Wednesday, December 14, 2011

મંદીનો હાઉ ઊભો થયો છેઃ આંકડાની વિશ્વસનીયતા કેટલી?

બાળકને માતાના ખોળામાં અને પિતાના ખભા પર જીવનનું અમૂલ્ય સુખ પ્રાપ્ત થાય છે. - શ્રી હર્ષ

કેટલાક સરકારી વિભાગના આંકડાને આધારે સમગ્ર રાષ્ટ્રમાં મંદી હોવાના ગભરાટભર્યા અહેવાલ પ્રસ્તુત થઈ રહ્યા છે. શેરબજારનો સૂચકઆંક, ઔદ્યોગિક ઉત્પાદન આંક ઘટે એટલે એવું વાતાવરણ નિર્માણ કરી દેવામાં આવે છે કે જાણે આકાશ તૂટી પડ્યું છે!! પરંતુ સમગ્ર ચિત્ર તદ્દન અલગ છે.

સૌથી પહેલી વાત એ છે કે રાષ્ટ્રની જનસંખ્યા ૧૨૦ કરોડની છે જે યુરોપ અને અમેરિકાની કુલ જનસંખ્યા કરતાં પણ ૪૫ કરોડ વધારે છે. યુરોપ- અમેરિકા તેમના કર્યા ભોગવે તો તેની કોઈ જ અસર ભારત પર થવાની નથી. જે અર્થશાસ્ત્રીઓ આવી કાગારોળ મચાવી રહ્યા છે તે વધુ પડતી છે.

ભારતમાં બચત સર્જનદર આજે પણ ૩૦ થી ૩૫ ટકા છે. જ્યાં બચત થતી હોય ત્યાં મૂડીસર્જન આપોઆપ થતું રહે છે. આથી અર્થતંત્ર ધબકતું રહે છે. યુરોપમાં મંદી આવી છે તેનું કારણ વૈભવી જીવનશૈલી અને બેફામ ખર્ચા છે. અલબત્ત, ભારતમાં નવાંગતુક યુવાનવર્ગ બેફામ પૈસા વાપરી રહ્યા છે, પરંતુ તે સંખ્યા બહુ મર્યાદિત છે.

રાષ્ટ્રનું અર્થતંત્ર ખેતીવાડી પર નિર્ભર છે. તેમાં આજે પણ રોજગારીની તકો વધતી જ રહી છે. કોઈને બેરોજગાર થવાનું ખેતીવાડીના ક્ષેત્રમાં બનતું નથી. આવે વખતે મંદીની જે વાત થાય છે તે સ્વીકાર્ય બનતી નથી. યુરોપના ધારાધોરણ ભારતને લાગુ પડી શક્તા નથી. બન્ને ક્ષેત્રમાં પરિસ્થિતિ અલગ છે.

છેલ્લા ૧૦ વર્ષથી તો ચોમાસા સારા હોવાને કારણે અનાજ, કઠોળ વગેરેના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. કોઈ ચીજવસ્તુની તંગી નથી. માગ અને પુરવઠાની સમતુલા સારી રીતે જળવાઈ રહે છે. જે બે-ચાર નાની મોટી બાબત છે તે ચારે તરફ છે એટલે ભારત કોઈ અપવાદ નથી.

એક તરફ મંદી છે તેવી હવા ઊભી કરવામાં આવી છે તો પછી ભાવ કેમ વધે છે? પ્રજા પાસે પૂરતા પ્રમાણમાં ખરીદશક્તિ છે એટલે તો ભાવ વધે છે. આમ મંદીનો ડર ઊભો કરાયો છે તે આવી બાબતથી પુરવાર થાય છે, તેજી અને મંદી તે સતત ચાલતી પ્રક્રિયા છે. મંદી એટલે ઓછી માગની પરિસ્થિતિ જે કદાચ કામચલાઉ હોય છે.

