Saturday, October 22, 2011

માટી, તને મૃદુ ફૂલ બનીને મહેંકવાનું સૂઝયું ક્યાંથી? - ઉમાશંકર જોશી

માર્કેટમાં ક્યાંય માટીની સુગંધવાળું પરફયુમ મળતું હોય તેવું હજી ખ્યાલમાં નથી. અપરંપાર જીવનું સર્જન કરવામાં માટીનો જોટો જડવો મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ છે તેની મીઠી સુગંધની બરોબરી કરી શકે તેવા પદાર્થને શોધવો. માટી જેવું જ માણસોનું પણ ખરું. અમુક માણસોને મહેંકવાનો નૈસર્ગિક પરવાનો મળ્યો હોય છે. તેમને મહેલમાં રાખો કે ઝૂંપડામાં, ટોળામાં રાખો કે એકાંતમાં, તેમના વ્યક્તિત્વની સુગંધથી તેમની આસપાસનું વાતાવરણ મઘમઘી જ ઊઠે. આવા માણસ હોવું એ આનંદની વાત છે. ના હોઈએ તો આવા માણસ બની બતાવવું એ સાધનાની વાત છે. દરેક જણે બીજી બધી દ્વિધા સાથે એક દ્વિધાનો કાયમ વિચાર કરવો જોઈએ કે મારી હાજરીથી આસપાસના સૌ રાજી થાય છે કે નહીં. જેની પાસે આનો જવાબ માટીની મહેંક જેટલો મીઠો છે તે માણસે બીજી બધી ખામીઓની ચિંતા કરવી જ નહીં. મહેંકવાનો સદ્ગુણ મળ્યા પછી શ્રીમંતાઈ કે ગરીબી બધું ગૌણ બની જાય છે. હવા જેમ સુગંધ લઈ ફર્યા કરે છે તેમ મહેંકતા માણસની વાહ વાહ કરતા લોકો તેમનું માન વધાર્યા કરે છે. એવા બન્યા પછી જીવનમાં ક્યારેય કોહવાઈ ગયા જેવું નહીં લાગે. 

સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં હાલકડોલક વાતાવરણ છે

આવક અને ખર્ચા પર નિયંત્રણ સાથે સમતોલન હશે તે પરિસ્થિતિ આદર્શ છે.



રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વધતા જતા ભાવ અને ફુગાવા સામે ચેતવણી ઉચ્ચારી છે પરંતુ આવી બાબતોનો હવે કોઈ જ અર્થ નથી. ભાવ વધે એટલે પગાર વધારો અપાય છે. પગાર અને મોંઘવારી વધે એટલે ફરીથી ભાવમાં વધારો થાય છે!! આવો ક્રમ છેક ૧૯૫૦થી ચાલુ છે અને દરેક તેના વિશે જાણે છે.

ખાધાખોરાકીની ચીજવસ્તુમાં જે ભાવવધારો થઈ રહ્યો છે તેના કારણ જાહેર થતાં નથી. સારો વરસાદ છતાં શાકભાજીના ભાવ વધે છે તે અચરજની વાત ગણાય. જેમ જેમ કરવેરાનું પ્રમાણ વધે છે તેટલી જ અવ્યવસ્થા અને ભ્રષ્ટાચાર વધી રહ્યા છે. તમામ ગેરરીતિના મૂળ માત્ર કરવેરા વ્યવસ્થામાં પડેલા છે.સર્વિસ ટેક્સ શરૂ થયો છે. પરંતુ શા માટે? ઉદારીકરણ વખતે સ્પષ્ટ કહેવાયું હતું કે ઓછામાં ઓછા ખર્ચા અને ઓછી સરકારી દખલગીરી હશે. પરંતુ આ બાબતે ૨૦ વર્ષ પછી શું પરિસ્થિતિ છે. સૌથી વધુ સરકારી દખલગીરી આજે વ્યાપાર - વાણિજય ક્ષેત્રમાં છે.હજુ તો આરોગ્ય સેવા નિઃશુલ્ક પૂરી પાડવા નવા નવા પ્લાન બની રહ્યા છે. નોકરીમાં હોય તેમના પગારમાંથી કપાત કરીને આરોગ્યની સેવા પૂરી પાડવા તૈયારી થઈ રહી છે. અંદાજે ૩ કરોડ નોકરિયાતના પગારમાંથી ટકાવારી અનુસાર આરોગ્ય કર કપાત કરવાની દરખાસ્ત છે.

