Monday, February 7, 2011

‘તમે અધિકારીઓને કહ્યું હતું, હિન્દુઓને ગુસ્સો ઠાલવવા દો?’

ગુજરાતનાં રમખાણો અંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગત 29 માર્ચ,2010ના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ સવારના નવથી રાતના એક વાગ્યા સુધી, લગભગ 16 કલાક સુધી બાંબીલચક પૂછપરછ કરી હતી. સીટના સિનિયર અફસર એ.કે.મલ્હોત્રાએ કરેલી પૂછપરછને અહીં કોઈ પણ જાતની ટીકા-ટિપ્પણી વિના પાંચ ભાગમાં પ્રકાશિત કરવામાં આવી છે...

-‘મને છેક (૨૭-૦૨-૨૦૦૨ની) રાત્રે ખબર પડી કે વિહિપ દ્વારા બંધનું એલાન અપાયું છે’
-‘મંત્રીઓની (પોલીસ) કંટ્રોલ રૂમમાં હાજરી અંગે મને વ્યક્તિગત રીતે કોઈ જાણકારી નથી’

-‘તે (જયદિપ પટેલ )ગોધરામાં મને મળ્યા હોય તેવું મને યાદ નથી

પ્રશ્ન :તમે ગોધરાકાંડની ઘટનાને પૂર્વઆયોજિત ગણાવી હતી અને તેની પાછળ પાકિસ્તાન કે આઈએસઆઈનો હાથ હોવાનું કહ્યું હતું? જો હા, તો તેનો આધાર શું?

મોદી : મેં ક્યારેય વિધાનસભામાં આવા શબ્દો ઉચ્ચાર્યા નથી. અલબત્ત, મીડિયાએ મારી સમક્ષ કેટલાક પ્રશ્નો મૂક્યા હતા, પરંતુ મેં કહ્યું હતું કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કંઈ જ કહી શકાય નહીં.

પ્રશ્ન :મૃતદેહો અમદાવાદ લઈ આવવાનો નિર્ણય કોણે લીધો અને ક્યા આધાર પર લીધો?
મોદી : કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ત્યાં હાજર રહેલા તમામ લોકોએ સામૂહિક રીતે ચર્ચા-વિચારણાને અંતે નિર્ણય લીધો હતો કે ભોગ બનેલાઓના મૃતદેહ અમદાવાદ લાવવા જોઈએ. મેં સૂચના આપી હતી કે મૃતદેહ અમદાવાદની હદ પાસે આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાખવા જોઈએ જેથી તનાવ વધે નહીં. આ નિર્ણય એ બાબતને ધ્યાનમાં લઈને લેવાયો હતો કે મૃતકો પૈકી મોટાભાગના અમદાવાદના અને અન્ય ગામના હતા અને તેમ કરવાથી તેમના સંબંધિતોને મૃતદેહની ઓળખ માટે ગોધરા આવવાની જરૂર ન પડે કારણ કે ગોધરામાં કરફ્યૂ લાગુ કરી દેવાયો હતો.

પ્રશ્ન :તે સમયે ગોધરાના કલેક્ટર શ્રીમતી જયંતી રવિએ મૃતદેહો અમદાવાદ ખસેડવા સામે વાંધો લીધો હતો?
મોદી : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહોને લાવવા અંગેનો નિર્ણય તે બેઠકમાં સર્વસંમતિથી લેવાયો હતો કારણ કે મોટાભાગના લોકો અમદાવાદ અને આસપાસના હતા. વધુમાં, શ્રીમતી જયંતી રવિનું એવું મંતવ્ય હતું કે મૃતદેહો તાત્કાલિક ગોધરા ખાતેથી ખસેડી લેવા જોઈએ કારણ કે તેમ નહીં થાય તો ગોધરા શહેરમાં તનાવ ઊભો થશે.

પ્રશ્ન :વિહિપના મહામંત્રી જયદીપ પટેલને તમે ઓળખો છો? તે સમયે તમને ગોધરા ખાતે મળ્યા હતા? મૃતદેહો અમદાવાદ ખસેડતી વખતે તેમણે સાથે રહેવાની પરવાનગી તમારી પાસેથી માગી હતી?
મોદી : હું જયદીપ પટેલને ઓળખું છું. તે ગોધરામાં મને મળ્યા હોય તેવું મને યાદ નથી. મૃતદેહોને અમદાવાદ ખસેડવાનો નિર્ણય લેવાયા પછી તે કઈ રીતે લાવવા તે નક્કી કરવાની ફરજ જિલ્લા વહીવટી તંત્રની છે. મૃતદેહો ક્યારે અને કેવી રીતે અમદાવાદ ખસેડવામાં આવ્યા તેની વિગત મને ખબર નથી. હા, મૃતદેહોનો કબજો જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને હોસ્પિટલના અધિકારીઓ પાસે હતો.

