Thursday, December 8, 2011

શિક્ષણ વિભાગમાં સંખ્યાબંધ નિર્ણયો એક વર્ષથી પડતર છે

શિક્ષણ એટલે સંસ્કાર, સદાચાર અને સમર્પણની ત્રિમૂર્તિ.





કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગના પ્રધાન કપિલ સિબ્બલ પાસે સંદેશવ્યવહારનો પણ અખત્યાર છે. આ બન્ને વિભાગ પ્રશ્નો અને સમસ્યાથી ભરપૂર છે. કોઇ પણ મંત્રી ગમે તેટલો કાર્યક્ષમ હોય પરંતુ આ બે ‘હેવી વેઇટ’ ગણાતા વિભાગને કોઇ પણ વ્યક્તિ સંભાળી શકે તેવું નથી.શિક્ષણ વિભાગને લગતા ૧૧ ખરડા હાલમાં પડતર છે, એક વર્ષથી તેના પર કોઇ જ કાર્યવાહી થઇ નથી. કારણ કે શિક્ષણ વિભાગ સંભાળનારા કપિલ સિબ્બલ રાજકારણ ખેલવામાં વ્યસ્ત છે. બાકી હતું તો તેઓ ટેલિકોમ્યુનિકેશન વિભાગના કૌભાંડ, તેની અદાલતી કામગીરી અને સુપ્રીમ કોર્ટ વચ્ચે આંટાફેરા કરવામાં જ તેમનો સમય અને શક્તિ વ્યય કરી રહ્યા છે.યુનિવર્સિટીની સંખ્યા વધારવી, ટેક્નિકલ યુનિવર્સિટી અને વિદેશી યુનિવર્સિટીને પરવાનગી વગેરે જેવી ડઝનબંધ બાબતો કોઇ જ નિર્ણય વગર બાકી છે તેવે વખતે શિક્ષણમંત્રી પક્ષીય રાજકારણ ખેલવામાં વ્યસ્ત છે. તેઓ વડા પ્રધાન અને પક્ષના અધ્યક્ષા સામે વેબસાઈટ પર ટીકાત્મક લખાણોને હવે કાયદેસર પગલાંનો ધંધો બનાવી દીધો છે.

લોકશાહીમાં દરેકને વ્યંગ અને ટીકા કરવાનો અધિકાર છે, પરંતુ કપિલ સિબ્બલ કે જેઓ સુપ્રીમ કોર્ટના પ્રેક્ટિસિંગ અૅડવોકેટ છે, તેઓ જાતજાતના વાંધાવચકા કાઢે છે. સંખ્યાબંધ શિક્ષણને લગતા સુધારા જેનાથી શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન અને ગુણવત્તામાં સુધારો થઇ શકે તેવું છે તે હાલમાં તો તદ્દન અનિર્ણાયક હાલતમાં છે.

અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન બાદ સૌથી વધુ ગભરાટ કપિલ સિબ્બલ જેવા ધારાશાસ્ત્રીઓને થાય તેવું છે, કારણ કે ખોટું ચલાવીને જ તેઓએ શાસન કર્યું છે. આથી તેઓ પારદર્શકતાની વાતનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. વેબસાઇટ પરના લખાણ સામે સેન્સરશિપની ધમકી પણ તેમણે જ ઉચ્ચારી છે. જુલાઇમાં અણ્ણા હઝારેનું આંદોલન ઉગ્ર બન્યું હતું તે વખતે ટેલિકોમ્યુનિકેશન વિભાગના મંત્રી તરીકે જથ્થામાં મોબાઇલ દ્વારા મોકલાતા એસ.એમ.એસ. પર નિયંત્રણ લાદનારા પણ કપિલ સિબ્બલ જ હતા. એક વખતે જેમને ૧૦ - જનપથની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા તેવા કપિલ સિબ્બલ આજે ‘વફાદારીપૂર્વક’ તેમની ‘ફરજ’ બજાવી રહ્યા છે!!