ભ્રષ્ટાચારના નવા નવા વિકલ્પ ખૂલી રહ્યા છે. તેમાં આ રીતે કરવેરા વધારા દ્વારા ભ્રષ્ટાચાર વધવાનો છે. આવકવેરા અને વેટ જેવા ટેકસથી કેવાં કેવાં કૌભાંડ થાય છે તે હવે કોઈને જાણ કરવાનો મુદ્દો રહ્યો નથી. તેવી જ રીતે એકસાઈઝ અને કસ્ટમ તો ભ્રષ્ટાચારના અડ્ડા છે. આવી રીતે કોને ટેક્સ ભરવાનું મન થાય તેવું છે?

સરકારની ખોટી નીતિને કારણે જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેની નકારાત્મક અસર અર્થતંત્ર પર થઈ રહી છે. છતાં કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. વેપાર ઉદ્યોગે એ વાત સ્વીકારી લીધી છે કે ભ્રષ્ટાચાર એ કોઈ નવી બાબત નથી તેની સામે પ્રતિકાર કે આંદોલન એ કોઈ ઉપાય નથી. ભ્રષ્ટાચારને વેપાર - ઉદ્યોગનો ભાગ ગણીને જ ચાલવાનું છે.

આવી માનસિકતા છે એટલે જ પ્રજાને લૂંટવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભાવ - વધારા સામે કોઈ પગલાં લેવાતાં નથી માત્ર આશ્વાસન આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રીએ ફરીથી વાયદો કર્યો છે કે ભાવો ટૂંક સમયમાં નિયંત્રણમાં આવી જશે!! પરંતુ આવી ખાતરી અનેકવાર આપવા છતાં કંઈ જ પરિણામ મળ્યા નથી.

હજુ વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં હાલકડોલક થઈ રહી છે. મંદીનો દોર આગળ વધે તેવું છે. જર્મનીમાં મુશ્કેલી શરૂ થઈ છે. ગ્રીસને આપવાના થતાં ભંડોળમાં જર્મનીનો નોંધપાત્ર હિસ્સો હતો. આવો ફાળો અપાશે કે કેમ તે અંગે અનિશ્ચીત વાતાવરણ ઊભું થયું છે.

વિશ્વમાં જો આમ જ ચાલ્યું તો લોકશાહી વ્યવસ્થા સામે જબરો પડકાર ઊભો થશે. તેને પહોંચી વળવું મુશ્કેલ બની રહે તેમ છે. પ્રજાને સ્થાપિત યંત્રણામાંથી વિશ્વાસ ઊઠી જાય તેવું છે. કારણ કે તમામ બાબતોમાં અનિશ્ચીત વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. કોઈ પણ ક્ષેત્રે સાતત્યતા અને એકસૂત્રતા દેખાતી નથી.

ભાવ સપાટી જાળવવા જેવું એક સર્વમાન્ય કાર્ય જો સરકારી વિભાગ ન કરી શકે તો તેમની પાસેથી બીજી કઈ અપેક્ષા રાખી શકાય? કેટલાક લોકોને મન માત્ર શેરબજાર અને તેનો સૂચક આંક એ જ વિકાસની પારાશીશી છે. આવું યોગ્ય નથી. આનો અર્થ મતલબ પરસ્તી જ કહી શકાય.

છેલ્લાં ૧૦૦ વર્ષમાં વિશ્વમાં તમામ ક્ષેત્રે પરિવર્તન જોવામાં આવ્યું, પરંતુ હવે તેના માત્ર નકારાત્મક પાસાં જોવા મળી રહ્યાં છે. આવી બાબતોના બન્ને પ્રકારના પ્રત્યાઘાત પ્રજા આપી રહી છે. તેમ છતાં એટલું કહી શકાય કે ગરીબીનું પ્રમાણ વધ્યું છે પછી ભલે ગમે તેટલી ઊંચા પ્રકારની આર્થિક નીતિ પ્રવર્તમાન હોય.

હાલમાં જે આર્થિક બખડજંતર ચાલી રહ્યું છે તે માત્ર આર્થિક રીતે નબળા રાષ્ટ્રમાં જ છે તેવું નથી. સમૃદ્ધ અને આર્થિક મજબૂતાઇ ધરાવતાં રાષ્ટ્રમાં તે વધુ છે. આર્થિક ગુનાખોરીને વ્યાપ પણ વધી રહ્યો છે. જેમાં ભાવ - વધારો નિયંત્રણમાં લેવા નિષ્ફળતાનો પણ સમાવેશ થાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજ દર વધારશે એટલે બેન્કમાંથી ધિરાણ લેનારાને વધુ વ્યાજ ચૂકવવું પડશે તેનાથી કિંમત અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે. આવો ક્રમ સતત ચાલ્યા કરે છે. તેનો અંત કોઈપણ નાણાં મંત્રી લાવી શકે તેવું હાલમાં તો દેખાતું નથી. 