પ્રશ્ન :૨૭-૦૨-૨૦૦૨ના રોજ ગોધરાથી પરત ફરતી વખતે તમે ગોધરામાં ટ્રેન સળગાવી દેવાની ઘટનાના પ્રત્યાઘાત સહિતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પુન:સમીક્ષાની વાત કરી હતી?
મોદી : ઘરે પરત ફરતી વખતે મેં કાયદો અને વ્યવસ્થા અંગેની બેઠક બોલાવવાનું કહ્યું હતું, જેમાં વહીવટીતંત્ર, ગૃહ મંત્રાલય અને પોલીસ વિભાગના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પ્રશ્ન : ૨૭-૦૨-૨૦૦૨ના રોજ આ બેઠક ક્યારે અને ક્યા સ્થળે મળી હતી? તે બેઠકમાં કોણ-કોણ હાજર રહ્યું હતું? બેઠકમાં ક્યા મંત્રીઓ-ધારાસભ્યોએ હાજરી આપી હતી?
મોદી : મારા નિવાસસ્થાને આ બેઠક અડધો કલાક માટે મળી હતી. બેઠકમાં તત્કાલીન કાર્યકારી મુખ્ય સચિવ શ્રીમતી સ્વર્ણકાંતા વર્મા, તત્કાલીન એસીએસ(ગૃહ) અશોક નારાયણ, તત્કાલીન ડીજીપી કે. ચક્રવર્તી, તત્કાલીન અમદાવાદ શહેર પોલીસ કમિશનર પી. સી. પાંડે, તત્કાલીન ગૃહ સચિવ કે. નિત્યાનંદમ, ડૉ. પી. કે. શર્મા અને મારા અન્ય પ્રિન્સપલ સેક્રેટરી અનિલ મુકીમ હાજર રહ્યા હતા. મને યાદ છે ત્યાં સુધી, તત્કાલીન એડીજી(ઈન્ટ.) જી. સી. રાયગર હાજર ન હતા. તત્કાલીન ડીસી(ઈન્ટ.) સંજીવ ભટ્ટ પણ હાજર ન હતા, કારણ કે આ ઉચ્ચસ્તરીય બેઠક હતી. આ બેઠકમાં મારી કેબિનેટના કોઈ જ સાથીએ હાજરી આપી ન હતી.

પ્રશ્ન : ૨૭-૦૨-૨૦૦૨ના રોજ રાત્રે યોજાયેલી એ બેઠકમાં શું ચર્ચા થઈ હતી? બેઠકમાં ભાગ લેનારા દરેક વ્યક્તિનાં ચોક્કસ મંતવ્યો અને સૂચનો વિશે વિગત આપો.

મોદી : બેઠકમાં મેં મારી ગોધરા ખાતેની મુલાકાતની વિગત આપી હતી. હાજર રહેલા અધિકારીઓએ તેમના દ્વારા લેવાયેલાં સાવચેતીનાં પગલાં અંગે મને વાકેફ કર્યો હતો. મેં તેમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તથા શાંતિ જાળવી રાખવા માટે જરૂરી તમામ શક્ય પગલાં લેવાની સૂચના આપી હતી. મેં એસીએસ(ગૃહ)ને લશ્કરના જવાનો ઉપલબ્ધ છે કે કેમ તેની સ્થાનિક આર્મી હેડક્વાર્ટર ખાતે તપાસ કરવા કહ્યું હતું. મેં પાડોશી રાજ્યોમાંથી વધારાનાં દળોની મદદ મળી શકે તેની તપાસ કરી લેવા તેમને કહ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મેં ગૃહ વિભાગના અધિકારીઓ અને પોલીસને સૂચના આપી હતી. અહીં એ ઉમેરી શકાય કે ત્યાં સુધીમાં મને વિહપિ દ્વારા ૨૮-૦૨-૨૦૦૨ના રોજ ગુજરાત બંધનું એલાન અપાયું છે તે અંગે માહિતી અપાઈ હતી.