આજે અર્થતંત્ર સમક્ષ સૌથી મોટો પડકાર એ ખર્ચાને નિયંત્રણમાં રાખવાનો છે. દરેક સ્તરે અને દરેક સ્થળે એટલા વ્યાપક ખર્ચા થઈ રહ્યા છે કે જો કેસ દીઠ વિશ્લેષણ કરવામાં આવે તો ખાનગી એકમો પણ બેફામ ખર્ચા કરી રહ્યા છે. જરૂરી નથી તેવા ખર્ચા આવક- ખર્ચની અસમતુલા ઊભી કરે છે.

જો સરકારી વિભાગ અને ખાનગી ક્ષેત્ર કેટલાક ખર્ચા ઓછા કરવા પ્રયત્ન કરે તો ઊલટું અર્થતંત્રને માટે ફાયદાની વાત બને તેવું છે. અર્થતંત્રમાં નાણાકીય સંચાલનમાં અવ્યવસ્થા ઊભી થાય છે તેવે વખતે તેજી અથવા મંદી તરફી વાતાવરણ નિર્માણ થાય છે. આ માટે નક્કર પગલાં લેવાય તે જરૂરી છે.

રાષ્ટ્રની બેન્કમાં થાપણો વિક્રમસર્જક છે. બેન્કો સમક્ષ આજે ધિરાણના પ્રશ્ન છે. સારા ખાતેદાર મળતા નથી કે જેમને નાણાં વ્યાજે પૂરા પાડી શકાય. આથી જ કહી શકાય કે હાલમાં જે સુસ્ત આર્થિક વાતાવરણ છે તે મંદી નથી, પરંતુ સરકારી કક્ષાએ અનિર્ણાયકતા પ્રવર્તી રહી છે તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે.

સૌ કોઈ જાણે છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ મહત્ત્વના નિર્ણય લેવાયા નથી. ભ્રષ્ટાચારમાં પ્રધાનોની સંડોવણીને કારણે જવાબદારીની ફેંકાફેંકી થઈ રહી છે. મહત્ત્વની કામગીરીમાં આગળ વધી શકાતું નથી. એક પછી એક બાબતમાં પીછેહઠ થઈ રહી છે.

આથી જ મંદી કે ઓછી માગની પરિસ્થિતિ માટે ઘરઆંગણાની બાબત જવાબદાર છે. વિદેશ વ્યાપાર- આયાત- નિકાસ અને એવી જ અન્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારી બાબતમાં ક્યાંય ઘટાડો જોવામાં આવતો નથી. આવા સંજોગોમાં જે વાત છે તે મંદીની છે કે પછી સ્થાપિત હિતોની છે.

પ્રજાના વિશાળ વર્ગે વ્યક્તિગત કરકસર કરીને ઈલેક્ટ્રિસિટી ટેલિફોન, મનોરંજન વગેરેના ખર્ચા પર હેતુલક્ષી નિયંત્રણ લાવવાની જરૂર છે. કેટલાક ખર્ચા એવા છે કે જે અવશ્ય ઓછા કરી શકાય છે. યુરોપમાં મંદી હોય એટલે ભારતમાં તેની અસર હોય જ તેમ સ્વીકારી લેવાની પણ જરૂર નથી.

મોટા ભાગના સરકારી આંકડા તકલાદી હોય છે. આવા આંકડા ક્યાંથી મેળવવામાં આવે છે તે માત્ર તેઓ જ જાણે છે!! છૂટક બજારમાં ભાવ વધે છે અને એક પણ ચીજ સસ્તી થઈ નથી તેવે વખતે જથ્થાબંધ ખાદ્યચીજવસ્તુના ભાવમાં ઘટાડો થયો છે તેવી બાબતને કોણ સ્વીકારશે? આવું જ મંદીનું છે. બે-ચાર આધાર આપીને મંદી છે તેમ કહેવાય છે તે ગળે ઉતરે તેવું નથી.

No comments:

Post a Comment