Thursday, October 20, 2011

અમે અજાણ્યા ક્યાં લગ રહીશું કહો તમારા ઘરમાં


સામી દિવાળીએ સારા સમાચાર કયા હોઇ શકે તે આમ તો વ્યકિતગત સંદર્ભે જ પામી શકાય. અત્યારે રાજકીય પક્ષોની વાત કરી દિવાળી બગાડવી નથી. વળી પ્રજાના ઉત્સવો નહીં, રાજકીય હાર-જીતમાં તેમના ઉત્સવો હોય છે. પણદેસનાં હિન્દુ સમાજને ગમે તેવા એક સમાચાર એવા છે કે યુનાઇટેડ આરબ અમિરાતમાં બહુધાર્મિક અંતિમવિધિ સ્થાન શરૂ થયું છે. આ સમાચાર ખરેખરા અર્થમાં તો માત્ર હિન્દુ સમાજ અંગેના જ નથી બલ્કે હે વિશ્વભરના સમાજો માત્ર પોતાના દેશમાં જ રહીને જીવનયાપન કરી શકે તેમ નથી. લોકો વિશ્વનાગરિક બન્યા કે નહીં તે જરા જુદો પ્રશ્ન છે, પણ કામધંધા માટે હવે તે વિશ્વના અનેક દેશોના ફરતો, રઝળતો સ્થાયી થયો છે. વૈશ્વિકીકરણના આરંભ પહેલાંથી આ પ્રક્રિયા ચાલુ હતી અને વિત્યા વીસ વર્ષમાં તેનું પ્રમાણ વધ્યું છે. ખાડીના દેશોમા તો ૧૯૭૫-૮૦થી ભારત, પાકિસ્તાન, બાંગલાદેશના લોકોએ નોકરી ધંધાર્થે જવું શરૂ કરેલું અને વીત્યા ચાર-પાંચ દાયકામાં એ દેશોની શિકલ -સૂરત બદલવામાં બિનમુસ્લિમ લોકોનો મોટો ફાળો છે. ત્યાં બહાઇ મંદિર છે તે પણ આ કારણે. દેશનાં જુદાં જુદાં ક્ષેત્રના કલાકારો ત્યાં નિયમિત કાર્યક્રમો કરતા થયા તેમાં પણ બહુસંસ્કૃતિવાદનો સ્વીકાર થતો જોઇ શકાય. વળી જે દેશ અન્ય દેશોના લોકોનાં કૌશલ્ય, કાર્યક્ષમતાના, આધારે જ પોતાના આર્થિક માળખાના વિકાસને સાધી શકતો હોય તેણે ધીમે ધીમે જે તે દેશથી આવી વસેલા લોકોના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો પડે છે. બ્રિટન અને અમેરિકામાં એવું ઘણું વહેલું થયું અને તે તેમની સતત બદલાતી વિઝા-નીતિ અને નિયમોમાં પણ પ્રમાણી શકો. બ્રિટનમાં વસતા હિન્દુઓ માટે અગ્નિસંસ્કાર એક મોટી સમસ્યા હતી, પરંતુ તે દેશે પોતાના નિયમોમાં રહી તે વ્યવસ્થા ઊભી કરી. હિન્દુઓ માટે પોતાના વિદાય પામેલા સ્વજનના અસ્થિફૂલ નદીમાં વહાવવા એ એક મહત્ત્વનું ક્રિયા-કર્મ છે. બ્રિટનની નદીમાં અસ્થિ વિસર્જન કરી શકાતા નહોતા, પરંતુ હવે તે પણ લાંબા સમયની લડતે થઇ શકે છે. થેમ્સ નદીમાં ગંગાની ધારા તો વહાવી ન શકાય તો ય હિન્દુઓ માટે આ પૂરતું છે.

