Thursday, January 20, 2011

અમીનાના નહીં ડોક્ટરના મોતથી તંત્ર વાઈરસ સામે ઊમટ્યું!

ક્રિમીયન કોંગો હેમોરેજિક વાઇરસના ઉદ્દભવસ્થાન ગણાતા સાણંદ પાસેના કોલટ ગામથી ગ્રાઉન્ડ રિપોર્ટ
દર દસ ચેપગ્રસ્ત વ્યક્તિઓમાંથી નવનો ભોગ લેતા ક્રિમીયન કોંગો હેમોરેજિક ફિવરનું હાલનું ઉત્પત્તિસ્થાન સાણંદ પાસેનું કોલટ છે. આ ગામને તાજેતરમાં જ ખબર પડી છે કે અહીં આટલા ઘાતક વાઇરસે માથું ઊંચક્યું છે. વાઇરસ આક્રમણના ‘ગ્રાઉન્ડ ઝીરો’ એવા કોલટની જાત મુલાકાતે ગયેલા રિપોર્ટર મનીષસિંહ રાઠોડનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે.

અમીનાનાં મોતના ૧૩ દિવસ બાદ ગામલોકોને ભેદી વાઇરસની જાણ થઇ

અમીનાના નહીં ડોક્ટરના મોતથી તંત્ર કોલટ ગામે ઊમટી પડ્યું!

હજુ પણ પૂરતી તકેદારી વગર ગંદકી વચ્ચે જ પૂર્વવત્ જીવન જીવે છે
‘અમીના તો ૩જી જાન્યુઆરીના રોજ ખુદાને પ્યારી થઇ હતી. તેના લગભગ બે અઠવાડિયા બાદ તંત્ર એકાએક કોલટ જેવા અંતરિયાળ ગામમાં ઊમટી પડ્યું છે, તે સમજાતું નથી. હા, હોસ્પિટલના ડોક્ટર અને નર્સનાં મોતે તંત્રને હચમચાવી મૂક્યું હોય અને તેથી જ તંત્ર દોડતું થઇ આવા છેવાડાના ગામમાં ઊમટી પડ્યું હોય તેવું જણાય છે. અમીનાનું મોત તો આ સમગ્ર ઘટનામાં એક માધ્યમ બની ગયું છે.’ આ શબ્દો છે ક્રિમીયન કોંગો હેમોરેજિક ફિવર નામના શંકાસ્પદ વાઇરસથી મૃત્યુ પામનારા ૩૨ વર્ષીય અમીનાબહેન મોમીનના ગામની મસ્જિદના ઇમામ અબ્દુલભાઇ મોમીનના.

સરખેજથી સાણંદ જતાં વચ્ચે પડતાં તેલાવ ગામથી ત્રણ કિમી અંદર આવેલા ક્રિમીયન કોંગો હેમોરેજિક ફિવરના ઉદ્દભવસ્થાન ગણાતા કોલટ ગામમાં હજુ પણ ગ્રામજનોને આ વાઇરસ વિશે કોઇ જાણ નથી. ક્યાંય કોઇ વ્યક્તિના મોં પર માસ્ક નથી! વાઇરલ જેનાથી ફેલાય તેવા પશુઓ પણ ઘરના વાડામાં જ હાજર છે! અને બાળકો ગંદકીથી ખદબદતી ગામડાની સાંકડી ગલીઓમાં રમી રહ્યાં છે! 

હા, ગામની પંચાયત ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પશુપાલન ખાતું હાજર થઇ ગયું છે. આરોગ્યખાતાના અધિકારીઓ હોમ ટુ હોમ સર્વેમાં લાગી ગયા છે તો પશુપાલનખાતાના કર્મચારીઓ દ્વારા પશુઓ પર દવાના છંટકાવ થઇ રહ્યાં છે. 

કોલટ ગામના મૃતક અમીનાબહેનનાં સાસુ રહીનબહેને જણાવ્યું હતું કે,‘અમીનાને માત્ર બે દિવસ તાવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને તેનું મૃત્યુ થયું હતું.’ એસ.ટી.માં ડ્રાઇવરની ફરજ બજાવતાં તેના સસરા પીરભાઇ મોમીને કહ્યું હતું કે,‘અમે હજથી આવ્યાં ત્યાર પછી કોઇ પણ બીમારી અમને થઇ નહોતી. અમને કોઇ ચેપ પણ નહોતો. અમીનાને કયો વાઇરસ હતો તેની અમને હજુ ખબર જ નથી.’ગામમાં આરોગ્ય તંત્રના ધામા હોવા છતાં આશ્ચર્યજનક વાત એ જોવા મળી કે અમીના વાઇરસની શંકાસ્પદ દર્દી હતી, તો પછી તેના ઘર કે તેની નજીક કોઇ જવું જોઇએ નહીં તેવું માર્ગદર્શન મળવું જોઇએ, પરંતુ અહીં બેરોકટોક બધા આવી શકે છે! તંત્ર પંચાયત કાર્યાલયથી જ પોતાનું ઓપરેશન ચલાવી રહ્યું છે પણ ગામ પોતાની રીતે જ ચાલી રહ્યું છે!