કેન્દ્ર સરકારના વર્તમાન શાસક પક્ષે જ્યારે વર્ષ ૨૦૦૯માં બીજી વખત સત્તા સંભાળી તે વખતે શિક્ષણને સૌથી વધુ મહત્ત્વ આપવાની જાહેરાત કરી હતી. આજે વાસ્તવિક્તા જુદી જ છે કે શિક્ષણમંત્રી ટેલિકોમ્યુનિકેશનને લગતી બાબતોમાં એવા તો વ્યસ્ત છે કે છેલ્લા એક વર્ષમાં તેમણે કોઇ જ મહત્ત્વનો શિક્ષણક્ષેત્રે નિર્ણય લીધો નથી.કૉંગ્રેસ પક્ષના અધ્યક્ષા અને વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ સામે ટીકાત્મક લખાણો કેમ ન લખી શકાય? લોકશાહીમાં શિષ્ટ ભાષામાં ટીકા કરવાનો દરેકને અધિકાર છે. આવી બાબત દૈનિક સમાચાર પત્ર કે પછી વેબસાઇટ ગમે તે માધ્યમથી થઇ શકે છે. તેના પર પ્રતિબંધ લોકશાહીને અનુરૂપ બાબત નથી.૧૯૭૫ની કટોકટીનું પુનરાવર્તન કરવાની આ બાબત છે. હવે વગર કટોકટીએ સેન્સરશિપ લાદવાની ઘટના બની રહી છે, પછી ગમે તેટલી સ્પષ્ટતા કરવામાં આવે તેનો કોઇ અર્થ નથી. હાલમાં તો કેન્દ્ર સરકાર કોઇ દિશા વગર જ કાર્ય કરતી હોય તેવું લાગે છે. સુકાન વગરનું વહાણ જે રીતે સમુદ્રમાં જતું હોય તેવી હાલત રાષ્ટ્રની છે.છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ જેવા મહત્ત્વના વિભાગમાં કોઇ જ નોંધપાત્ર નિર્ણય લેવાયો નથી. ભવિષ્યને માટે કેવું વાતાવરણ હશે તે માત્ર કલ્પના જ કરવાની રહે છે. ૧૨૦ કરોડની જનસંખ્યા ધરાવતાં રાષ્ટ્રમાં નેતૃત્વની અછત છે કપિલ સિબ્બલ જેવી વ્યક્તિ કોમવાદી ધોરણે વાતો કરે છે, જાહેરાત કરે છે અને તેમની ટીકા ન થઇ શકે તે કેવી યંત્રણા ગણવી રહી?

કેન્દ્ર સરકાર તમામ વર્ગ અને પ્રજા માટે છે. કોઇ ચોક્કસ વર્ગ કે કોમ માટે કાર્ય કરતી નથી, છતાં જે રીતે કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તે ટીકાને પાત્ર છે. વેબસાઈટનો ઉપયોગ યુવાન વર્ગ વધુ પ્રમાણમાં કરી રહ્યો છે. તેઓ હંમેશાં સત્તાધારી પક્ષના વિરોધી હોય છે. યુવાનવર્ગ પરિવર્તનની તરફેણમાં જ બોલે છે. આવી સોશિયલ વેબસાઇટ પરથી જે માહિતીની આપ-લે થતી હોય છે તે આગની જેમ ચારે તરફ પ્રસરે છે. કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન વિશે ઘણી માહિતીનો પ્રસાર થતો હોય છે, પરંતુ જો સારા કાર્ય થતાં હોય તો પછી ડરવાનું શું કારણ છે?શિક્ષણ, વ્યાપાર, આર્થિક બાબતો જેવી અનેક બાબત સાવ ઠપ છે, જાણે કે તંત્ર જ ન હોય તેવું વાતાવરણ જણાય છે. આટલા વિશાળ રાષ્ટ્રમાં કોઇ આગેવાન બનવા તૈયાર ન થાય તે અચરજ પમાડે તેવી બાબત ગણવી જોઇએ. શાસક પક્ષે પોતાનો પ્રમાદ ખંખેરવાની જરૂર છે.

No comments:

Post a Comment