પરંતુ મુસ્લિમ દેશોમાં હિન્દુઓ પોતાની ધાર્મિક પ્રણાલીઓ, સામાજિક પ્રણાલીઓ જાળવી શકે તે ઘણું મુશ્કેલ રહ્યું છે. ઇસ્લામ ધર્મમાં અન્ય ધર્મીઓ માટે અમુક સ્તરનો જ સ્વીકાર છે. અન્ય ધર્મનાં લોકો ઇસ્લામધર્મી દેશોમાં વસવા, વ્યવસાય -નોકરી કરવા સહજ ઉત્સુક નથી હોતા. વળી એ દેશોની ઇકોનોમી પણ ભારત યા અન્ય દેશોના વ્યવસાય, નોકરી ઉત્સુકો માટે લલચાવે એવી નથી હોતી. એવું બન્યું ખાડીના દેશોમાં અને તેથી મુખ્યત્વે તેની આસપાસનાં દેશોના નાગરિકો ત્યાં જતા થયા એ બધા માટે હજુ આજ સુધી પણ એવું માળખું તો અલબત્ત નથી જ રચાયું કે સામાજિક, સાંસ્કૃતિક મોકળાશ અનુભવે. જેણે પોતાનો ધર્મ પાળવો હોય તે તેમના ઘરના ખૂણે ચૂપચાપ પાળે. જાહેર ભૂમિકાએ ત્યાંના મુખ્ય ધર્મનાં સામાજિકોને ડિસ્ટર્બ થાય તેવું ન કરવું. એક અર્થમાં આ વિશે કોઇ દબાણ પણ ન કરી શકાય. કારણ કે જે તે દેસ પોતાના નિયમોનો આગ્રહ ન રાખે તો તેમની ઓળખ પણ ભૂંસાતી જાય, પરંતુ જો મોટા પ્રમાણમાં તેઓ વિદેશીઓને વસાવવા મજબૂર હોય તો કેટલીક બાબતે તેમણે ખુલ્લા થવું પડે. યુએઇમાં બિનમુસ્લિમ રહીશો માટે અંતિમવિધિ સ્થાન શરૂ થવું એ અર્થમાં મોટી ઘટના છે. આમ તો વિત્યા પાંચ વર્ષથી એ સ્થાન બનીને તૈયાર હતું પણ તેના માટે સંચાલક નહોતા મળતા. હવે અબુધાબીના એ શબઘરનું સંચાલન એક બ્રિટિશ નાગરિક કરવાના છે. ૪૦,૦૦૦ ચોરસ મીટરમાં પથરાયેલા આ સ્થાનમાં કબ્રસ્તાન અને અગ્નિસંસ્કાર કેન્દ્ર છે. ચર્ચ, પ્રતીક્ષાખંડ પણ છે. આજ સુધી અબુધાબીમાં અગ્નિસંસ્કારને સત્તાવાર પરવાનગી ન હતી. તેથી કચરાના ઢગ પાસે પરવાનગી લીધા પછી મૃત સ્વજનનાં શરીરને નષ્ટ કરવું પડતું હતું. પોતાના મૃત સ્વજનને આ રીતે અંતિમ વિદાય આપવી ખાસ્સું અપમાનજનક કહેવાય અને માનવસંસ્કારની ય વિરુદ્ધ ગણાય. જો કોઇ પણ દેશમાં એવું થતું હોય તો તે અયોગ્ય જ ગણાય. વિત્યા પાંચ વર્ષથી દુબઇમાં હિન્દુ મંદિરમાં અગ્નિસંસ્કારની વ્યવસ્થા હતી હવે અબુધાબીમાં અધિકૃત વ્યવસ્થા થઇ અને સ્વયં તેની સરકારે એ માટે તત્પરતા દાખવી તે સૂચવે છે કે ત્યાંના સમાજમાં સાંસ્કૃતિક, ધાર્મિક ઉદારતા આવી રહી છે. શતાબ્દિઓથી જોવાયું છે કે ધંધા, વ્યાપાર કરનારા સમૂહો જ મોટા પરિવર્તક બન્યાં છે. અહીં પણ કદાચ એવું જોઇ શકાય. ઇસ્લામી દેશમાં અનુભવાતી આ હકારાત્મક વર્તણૂકનો વિશ્વનો કોઇ પણ ઉદાર સમાજ આદરથી સ્વીકાર કરશે.

માણસનો ભાવ તો એના પોતાના ‘ભાવ’ મુજબ જ નક્કી થાય.

