્ટ તથા કાળુ, કેસરી અને ગ્રે કલરનું ચેકસ વાળું શર્ટ પહેર્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ દ્રષ્ટિએ આ કેસ હત્યાનો જણાય છે. બનાવ ત્રણ દિવસ પહેલાં બન્યો હોવાનું અનુમાન છે. લાશ અત્યંત કોહવાઇ ગયેલી હાલતમાં મળી છે. હતભાગી યુવાનના ચહેરાને તથા પગના ભાગે માછલાઓએ ફોલી ખાધો હોવાનું નજરે પડે છે. પોલીસે લાશને પી.એમ. માટે વાંકાનેર હોસ્પિટલે ખસેડી, અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે.

લાશ છણિયા જેવા કપડામાં બાંધી હતી -

યુવાનના હાથ રસ્સી વડે બાંધી દેવાયા હતા. પગ પણ ઘુંટણમાંથી બેવડા વાળી કમર સુધી બાંધેલા છે. એ હાલતમાં લાશને છણિયા જેવા કપડામાં કસોકસ રીતે બાંધી દેવાઇ હતી. કોઇ વ્યક્તિને આપઘાત કરવો હોય તો પણ આ રીતે પોતાનું શરીર બાંધી ન શકે. યુવાનની અન્ય સ્થળે હત્યા કરીને બાદમાં લાશ આ નદીમાં નાંખી દેવાઇ હોય એવી સંભાવના પણ નકારી શકાતી નથી.

No comments:

Post a Comment