ડોક્ટરની સલાહ વગર ‘સીસીએચએફ’ વાયરસની દવાથી બોર્નમેરો સપ્રેશન થઇ શકે

દર્દી સાથે ડોક્ટર અને નર્સનો ભોગ લેનાર ‘ક્રિમિયન કોન્ગો હેમોરેજિક ફીવર’(સીસીએચએફ)નામનો વાયરસને વધતો અટકાવવા માટે ‘રિબાવિરીન’ નામની એન્ટી વાયરલ દવા આપવામાં આવે છે, પરંતુ શહેરના કેટલાક મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને ડોક્ટરની સલાહ વગર આ દવાનો વધુ પડતો ડોઝ લેવાથી બોર્નમેરો (હાડકાંના માવા)ને ગંભીર અસર થતી હોવાથી ‘બોર્નમેરો સપ્રેશન’ થવાની સંભાવના નકારી શકાય નહિ. 

પરંતુ આ રોગનો ચેપ ન લાગે તે માટે ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદેલી દવાનો વધુ પડતા ડોઝથી ગંભીર આડઅસરની સંભાવના નકારી શકાય નહિ. એક હોસ્પિટલના અધિકારીએ નામ નહિ લખવાની શરતે જણાવ્યું હતું કે આ દવા હાલમાં શહેરના ગણતરીના મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે, જે અમને શોધતાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. 

હાલમાં હોસ્પિટલમાં ત્રણ દર્દીને આપી શકાય તેટલી ગોળીઓનો જથ્થો મગાવાયો છે. આ દવાની ચાર ગોળી R૨૮૦માં વેચાય છે, એટલે કે એક ગોળીની કિંમત R ૭૦ જેટલી થાય છે, પરંતુ આ રોગનો ચેપ ન લાગે તે માટે ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદેલી દવાનો વધુ પડતા ડોઝથી ગંભીર આડઅસરની સંભાવના નકારી શકાય નહિ.

સામાન્ય રીતે આ દવા ડોક્ટરના પ્રિસ્કિપ્શન વગર મળતી નથી. વળી, ડોક્ટરની સલાહ વગર આ દવા લેવાથી વ્યક્તિના બોર્નમેરો (હાડકાંના માવા)ને આડઅસર પેદા કરે છે, જેથી હાડકાંના માવામાંથી લોહી બનતું બંધ થાય છે. જોકે ગોળી બંધ કરવાથી ફરી લોહી બનવાની પ્રક્રિયા ફરી શરૂ થઇ જાય છે.

અમને વાઇરસની ખબર જ નથી

નાના મોમીનવાસમાં રહેતાં વડીલ જમાલભાઇએ જણાવ્યું હતું કે,‘ગામમાં અમીનાબહેનનું મોત ખતરનાક વાઇરસના લીધે થયું છે, તેની જાણ તો અમને પેપર વાંચીને થઇ. અમે તો હજુ પણ પહેલાંની જેમ જ જીવીએ છીએ, વાઇરસની ખબર અમને કોઇને જ નથી!’’ 

જમાલભાઈ, ગામવાસી

અમીનાબહેનના ઘેર પશુ છે જ નહીં!

આ ભેદી વાઇરસ પશુઓમાં રહેતી જીવાતોના લીધે ફેલાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આશ્ચર્યજનક રીતે મૃતક અમીનાબહેનના ઘેર એક પણ પશુ નથી! તેમ છતાંય તેઓ વાઇરસના શંકાસ્પદ ગણાય છે. એટલું જ નહીં તેમના પતિ રહેમાનભાઇ અને ભાઇ હુસૈનભાઇ પણ હાલ ભેદી સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળી રહ્યું છે. અમીનાબહેનને આ વાઇરસ કઈ રીતે લાગ્યો તે તેની તપાસ ચાલી રહી છે.

No comments:

Post a Comment