માણસનો ભાવ કેટલો? અહીં કિંમતને બદલે ભાવ શબ્દ સારા અર્થમાં જ લખ્યો છે. શું છે કે કિંમત તો એક જ અર્થમાં વિચારાય, ભાવ તો સારા અને ખરાબ અર્થમાં બેઉમાં બોલાય. સાત્વિક અને ધાર્મિક અર્થમાં પણ માણસનો ભાવ ઠરાવાય, કહેવાય કે આના ભાવ કેવા છે. અને કાળ ચડે તો એવું પણ કહેવાય કે આનો કોઇ ભાવ પૂછતું જ નથી. જો કે માણસનો ભાવ તો એના પોતાના ‘ભાવ’ મુજબ જ નક્કી થાય. જેનો ભાવ જેવો હોય, એવું એનું જીવન બને. બીજા કોઇને આપણે આપણા જીવનની દશા કે અવદશા માટે દોષિત ઠરાવીએ તો એ સદંતર ખોટું ગણાય. દિવસભરની પ્રવૃત્તિઓનો વિચાર કરજો ક્યારેક તો સમજાશે, સાચું તરત સમજાશે. આપણાથી જેવા વિચાર કરાય છે તેવા જ દિવસો તેના ફાળે આવે છે. જાતે સારા હશું તો આપોઆપ ખરાબ સ્થિતિમાં પણ ગમે ત્યાંથી સારું જીવન સામે આવીને આલિંગન આપે છે. ભાવ ખરાબ હશે તો આનાથી સાવ ઊંધું થશે જ થશે. તહેવારોના દિવસોમાં ચાલો એકવાર ફરી આત્માનો ભાવ ઉજવીએ. ઠરાવીએ કે આપણે કેવા છીએ, કેવા ભાવથી છીએ અને કેવા થવાની જરૂર છે. 

સિદ્ધાંત અને સદાચાર સાથેના નેતૃત્વની અછત જણાય છે

ઘરને શાંતિમય બનાવવું છે? તેનો એક જ મંત્ર છેઃ સ્વીકારભાવ.


જો ભારતવર્ષનો ઇતિહાસ તપાસવામાં આવે તો એમ લાગે છે કે આંતરિક ફાટફૂટ- થોડા લોભ કે લાલચ માટે સિદ્ધાંતોને દગો દેવો- પાટલી બદલવી- વિચારોમાં સ્વાર્થ સાથે પરિવર્તન લાવવું, આવું જ જોવા મળે છે. આથી તો દેશમાં ધર્માંતર થયું અને પછી રાષ્ટ્રાંતર થયું હતું.

આજે પણ તે જ સીલસીલો ચાલુ છે. ઇતિહાસના એવા જ પાત્રો જોવા મળે છે. ઇતિહાસનું તત્ત્વ એ જ રહ્યું છે, પરંતુ પાત્રો બદલાયાં છે. અણ્ણા હઝારે દ્વારા સારું કાર્ય કરવામાં આવ્યું હતું. પ્રચાર માધ્યમોએ પણ તેની સુખદ નોંધ લીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં પણ હવે ડખા જોવા મળી રહ્યા છે.

વિદેશી આક્રમણખોરો સફળ કેમ થયા? તુર્ક, મોંગોલ, અફઘાન, આરબ, ઇરાની આક્રમકો સફળ થયા તેની પાછળ રાષ્ટ્રમાં આંતરિક ખટપટ હતી. એકબીજાને પછાડવાના ખેલ થતા હતા તેનો લાભ વિદેશી આક્રમકોએ લીધો હતો. આજે પણ તેવો જ લાભ લેવાય છે તે જુદી રીતે છે જે સામાન્ય વ્યક્તિને સમજાય તેવું નથી.

રાષ્ટ્ર સમક્ષ સૌથી મોટો પડકાર નેતૃત્વના અભાવનો છે. સિદ્ધાંત અને સદાચાર સાથે નેતૃત્વ આપી શકે તેવા નેતાઓ જ દેખાતા નથી. જો કોઈ આગળ આવીને કોઈક પ્રયત્ન કરે તો પ્રજામાંથી જ કોઈ વિઘાતક પરિબળ આવીને તેને તોડી પાડવા- મોટા પાયે ભાંગફોડ કરે છે. આવો ક્રમ સતત ચાલુ છે.

આવે વખતે એમ થાય છે કે આના કરતાં સરમુખત્યારશાહી હજાર દરજ્જે સારી છે. ન્યાયતંત્રમાં માત્ર મુદતો જ પડે છે. એક સામાન્ય કેસ હોય તેના નિકાલમાં ત્રણથી પાંચ વર્ષ લાગે છે. આમાં ન્યાય મળે છે કે પછી અન્યાયને પ્રોત્સાહન મળે છે તે સમજવું મુશ્કેલ બની જાય છે.

વર્તમાન શાસકોમાં ઉદ્ધતાઈ અને તુંડમિજાજીપણું જોવા મળી રહ્યું છે તેમને નિયંત્રણમાં રાખનારું કોઈ જ પરિબળ નથી. હજારો કરોડ રૂપિયાના કૌભાંડ બદલ માત્ર જેલની સજા થાય છે અને પછી જામીન મળી જાય છે. તેમાં ન્યાય નથી, પરંતુ ન્યાયનું અપમાન છે. ખોટા અગ્રતાક્રમને કારણે જ આવું બને છે.

