Monday, February 7, 2011

મુખ્યમંત્રી કાર્યાલયે કરેલા હસ્તક્ષેપ અંગે સીટના સવાલો

પ્રશ્ન : હિંસાના એક કેસમાં હોમગાર્ડ કમાન્ડન્ટની ધરપકડ થઈ હતી, તેમાં મુખ્યમંત્રી કાર્યાલયે હસ્તક્ષેપ કર્યો હતો ? તે સમયે કચ્છના પોલીસ વડા વિવેક શ્રીવાસ્તવે મુખ્યમંત્રી કાર્યાલયનો આદેશ ન માનતાં માર્ચ-૨૦૦૨માં તેમની બદલી કરી દેવાઈ હતી તે સાચું છે ?

મોદી : ના. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આવા કોઈ જ હસ્તક્ષેપનો બનાવ બન્યો નથી. પોલીસ અધિકારીઓની નિયુક્તિ અને બદલી ગૃહ વિભાગ દ્વારા ડીજીપી સાથે ચર્ચા-વિચારણા કરીને થાય છે. જેમાં મુખ્યમંત્રીની મંજુરી જરૂરી હોય તેવા કિસ્સામાં ફાઈલ મંજુરી માટે મારી પાસે આવે છે. મને આવી કોઈ ઘટના યાદ આવતી નથી અને વધુમાં કહું તો, મેં ક્યારેય આવી બાબતમાં હસ્તક્ષેપ કર્યો નથી.

પ્રશ્ન : એવા આક્ષેપ છે કે જે જાહેર કર્મચારીઓએ હિંસા માટે જવાબદાર લોકો સાથે સાઠગાંઠ કરી હતી તેમને રમખાણો પછી નવાજવામાં આવ્યા હતા અને જેમણે કાયદા મુજબ કામગીરી કરવાનો પ્રયાસ કર્યો તેમને બદલી અને સુપરસેશન્સ દ્વારા સજા કરવામાં આવી અને તેનાથી સરકાર સમક્ષ સંદેશો ગયો કે સરકારી કર્મચારીએ જે બંધારણનાં પાલનના સોગંદ લીધા હતા તેઓ બંધારણને બદલે મુખ્યમંત્રીના રાજકીય એજન્ડા પ્રત્યે વચનબદ્ધ હતા. તે અંગે તમારું શું કહેવું છે?

મોદી : આ આક્ષેપ સંદિગ્ધ, ખોટા અને કોઈ આધાર વગરના છે. એવું લાગે છે કે ફરિયાદીએ સરકારની તમામ હિલચાલ અને કામગીરીને મુખ્યમંત્રી સાથે જોડી દેવાનો ગંભીર પ્રયાસ કર્યો છે. અધિકારીઓનાં પોસ્ટિંગ અને બદલી વહીવટી મંત્રાલયનો વિશેષાધિકાર છે અને રૂટિન બાબત છે. ચૂંટણીના વર્ષમાં જેમણે ત્રણ વર્ષ એક જ પોસ્ટ ખાતે કામ કર્યું હોય તેમની સરકાર દ્વારા બદલી કરવામાં આવે છે અથવા ચૂંટણીપંચ તે કામ કરે છે. બદલીના આ ક્રમમાં જેમણે ત્રણ વર્ષથી ઓછા સમય સુધી એક જગ્યાએ રહ્યા હોય તેમની પણ બદલી થાય છે. આ બાબતને ધ્યાનમાં લેતાં પોસ્ટિંગ કે બદલી સજારૂપે કરાઈ છે તેવું ન કહી શકાય.

પ્રશ્ન : એવો આક્ષેપ છે કે તે સમયે મહેસાણા જિલ્લાના પોલીસ વડા અનુપમસિંઘ ગેહલોતની એટલા માટે બદલી કરી દેવાઈ હતી કારણ કે તેમણે કડીના નગરસેવક રમેશ પચુભાઈ પટેલ સહિતના નામાંકિત લોકો જે કેસમાં આરોપી હતા તે કેસમાં સરકારે કહ્યા મુજબ ન કર્યું.

મોદી : મેં આગળ કહ્યું તેમ પોસ્ટિંગ અને બદલી એ રાબેતા મુજબની વહીવટી બાબત છે, જે સંબંધિત વહીવટી મંત્રાલયનો મામલો છે અને જરૂર પડે ત્યાં મારી મંજુરી લેવાય છે. આથી આ આરોપ કોઈપણ આધાર વગરનો છે.

પ્રશ્ન : ફરિયાદમાં એવો આક્ષેપ છે કે ગુજરાતમાં રમખાણોના કેસમાં જે સરકારી વકીલ નિયુક્ત કરાયા હતા તે શાસક પક્ષ કે સંઘ પરિવારના સભ્યો હતા અથવા સમર્થક હતા અથવા તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા અને મોટાભાગના કેસમાં આરોપીઓ છૂટી જાય તેવો ઈરાદાપૂર્વકનો પ્રયાસ કરાયો હતો. તે અંગે તમારું શું કહેવું છે?

મોદી : સરકારી વકીલની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ પારદર્શક છે, જેમાં જિલ્લા જજ જિલ્લા કલેક્ટરને ખાલી પડેલી જગ્યા અંગે લેખિત જાણ કરે છે અને જિલ્લા કલેક્ટર તે પદ માટેની જાહેરખબર પ્રસિદ્ધ કરાવે છે. જે અરજદાર અરજી કરે તેના ઈન્ટરવ્યૂ એક સમિતિ અને જિલ્લા કલેક્ટર દ્વારા લેવાય છે. ઈન્ટરવ્યૂના આધારે દરેક પોસ્ટ માટે ત્રણ એડવોકેટની પેનલ સરકાર સમક્ષ રજુ કરાય છે. આ એડવોકેટની પેનલમાંથી જ સરકારે નિમણુક કરવાની હોય છે. આથી સરકારી વકીલની પસંદગીમાં સરકારની કોઈ ભૂમિકા હોતી નથી અને આ પ્રક્રિયા ૧૯૬૦થી અમલમાં છે.

No comments:

Post a Comment