પ્રશ્ન : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ તમે ક્યાં-ક્યાં હતા?

મોદી : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ની બપોરે હું શાહીબાગના સર્કિટ હાઉસ એનેકસી ખાતે પત્રકારોને મળ્યો હતો. મેં સરકાર દ્વારા તપાસ પંચ નીમવાની જાહેરાત અંગે મીડિયાને વાકેફ કર્યું હતું અને મીડિયા મારફતે જાહેર જનતાને શાંતિ અને કોમી એખલાસ જાળવી રાખવાની અપીલ કરી હતી. અહીં એ વાત ઉમેરી શકાય કે તે જ દિવસે મેં લોકોને શાંતિ અને કોમી એખલાસ જાળવવાની અપીલ કરતો સંદેશો રેકોર્ડ કરાવ્યો હતો અને ત્યારપછી તે દૂરદર્શન પર સતત પ્રસારિત કરાતો રહ્યો હતો.

પ્રશ્ન : તમે પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓને કહ્યું હતું કે ‘કોમી હિંસામાં પોલીસ હિન્દુઓ અને મુસ્લિમો સામે સમાન ધોરણે પગલાં લે છે. પણ હવે એવું નથી કરવાનું, હિન્દુઓને તેમનો ગુસ્સો ઠાલવવાનો માર્ગ આપી દો.’? જો તેમ હોય તો બેઠકમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની શું પ્રતિક્રિયા હતી?
મોદી : આ પાયા વગરના આક્ષેપો છે. તેનાથી વિપરીત, મેં કોઈપણ ભોગે શાંતિ અને કોમી એખલાસ જાળવવાની ભારપૂર્વક અને સ્પષ્ટપણે સૂચના આપી હતી. અગાઉ આ જ પ્રકારની અપીલ ગોધરામાં પણ લોકોને મીડિયા મારફતે કરવામાં આવી હતી.

પ્રશ્ન : ૨૮-૦૨-૨૦૦૨ના રોજ ગુજરાત બંધનું અને ૧-૦૩-૨૦૦૨ના રોજ ભારત બંધનું એલાન કોણે આપ્યું હતું? શાસક પક્ષે આ બન્ને બંધને ટેકો આપ્યો હતો?
મોદી : ૨૭-૦૨-૨૦૦૨ના રોજ હું દિવસભર વ્યસ્ત હતો અને ગોધરાની મુલાકાત પણ લીધી હતી. મને છેક રાત્રે ખબર પડી કે વિહિપ દ્વારા બંધનું એલાન અપાયું છે. જોકે ૨૮-૦૨-૨૦૦૨ના રોજ મને અખબારોના અહેવાલો દ્વારા જાણવા મળ્યું કે બંધને ભાજપે ટેકો આપ્યો છે.

પ્રશ્ન : તત્કાલીન આરોગ્યમંત્રી અશોક ભટ્ટ અને તત્કાલીન શહેરી વિકાસમંત્રી આઈ. કે. જાડેજાએ બેઠકમાં હાજરી આપી હતી ?
મોદી : એ બંન્નેએ કેબિનેટની બેઠકમાં હાજરી આપી હશે, પરંતુ કાયદો અને વ્યવસ્થા અંગેની બેઠકમાં હાજરી આપી ન હતી કારણ કે તે તેમનો વિષય ન હતો.

પ્રશ્ન : તમે અશોક ભટ્ટ અને આઈ. કે. જાડેજાને સ્ટેટ કંટ્રોલ રૂમમાં અને અમદાવાદ સિટી કંટ્રોલ રૂમમાં બેસી રહેવાની મંજુરી આપવાનો નિર્ણય લીધો હતો ? જેને કારણે અમદાવાદ શહેરના ડીજીપી અને પોલીસ કમિશનરને હિંસાની સ્થિતિનું સુપરવિઝન કરવામાં વિપરીત અસર પડી ?
મોદી : આવા કોઈ નિર્ણય લેવાયા ન હતા અને બેઠકમાં આવી કોઈ ચર્ચા પણ થઈ ન હતી. ત્યારપછી મને મીડિયા મારફતે આવા આક્ષેપોની જાણ થઈ હતી. તેમ છતાં આ બન્ને મંત્રીઓની કંટ્રોલ રૂમમાં હાજરી અંગે મને વ્યક્તિગત રીતે કોઈ જાણકારી નથી.

No comments:

Post a Comment