ચૂંટણી આવે છે તેવે વખતે શિક્ષિત વર્ગ મતદાન કરવા જતો નથી, પરંતુ ત્યાર બાદ થતાં વિશ્લેષણમાં સૌથી વધુ સક્રિય તેઓ જ હોય છે!! લોકશાહીમાં મતદાન ન થાય તો તેવી વ્યવસ્થાનો શું અર્થ? ૧૯૫૨ પછી થયેલી તમામ ચૂંટણીમાં માત્ર લઘુમતી સરકાર જ આવી છે. મતલબ કે ૫૦ થી ૬૦ ટકા મતદાન થયું છે તેમાં ૨૫ થી ૨૭ ટકા મત મેળવનાર પક્ષ શાસનમાં આવે છે.

ચૂંટણી માત્ર પૈસા હોય તે જ જીતી શકે છે અને જામીન જેમને વગ છે તેમને જ મળે છે. આવો ક્રમ ધરાવતી લોકશાહી વ્યવસ્થા આપણે ત્યાં છે. વાસ્તવમાં આ પદ્ધતિ ખરેખર લોકશાહી છે? ચૂંટણી એ લોકશાહીનો ભાગ છે કે પછી સ્થાપિત હિતો સત્તામાં જ રહે તેવી કોઈ ગોઠવણ છે?

પ્રજા મર્યાદિત સરમુખત્યારશાહીને ઇચ્છે છે. દીવાલ પરના અક્ષરો શાસકોએ વાંચી લેવાની જરૂર છે કે આવી રીતે બહુ લાંબુ ચાલવાનું નથી. યુરોપ - અમેરિકામાં શરૂ થયેલો જુવાળ સમગ્ર વિશ્વમાં ગમે ત્યાં પહોંચી શકે છે. આવી બાબતોથી ચેતી જવાની જરૂર છે. ક્રાંતિની આગ કોઈને પૂછીને શરૂ થતી નથી. પ્રજામાં કેટલી નારાજગી છે તેનો અનુભવ થશે તે વખતે ઘણું મોડું થઈ ગયું હશે.

આજની સૌથી મોટી આવશ્યકતા સત્ય આધારિત ચારિત્ર્યની છે. જો સમગ્ર બાબત અસત્ય પર આધારિત હશે તો તે બહુ લાંબુ ટકવાની નથી, કારણ કે તે આંતરિક વિરોધાભાસવાળી હશે. વિશ્વનો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સત્ય આધારિત બાબત જ ટકી છે તે સિવાયનું સઘળું કાળની ગર્તામાં વિલીન થયું છે.

રાષ્ટ્રમાં આંતરિક પડકાર, સુરક્ષા, આર્થિક વ્યવસ્થા, રોજગારી અને સુરક્ષિત ભવિષ્ય વગેરે જેવા મુદ્દાઓ પર તો કોઈ ધ્યાન અપાતું જ નથી. વળી જે કંઈ કાર્ય થઈ રહ્યું છે તે માત્ર ચોક્કસ વર્ગ અને કોમ પૂરતું જ થતું હોય તેમ લાગે છે. પ્રજાના વિશાળ વર્ગની ઉપેક્ષા થઈ રહી છે તેના સેંકડો પ્રમાણ છે.

મોકો આવ્યે પ્રહાર થશે તેવી જે નીતિ છે તે અયોગ્ય છે. ખોટું થતું હોય ત્યાં તુરત જ અટકાવવું જોઈએ. વિદેશી આક્રમકો પહેલા તો મંદિરની સંપત્તિ લૂંટવા આવતા હતા, પરંતુ તેનો મુકાબલો થતો નહોતો એટલે પછી લૂંટીને નાસી જવાને બદલે તેમણે અહીં જ રહેવાનું યોગ્ય લાગ્યું- પછીનો ઇતિહાસ નજર સમક્ષ છે.
ઇતિહાસમાંથી આપણે કંઈ જ શીખ્યા નથી તેમ ઇતિહાસ પુરવાર કરે છે. આ માટે હવે કોઈ જ પ્રમાણની જરૂર નથી. વેપાર કરવાને બદલે અંગ્રેજોએ રાજસત્તા કબજે કરી હતી. આ દષ્ટાંત પરથી શું શીખવાનું મળ્યું છે? જો વિશ્લેષણ કરવામાં આવે તો ઘણી જ અસંતોષકારક બાબત બહાર આવે છે. 

Wednesday, October 19, 2011

જમાનાથી જુદી વાટ કેમ ના પકડીય ?

હમણાં એક સમાચાર આવ્યા હતા કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અર્થાત પુરાતત્ત્વ વિભાગમાં અનેક સારી નોકરીઓ હોવા છતાં યોગ્ય ઉમેદવારો મળતા નથી. માનવ સંશાધનની આ ખેંચને કારણે દેશનાં કેટલાંય ભવ્ય સ્થાપત્યોની અપેક્ષા મુજબની જાળવણી થઈ શકતી નથી. આના પરથી એક વાત મનમાં આવવી જોઈએ કે શા માટે દરેક વિદ્યાર્થીએ એવો અભ્યાસ જ કરવાનો જે આજકાલ ટ્રેન્ડ છે એવી વ્યાખ્યામાં બેસતો હોય વરસો પહેલાં બધાને ડોક્ટર કે એન્જિનિયર થવું હતું, પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનો ટ્રેન્ડ આવ્યો. હવે જાતજાતના એમબીએના કોર્સ ડિમાન્ડમાં છે. સૌ કરે છે તેથી મારા પરિવારના વિદ્યાર્થી બાળકે પણ આવું જ કરવાનું એ યોગ્ય છે ખરું? એવું કરીને આપણે પોતે જ નવી પેઢીને એ વિશ્વમાં ધકેલતા નથી જ્યાં સફળ વ્યવસાયિક થવા માટે કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડે? તેની બદલે જમાનાથી જુદી વાટ કેમ ના પકડી શકાય એવો અભ્યાસ, એવા કામ, એવી દિશા અને એવા વિચાર શા માટે અપનાવી ના શકાય જે અસામાન્ય હોય? જુદા થવા માટે જુદી રીતે જ આગળ વધવું પડે છે એ કોણ જાણતું નથી? ટ્રેન્ડ તો જાણે સમજ્યા, જિંદગીના આનંદનું, ઓછી સ્પર્ધાનું અને ભરપૂર સંતોષનું પણ ક્યારેક વિચારવાનું કે નહીં? 

Tuesday, October 18, 2011

પ્રજાને હવે રાજકીય પક્ષોની કોઈ વાતમાં ભરોસો નથી,

લોકશાહી વ્યવસ્થામાં રાજકીય પક્ષો ભાગ્યે જ એકસરખા વિચાર ધરાવે છે. તેમને દરેકને પોતાનો એજન્ડા અને વિચારધારા છે. તેઓ આ મુદ્દે જ એકબીજાની સાથે આખડી રહ્યા છે. એકબીજાને ચમકી આપવા તત્પર છે. લોકોને તો હવે રાજકીય પક્ષોની કોઈ જ વાતમાં તસુભાર વિશ્વાસ રહ્યો નથી. રાજકીય પક્ષોના અગ્રણીઓ અને નેતાઓની ખાતરીમાં પ્રજાને આદર સન્માન જેવું કશું જ રહ્યું નથી. વાસ્તવમાં તમામ રાજકારણીઓ તિરસ્કારને પાત્ર છે. સંસદનો કોઈ વિકલ્પ નથી, પરંતુ ત્યાં કંઈ જ થતું નથી. તે માત્ર વાતોનાં વડાં કરવાનું મથક છે. બીજી બાજુ રાજકીય પક્ષો પાસે કોઈ એજન્ડા નથી. તેમની એકમાત્ર મહેચ્છા સત્તા કબજે કરવાની છે. વિરોધાભાસી બાબત એ છે કે રાજકીય પક્ષો પ્રજાની નજીક આવવા પ્રયાસ કરે છે તો તેઓ તેનાથી વધુ દૂર ધકેલાતા જાય છે. નિરાશ થયેલા અડવાણી હવે રથયાત્રાએ નીકળ્યા છે. આ માટે તેમણે જયપ્રકાશ નારાયણના જન્મસ્થળને પસંદ કર્યું છે. અડવાણીની રથયાત્રા પાછળનો આશય વિદેશી બેન્કમાં પડેલા ભારતીય પ્રજાના નાણાં પરત લાવવાની વાત છે. ભ્રષ્ટાચાર નાબૂદીની તેમની માગણી છે, પરંતુ આ બાબત અણ્ણા હઝારેએ ક્યારનીય કરી છે, પરંતુ મને તો આ સમગ્ર બાબત કોમવાદી લાગે છે. અડવાણીની રથયાત્રા એ ભાજપના આંતરિક રાજકારણનો ભાગ છે. અડવાણી વડા પ્રધાન બને કે પછી નરેન્દ્ર મોદીને આગળ કરે રાષ્ટ્રને તેમની કોઈ જ પરવા નથી. લોકોને તેઓ જે રાજકારણ ખેલે છે તેનાથી નુકસાન થાય તેવું છે. સમાજમાં ભાગલા પડી રહ્યા છે. ભાજપના પ્રમુખ નીતિન ગડકરીએ તો યાત્રામાં એક છોગું ઉમેરવા જેવી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા ખાતે રામમંદિરનો મુદ્દો હજુ ભાજપના એજન્ડામાં છે. બીજી બાજુ કોર્પોરેટ જગત નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદે લાવવા માગે છે. તેમણે મોદીને સીઈઓ તરીકે નવાજ્યા હતા. જ્યાં સુધી કૉંગ્રેસને લાગુ પડે છે તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા સાવ તળિયે પહોંચી ગઈ છે. કૉંગ્રેસ પક્ષનાં અધ્યક્ષા સોનિયા ગાંધી આજે વર્ષોથી બેકસીટ ડ્રાઈવિંગ કરી રહ્યા છે. તેમણે પક્ષ પરથી નિયંત્રણ ગુમાવ્યું છે. કદાચ આરોગ્ય પણ એક કારણ હશે. તેમને સૌથી મોટી ચિંતા તેમના પુત્ર રાહુલ ગાંધીની છે. રાહુલ રાજકારણમાં કોઈ નવા પરિમાણ લાવવામાં નિષ્ફળ છે. તેઓ વડા પ્રધાન મનમોહન સિંહનું સ્થાન લઈ શકે તેવું દેખાતું નથી. કૉંગ્રેસ તેના સિવાય કોઈને આગળ આવવા દે તેવું નથી. મધ્યમ વર્ગને હવે કૉંગ્રેસમાં કોઈ ભરોસો રહ્યો નથી. કૉંગ્રેસ પક્ષે લોકોના કલ્યાણ, ગરીબી નાબૂદી માટે યોજનાઓ આપી તેને કારણે તેની લોકપ્રિયતા વધી હતી. હજુ કૉંગ્રેસ વધુ લોકપ્રિય યોજના અમલી બનાવશે. કૉંગ્રેસ પક્ષે સીબીઆઈને સુપ્રીમ કોર્ટના નિયંત્રણ હેઠળ મૂકવાની જરૂર હતી. કૌભાંડમાં ઘણી મોટી રકમની સંડોવણી છે. અણ્ણા હઝારેની ટીમ માત્ર ભ્રષ્ટાચાર જ નહીં, પરંતુ અકાર્યક્ષમતાની પણ વિરુદ્ધમાં છે. લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે, છતાં અણ્ણાની ટીમમાં કોઈએ તેમને સંસદની ઉપર જણાવ્યા છે. આવું બોલવું તે જરા પણ યોગ્ય નથી. અણ્ણાની ટીમમાં કોઈકને સત્તા કબજે કરવામાં રસ છે. સંસદમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા લોકોની જરૂર છે. ૧૯૭૭માં જયપ્રકાશ નારાયણની ચળવળ તે હેતુથી જ હતી. સંસ્થાઓનું કદી અવમૂલ્યન નહીં થવું જોઈએ. કૉંગ્રેસ પક્ષે અણ્ણા હઝારેને આરએસએસના ટેકેદાર ગણાવ્યા તે યોગ્ય નથી. તે અગાઉ વર્ષો પહેલાં કૉંગ્રેસે જયપ્રકાશ નારાયણને સીઆઈએના માણસ ગણાવ્યા હતા. જ્યારે અણ્ણાએ સ્પષ્ટતા કરી છે તેવે વખતે બાબત બંધ થવી જોઈએ. મૂળભૂત પ્રશ્ન એ છે કે હવે કઈ રીતે વ્યવસ્થાતંત્રને અસરકારક બનાવવું કારણ કે ભ્રષ્ટાચારને કારણે કંઈ જ થઈ શકતું નથી. શું આ માટે સામૂહિક વિચારણા કરવી જોઈએ? તેના માટે તમામ રાજકીય પક્ષોને ભેગા કરવા કે પછી સર્વસંમત વાતાવરણ ઊભું કરવું? જ્યાં સુધી રાજકારણમાં નૈતિકતા નહીં આવે આવું કંઈક જ કરવું અશક્ય છે.